Western Times News

Gujarati News

જલવિહારના પેરામીટર જળવાતા ન હોવા છતાં કોન્ટ્રાક્ટરને પેમેન્ટ અપાશે

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચદ્રભાગાના નાળામાં આવતા ગંદા પાણીને ટ્રીટ કરવા માટે ‘જલવિહાર’ એસટીપી પ્લાન્ટ બનાવ્યો છે. સદ્દર સ્થળે ૧૦૦ એમએલડી એસટીપી પ્લાન્ટ બનાવવા માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી પરંતુ તેમાં ઘટાડો કરીને ૬૦ એમએલડીનો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત રૂ.૮૪ કરોડના ખર્ચથી તૈયાર થયેલ એલટીપી પ્લાન્ટ નિષ્ફળ સાબિત થયો છે તથા તેના માટે જે પેરામીટર નક્કી કરવામાં આવ્યા છે તે જળવાતા નથી. ચોંકાવનારી બાબત તો એ છે કે પ્લાન્ટના પેરામીટર જળવાતા ન હોવા છતાં ઓપરેશન- મેઈન્ટેનન્સના કોન્ટ્રાક્ટરને મેમેન્ટ આપવા માટે સીટી ઈજનેરે ફાઈલ ચલાવી છે. તથા તેમની અને કોન્ટ્રાક્ટરની નિષ્ફળતા છુપાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની લેબોરેટરીના પરિણામ જાહેર કરવામાં આવતા નથી.

મ્યુનિસિપલ કોર્પોરેશને ચદ્રભાગા નાળાને સ્વચ્છ રાખવા માટે રૂ.૮૩.૩૩ કરોડના ખર્ચથી એસટીપી પ્લાન્ટ બનાવવાનો કોન્ટ્રાક્ટ ‘રાજકમલ’ નામની સંસ્થાને આપ્યો હતો. નિયત સમયમર્યાદા કરતા કામ પૂર્ણ કરવામાં દસ મહિનાનો વિલંબ થયો હતો. તેમ છતાં કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી નહોતી. જલવિહારનું કામ પૂર્ણ થયા બાદ ‘રાજકમલ’ ને જ દસ વર્ષ માટે પ્રતિ વર્ષ રૂ.એક કરોડના ભાવથી ઓપરેશન-મેઈન્ટેનન્સનું કામ સોંપવામાં આવ્યુ છે.

જલવિહાર પ્લાન્ટનો ટ્રાયલ રન ગત માર્ચ મહિનામાં પૂર્ણ થઈ ગયો છે. તથા એપ્રિલ મહિનાથી તે રેગ્યુલર ચલાવવામાં આવી રહ્યો છે. પરંતુ ટેન્ડર શરતમાં બીઓડી, સીઓડી, એસએસ તથા ફીકલ ના જે પેરામીટર નક્કી કરવામાં આવ્યા છે. તે જળવાતા નથી. તે બાબતને સીટી ઈજનેર નરેન્દ્રભાઈ મોદી છુપાવી રહ્યા છે. તથા મ્યુનિસિપલ લેબોરેટરીમાં જલવિહારનું પરીક્ષણ કરવાનું ટાળી રહ્યા છે. અથવા તેના રીપોર્ટ છુપાવી રહ્યા છે.


જલવિહારના પરિણામ માટે સીટી ઈજનેર જીપીસીબીના રીપોર્ટની જ દુહાઈ આપી રહ્યા છે. જીપીસીબીના રીપોર્ટમાં સેટીગ થયા હોવાના સીધા આક્ષેપ સીટી ઈજનેર અને કોન્ટ્રાક્ટર સામે થઈ રહ્યા છે. તેમ છતાં જીપીસીબીના રીઝલ્ટમા પણ ફીકલ, બીઓડી વગેરેના પેરામીટર જળવાતા નથી.

મ્યુનિસિપલ કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા અનુસ.ાર જલવિહારના ટેન્ડરમાં બીઓડી-૧૦ , સીઓડી-પ૦, ફીકલ ૧૦૦ ના પેરામીટરની શરત રાખવામાં આવી હતી. જાન્યુઆરી ર૦૧૯માં બીઓડી, ૧૧૭, સીઓડી-૩ર૯ તથા ફિકલ ૩પ૦ આવ્યા હતા. જે નિયત પેરામીટર કરતા અનેકગણા વધારે છે.

જલવિહારના ટ્રાયલ રનમાં પેરામીટર મુજબ પરીણામ મળતા ન હોવા છતાં કોન્ટ્રાક્ટર સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી સીટી ઈજનેરે કરી નહોતી. જલવિહારમાં સૌથી મહત્ત્વતા  કહી શકાય એવા ટોટલ સસ્ટેન્ડેડ સોલીડ (ટીએસએસ) માટે ‘દસ’ પેરામીટર નક્કી કરવામાં આવ્ય્‌ છે. ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ જૂન મહિનામાં બીઓડીની માત્ર ૧૧, સીઓડી-૪પ, ફીકલ ૧૪૦ તથા ટીએસએસ ૪૦ આવ્યા હતા.

જુલાઈમાં બીઓડી -૦પ, સીઓડી-ર૩, ફીકલ- ૩પ૦ તથા ટીએસએસ-૦૮ આવ્યા હતા. નવેમ્બર મહિનામાં બીઓડી-૧૧, સીઓડી-૪૩, ફિકલ-૬૩૦ તથા ટીએસએસ ૧૪ આવ્યા છે. આમ, લગભગ તમામ રીપોર્ટમાં ફીકલ તથા ટીએસએસના પેરામીટર જળવાયા નથી.

કેન્દ્રીય પ્રદુષણ બોર્ડના નવા પેરામીટર મુજબ સીઓડીની માત્રા ૩૦ હોવી જરૂરી છે. જ્યારે જલવિહારના ટેન્ડરમાં પ૦ની શરત રાખવામાં આવી છે. તથા ડીઝાઈન પણ તે મુજબ જ કરવામાં આવી છે. તેથી રૂ.૮૪ કરોડના ખર્ચથી બનાવવામાં આવેલા પ્લાન્ટને પણ અપગ્રેડ કરવાની ફરજ પડી શકે છે. સુત્રોઅ જણાવ્યા અનુસાર મ્યુનિસિપલ કોર્પોરેશનની લેબોરેટરીમાં પરિક્ષણ કરવાનું સીટી ઈજનેર ટાળી રહ્યા છે તેમ છતાં નાછૂટકે જે પરિક્ષણ થાય છે તેમાં પણ ૩૦ થી પ૦ ટકા જેટલો તફાવત આવે છે. આમ, જલવિહાર એસટીપીમાં પેરામીટર જળવાતા ન હોવા છતાં કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કરવાના બદલે તેને પેમેન્ટ આપવાની ફાઈલ સીટી ઈજનેરે ચલાવી છે. મ્યુનિસિપલ લેબોરેટરીના સાચા રીપોર્ટ કમિશ્નર સમક્ષ પણ રજુ કરવામાં આવતા નથી. તેમાં પણ ચેડા થઈ રહ્યા છે તથા જીપીસીબીમાં સેટીંગ થઈ રહ્યા છે તેથી ખુલ્લેઆમ ચર્ચા ચાલી રહી છે.

મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા દિનેશ શર્માના જણાવ્યા અનુસાર ચંદ્રભાગા નાળામાં દૈનિક ૧૦૦ એમએલડી ગંદુ પાણી આવે છે. જેની સામે ૬૦ એમએલડી જ ટ્રીટ થાય છે.  તેથી ૪૦ એમએલડી સુઅરેજ વાટર સાબરમતીમાં છોડવામાં આવે છે. જલવિહારમાં નિયત, પેરામીટર જળવાતા ન હોવાથી ટોરેન્ટ પાવરે પણ ટ્રીટેડ વાટર લેવાની ના પાડી છે. તેથી કોન્ટ્રાટરને પેનલ્ટી કરવામાં એ જરૂરી છે. પરંતુ અગમ્ય કારણોસર મ્યુનિસિપલ કમિશ્નર અને સીટી ઈજનેર કોન્ટ્રાક્ટર પર રહેમનજર રાખી રહ્યા છે. તથા જલવિહારના સાચા રીપોર્ટ છુપાવી રહ્યા છે. ટોરેન્ટ પાવર દૈનિક રપ એમએલડી શુધ્ધ પાણીનો વપરાશ કરે છે તેને બચાવવા માટે જલવિહારનું આયોજન કરવામાં આવ્યુ છે. પરંતુ જલવિહાર નિષ્ફળ સાબિત થયા બાદ ટોરેન્ટે પણ ના પાડી છે તેથી જલવિહારનો મુળ હેતુ પણ જળવાયો નથી તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.