આઝાદી વખતે રાજવી પરિવારોએ રાજપાટ દેશને અર્પણ કરીને રાષ્ટ્રપ્રેમનો પરિચય કરાવ્યો હતો.

અમદાવાદ, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી – રાષ્ટ્રીય એકતા દિવસે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતનાના અભિયાન સરદાર પટેલ રાષ્ટ્રચેતના મહાસંમેલનમાં સાથી મંત્રીશ્રીઓ, રાજકીય અને સામાજિક અગ્રણીઓ, રાજવી પરિવારોના અગ્રણીઓ સાથે સહભાગી થવાનો અવસર મુખ્યંત્રી ભુપેન્દ્ર પટેલને મળ્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દેશની આઝાદી વખતે તત્કાલીન રાજવી પરિવારોએ પોતાના રાજપાટ દેશને અર્પણ કરીને રાષ્ટ્રપ્રેમનો પરિચય કરાવ્યો હતો. આવા 50 જેટલા રજવાડાના વંશજોનું ગૌરવ-સન્માન કરીને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની “વિકાસ ભી.. વિરાસત ભી..” સંકલ્પનાને સાકાર કરવામાં આવી છે.
વિશ્વ ઉમિયાધામ દ્વારા IAS એકેડેમીની શુભ શરૂઆત કરવામાં આવી તેને હું બિરદાવું છું. આ અવસરે, 10 હજાર જેટલી કાર રેલી દ્વારા એકતાનો સંદેશ ઘેર-ઘેર પહોંચાડવા બદલ પણ સંસ્થાને હૃદયથી અભિનંદન પાઠવું છું.
મહાસંમેલન નિમિત્તે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ૧૦,૦૦૦ થી વધુ કાર રેલી સ્વરૂપે “મેરી મિટ્ટી – મેરા દેશ – મેરા ધર્મ”ની ભાવના સાથે પોતપોતાનાં ગામ શહેરની માટીના કળશ સાથે કાર્યક્ર્મ સ્થાન પર આવ્યા. ઉમિયાધામ દ્વારા આ કળશ નવનિર્મિત માં ઉમિયાના મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.
આ સંમેલનમાં ભારત ભૂમિના વીર સપૂત યોદ્ધા મહારાણા પ્રતાપના વંશજ સહિત દેશ માટે સર્વસ્વ સમર્પિત કરી દેનાર ૧૫ રાજવી પરિવારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને રાજવી પરિવારોને પણ સન્માનિત કરાયા હતા.
ફાઉન્ડેશન દ્વારા આઈ.એ.એસ. એકેડમીનો માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો તથા વિશ્વ કક્ષાના આયોજિત થનાર ઓલિમ્પિયાડની વેબસાઈટ પણ લોન્ચ કરવામાં આવી.