Western Times News

Gujarati News

નરોડાની પાર્વતી જાદવ હોસ્પિટલના પૂર્વ ટ્રસ્ટીના કરતૂતથી દર્દીઓને હાલાકી

(એજન્સી)અમદાવાદ, શહેરના નરોડા વિસ્તારમાં આવેલ પાર્વતી જાદવ હોસ્પિટલના પૂર્વ વિવાદાસ્પદ ટ્રસ્ટીએ દાનમાં મળેલા એમઆરઆઈ, સીટી સ્કેન મશીન પરત લેવા ખોટી રીતે અરજી કરી હતી. જેના કારણે દાતા ઉદ્યોગ ગૃહ દ્વારા બંને મશીન પરત લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને મશીન બંધ કરી દેવામાં આવ્યા છે.

આમ, હાલ બંને મહત્ત્વના મશીન બંધ હોવાને કારણે સંખ્યાબંધ દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ નવા આવેલા ટ્રસ્ટીઓએ આ અંગે ઉદ્યોગ ગૃહને દર્દીઓના લાભાર્થે આપેલ એમઆરઆઈ, સીટી સ્કેન મશીન પરત ન લેવા રજૂઆત કરી છે. આ ઉપરાંત પોલીસ મથકમાં પણ અરજી આપવામાં આવી છે. બીજી તરફ એવી પણ ચર્ચા ઊઠી છે કે, ટ્રસ્ટી હતા ત્યારે ભરત ગોહિલે કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ થયા હતા અને હવે ટ્રસ્ટી નથી તો મશીન પરત લેવા ખોટી અરજી કરી ગરીબ દર્દીઓને હેરાન કરી રહ્યા છે.

નરોડા વિસ્તારમાં આવેલા પાર્વતી જાદવ હોસ્પિટલમાં બેંકમાં ભરવાના પૈસામાં ૧.૮૭ કરોડોની ઠગાઈ કેસમાં ક્રાઈમ બ્રાંચે તપાસ કરી ચાર્જશીટ રજૂ કરી છે. જેમાં ઠગાઈનો આંક ૧૦ કરોડ સુધી પહોંચ્યો છે. જે આંક વધે તેવી શક્યતાઓ છે ત્યારે ઠગાઈ કેસમાં આરોપી એવા ભરત ગોહિલ (પૂર્વ ટ્રસ્ટી)એ કોઈ પણ ઠરાવ કે અન્ય હોદ્દેદારોને જાણ કર્યા વગર ઉદ્યોગ ગૃહે ર૦૧૭-૧૮ના વર્ષે દાનમાં આપેલા એમઆરઆઈ, સીટી સ્કેન મશીન જરૂર ન હોવાથી પરત લેવા અરજી કરી દીધી હતી.

જેના પગલે ઉદ્યોગ ગૃહ દ્વારા મશીન પરત લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજે ઉદોગ ગૃહના કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે મશીન પરત લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા અને મશીન બંધ કરી દીધા હતા. જેથી પૂર્વ ટ્રસ્ટીના કૃત્યને સંખ્યાબંધ દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.