પ્રોપર્ટી દલાલે CAને લાલચ આપી 2.75 કરોડની ઠગાઈ કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/08/Cash.jpg)
સુરત, મજુરા ગેટ પાસે આવેલ આઈસીસી બિલ્ડીંગમાં ઓફિસ ધરાવતા સીએ ને દુબઈના ઠગ બાજ ઇસમો ભેટી ગયા હતા. દુબઈમાં સીએને ઓફિસ અપાવાના બહાને તેની પાસેથી રોકડા રૂપિયા ત્રણ કરોડ મેળવી લીધા હતા.
જોકે આ પૈસા લીધા બાદ તેઓએ દુબઈમાં ઓફિસ નહીં અપાવી સમય પસાર કર્યો હતો. જેથી સીએ એ પૈસા પરત માગતા ઠગબાજ ઈસમોએ માત્ર 25 લાખ રૂપિયા પરત આપી બાકીના 2.75 કરોડ રૂપિયા પરત નહીં આપી છેતરપિંડી કરી હતી. જેથી આખરે ભોગ બનનાર સીએના કર્મચારીએ આ મામલે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સુરતના એક અને દુબઈના ત્રણ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે શહેરના મજૂરા ગેટ પાસે આવેલ આઈસીસી બિલ્ડીંગમાં સીએ ની ઓફિસ ધરાવતા બાલકૃષ્ણ અગ્રવાલને કેટલાક ઠગબાજ ઈસમો બેઠેલા હતા. બાલકૃષ્ણ અગ્રવાલને દુબઈમાં ઓફિસની જરૂર હતી. આ દરમિયાન તેઓને ભટકાયેલા ઠગબાજો એ 2.75 કરોડનો ચૂનો ચોપડ્યો છે.
બાલકૃષ્ણ અગ્રવાલની ઓફિસમાં કામ કરતા અને ભીમરાડ ચેકપોસ્ટ પાસે આવેલ સુમન સંજીવની મુખ્યમંત્રી આવાસમાં રહેતા જીતેન્દ્ર નટવરભાઈ પટેલે ગતરોજ અબ્દુલ્લા શબ્બીર હુસૈન કુરેશી (રહે.-ઘર નં નં.૩/સી,અમર જ્યોત એપાર્ટમેંટ, ગાંધીબાગની સામે,નાનપૂરા સુરત) (હાલ રહે.દુબઇ), આદિલ શબ્બીર હુસેન કુરેશી (રહે.રોયલ ગાર્ડન સોસાયટી,મરોલી જિલ્લો-નવસારી) (હાલ રહે.દુબઇ),
સાહિલખાન મેહમુદખાન પઠાણ (રહે.-ઘર નં.૧૬૧, મુસ્લિમ ફળિયુ, નડોદ ગામ મસ્જિદ પાસે, ઉભરાટ જિલ્લો-નવસારી) (હાલ દુબઇ) અને મોહમદ શોએબ અબ્દુલ ગફ્ફાર મોહમદભાઇ કાપડીયા (રહે.-ઘર નં.સી/૪૦૪, રોયલ હેરીટેઝ, કોઝ-વે રોડ રાંદેર, સુરત સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે ગત તારીખ 23/6/2023 ના રોજથી અત્યાર સુધીના સમયગાળા દરમિયાન આ તમામ ઈસમો પૈકી અબ્દુલ્લા કુરેશી એ પોતાની ઓળખ પ્રોપર્ટી દલાલ તરીકે આપી હતી
અને દુબઈમાં સારામાં સારા લોકેશન પર ઓફિસ અપાવવાની વાત કરીને તેમના નાનાભાઈ આદિલ કુરેશી તથા મિત્ર સાહિલ ખાન પઠાણ મારફતે રોકડા રૂપિયા ત્રણ કરોડ મેળવી લીધા હતા. ત્યારબાદ તેમના મળતીયા મોહમ્મદ સોયબ અબ્દુલ ગફારે સુરત થી હવાલા મારફતે દુબઈ ખાતે દીરામમાં પૈસા મોકલી આપ્યા હતા. જોકે ત્યારબાદ ઓફિસ નહીં આપી અલગ અલગ બહાના કાઢી સમય પસાર કર્યો હતો.
જેથી બાલકૃષ્ણ અગ્રવાલ એ ઓફિસ માટે ના પડી પૈસા પરત માંગ્યા હતા. જોકે ત્યારબાદ ઠગબાજ ઈસમોએ માત્ર 25 લાખ રૂપિયા પરત આપી બાકીના રૂપિયા 2.75 કરોડ પરત નહીં આપી બાલકૃષ્ણ અગ્રવાલ સાથે છેતરપિંડી કરી હતી. જેથી આખરે ભોગ બનનાર બાલકૃષ્ણ અગ્રવાલના કર્મચારી જીતેન્દ્ર પટેલે આ મામલે ક્રાઈમ બ્રાન્ચ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા 2.75 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.