Western Times News

Gujarati News

થલતેજને મણિપુર અને શીલજને મોટેરા સાથે મેટ્રો દ્વારા કનેક્ટ કરવામાં આવશે

અમદાવાદમાં મેટ્રો સેવાનું મોટા પાયે વિસ્તરણ કરાશે-ઓલિમ્પિક્સના પ્રસ્તાવિત પ્રોજેક્ટ કવર થઈ જાય તે રીતે અમદાવાદમાં મેટ્રોની સુવિધા વિસ્તારાશે

અમદાવાદ, અમદાવાદીઓને મેટ્રો સર્વિસ ફાવી ગઈ છે અને હવે તેની કામગીરીમાં વિસ્તરણ થવાનું છે. આગામી સમયમાં અમદાવાદ ઓલિમ્પિક્સ માટે બિડ કરવાનું છે ત્યારે ઓલિમ્પિક્સના પ્રસ્તાવિત પ્રોજેક્ટ કવર થઈ જાય તે રીતે મેટ્રોની સુવિધા વિસ્તારવામાં આવશે. તે મુજબ થલતેજને મણિપુર સાથે અને શીલજને મોટેરા સાથે કનેક્ટ કરવામાં આવશે. આ કનેક્શન વાયા વૈષ્ણોદેવી અને ચાંદખેડા આપવામાં આવશે. અમદાવાદે ઓલિમ્પિક્સ માટે બિડ જીતવી હોય તો મેટ્રો પર ખાસ ફોકસ કરવું પડશે.

રાજ્ય સરકાર અને ગુજરાત મેટ્રો રેલ કોર્પના સૂત્રોએ જણાવ્યું કે થલતેજ ગામ પર જે ઈસ્ટ-વેસ્ટ કોરિડોર પૂરો થાય છે તેને શીલજ ચાર રસ્તા થઈને મણિપુર સુધી લંબાવવામાં આવશે. સરકારે મણિપુર નજીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનો પ્લાન બનાવ્યો છે. તેવી જ રીતે એક બ્રાન્ચ શીલજથી શરૂ થશે અને એસ પી રિંગ રોડ થઈને મોટેરાને જોડશે.

આ લાઈનમાં વૈષ્ણોદેવી અને ચાંદખેડા પણ આવશે. મોટેરા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સ બનવાનું છે.થલતેજ ગામથી શીલજ સુધીનું સેક્શન રેલવે લાઈનની સમાંતર તૈયાર કરવામાં આવશે. ત્યાર પછી તે લાઈન મણિપુર સુધી આગળ જશે જ્યાં એક ઓલિમ્પિક્સ વિલેજ બનાવવાની યોજના છે. આ લાઈનથી બોપલ, શેલા, ઘુમા અને આસપાસના એરિયાને પણ કનેક્ટ કરવામાં આવશે જ્યાં તાજેતરમાં રિયલ એસ્ટેટનો જોરદાર ગ્રોથ થયો છે.

રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યું કે મેટ્રો રેલ સર્વિસનું વિસ્તરણ એવી રીતે કરવામાં આવશે જેથી ઓલિમ્પિક્સ વખતે ફાયદો થાય. આ તમામ પ્લાનિંગ કરવાના બદલે ફાઈનાન્સિંગ ઝડપથી થઈ શકશે. અમદાવાદનો જે રીતે વિકાસ થાય છે તેને ધ્યાનમાં રાખતા પૂર્વ અને સાઉથના એરિયામાં પણ મેટ્રોને લઈ જવામાં આવશે.થલતેજ મણિપુર અને શીલજ-મોટેરા વિસ્તરણને ઓલિમ્પિક્સની બિડને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે.

તેની સાથે સાથે એક ફીડર બસનું નેટવર્ક પણ બનાવવામાં આવશે જેથી સેટેલાઈટ, પ્રહલાદનગર અને સરખેજ જેવા વિસ્તારના લોકોને સુવિધા મળી શકે. હાલમાં આ ફેઝ પર કેટલો ટ્રાફિક મળી શકે તેમ છે તેના વિશે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં મેટ્રોને વિસ્તારવા અંગે ફિજિબિલિટી રિપોર્ટ પર કામ થઈ રહ્યું છે.

સેટેલાઈટ, પ્રહલાદનગર, સરખેજ અને આસપાસના વિસ્તારો માટે મેટ્રો સર્વિસને ધ્યાનમાં રાખીને મિની બસો દોડાવવામાં આવશે જે થલતેજ, મણિપુર અને શીલજ જેવા મહત્ત્વના જંક્શન પર પ્રવાસીઓને લઈ જશે. આ ઉપરાંત ગાંધીનગર માટે પણ કનેક્ટિવિટી વધારવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.