આ કારણસર પાવાગઢમાં 6 દિવસ રોપ વે સેવા બંધ રહેશે
(એજન્સી)પાવાગઢ, યાત્રાધામ પાવાગઢમાં છ દિવસ રોપ વે સેવા બંધ રહેશે. જેને કારણે ભક્તોએ માતાજીના દર્શન માટે ડૂંગર પર પદયાત્રા કરી જવું પડશે. મેન્ટેનન્સના કારણે પાવાગઢ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય કંપની દ્વારા લેવામાં આવ્યો છે. મેઇન્ટેનન્સ માટે ૧૮ થી ૨૩ માર્ચ સુધી રોપવે બંધ રહેશે. કુલ ૬ દિવસ રોપ વે સેવા બંધ રહેશે.
ત્યારબાદ ૨૪ માર્ચથી રોપ વે સુવિધા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. પાવાગઢ ડુંગર ઉપર ચાલતા રોપ વે નિયમ અનુસાર વાર્ષિક મેન્ટેનન્સના કામગીરી કરવામાં આવે છે. જેને લઇ મેન્ટેનન્સ કામગીરી દરમિયાન દર્શનાર્થીઓને મંદિર સુધી પહોંચવા માટે પગપાળા જવાનું રહેશે. પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે માતાજીનું શક્તિપીઠ આવેલું છે. હાલમાં પાવાગઢ ખાતે યાત્રાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલી રોપ-વે સુવિધા મરામતને કારણે ૬ દિવસ બંધ રાખવામાં આવનાર હોવાનું અત્રે ઉડન ખટોલાની સર્વિસ આપતી ઉષા બ્રેકો કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે. ૧૮મીથી શક્તિપીઠ પાવાગઢ ખાતે ૬ દિવસ માટે રોપ વે સેવા બંધ રહેશે.
એન્યુઅલ મેઇન્ટેનન્સને લઈને આ નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે, યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે અવર જવર અને માતાજીના દર્શન માટેની સુવિધાઓ વિકસાવવામાં આવતા અહીં આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના ખુણેખુણેથી માતાજીના શીશ નમાવવા માટે મોટીસંખ્યામાં યાત્રાળુઓ આવે છે. ત્યારે વયોવૃદ્ધ ભક્તો દર્શન કરવા માટે ડુંગર ચડવું મુશ્કેલ બને છે ત્યારે આ રોપ વેની સેવા દ્વારા માતાજીના દર્શન કરવા પહોચે છે.
પરંતુ છ દિવસ સેવા બંધ રહેતા યાત્રીકોને પગપાળા દર્શન કરવા માટે જવું પડશે.