જૂનાગઢમાં નશીલા સીરપની ૩૪૦૦ બોટલ સાથે બે ઝડપાયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/04/images-e1712822179301.jpeg)
ભાવનગરથી માલ મંગાવી કોલ્ડ્રિંગ્સની દુકાનમાં વેચાતો હતો
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે જોશીપરાના આંબાવાડીમાં મુકેશ ઘનશ્યામ બજાજની કોલ્ડ્રીંકસની દુકાનમાં રેડ કરી હતી
જૂનાગઢ,રાજ્યમાં દારૂબંધી વચ્ચે નશીલા સિરપનો નશાનો કારોબાર ફૂલીફાલી રહ્યો છે, ત્યારે જૂનાગઢમાંથી આવા સિરપનો જથ્થો મળી આવ્યો છે. અહીંના જોષીપરામાં કોલ્ડ્રીંકસની દુકાનમાંથી ક્રાઇમ બ્રાન્ચે નશીલું સીરપ જપ્ત કર્યું હતું. આ સાથે વિતરકે આ જથ્થો ડીસ્ટ્રીબ્યુટર પાસેથી ખરીદી કર્યાનું જણાવતાં પોલીસે ત્યાં ત્રાટકી રૂપિયા પાંચ લાખની કિંમતની ૩૪૧૬ બોટલ કબ્જે કરી બે શખ્સોની ધરપકડ કરી છે.
આ સાથે ત્રણ સામે ગુનો દાખલ કર્યો હતો. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે જોશીપરાના આંબાવાડીમાં મુકેશ ઘનશ્યામ બજાજની કોલ્ડ્રીંકસની દુકાનમાં રેડ કરી હતી. અહીંથી નશાકારક હર્બલ સીરપની બોટલો ઝડપી તેના ઘરે દરોડો પાડતા ત્યાંથી સીરપનો જથ્થો મળી આવ્યો હતો. પૂછપરછ દરમ્યાન આ શખ્સે આ જથ્થો જુનાગઢના આદિલ દાઉદ મુલ્લા પાસેથી મંગાવ્યાની કબુલાત આપી હતી.
પોલીસે ત્યાં ત્રાટકી સ્થળ ઉપરથી ૩૪૧૬ બોટલ (કિંમત પાંચ લાખ) સીરપ કબ્જે કર્યુ હતું. આરોપીએ પુછપરછમાં આ જથ્થો ભાવનગરના લખધીરસિંહ જાડેજાએ મોકલ્યો હોવાનું કબૂલ્યું હતું. આ ત્રણેય સામે પોલીસે લોકો સાથે વિશ્વાસઘાત કરી માનવીય જિંદગી સાથે ચેડા કર્યાનો ગુનો નોંધાતા ગેરકાયદે હર્બલ સીરપનું વેંચાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.ss1