Western Times News

Gujarati News

અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે નંબર-૮ સિક્સ લેન નિર્માણકાર્યમાંઆડેધડ ડાયવર્જન ટ્રક-ટ્રેલર પલટાતા ૨ ના મોત થી ભારે આક્રોશ ભભુકયો

ભિલોડા: દિલ્હીથી મુંબઈને જોડતો,અમદાવાદ-હિંમતનગર-શામળાજી-ઉદેપુર નેશનલ હાઈવે નંબર – ૮ સિક્સ લેન બનાવવાનું કામકાજ પુરજોશમાં ચાલી રહ્યું છે.સાથે – સાથે અનેક જગ્યાએ રોડ ખોદવામાં આવ્યો હોવાની સાથે હાઈવે પર ઠેર ઠેર ડાયવર્જન પણ આપવામાં આવ્યા છે હાઈવે પર દોડતા વાહનો ડાયવર્જનના પગલે અચાનક સામ સામે આવી જતા નાની-મોટી અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે.

 શામળાજી બસ સ્ટેન્ડ નજીક ટ્રક-ટ્રેલર પલટી જતા અકસ્માતની ઘટનામાં એક ૭ વર્ષીય માસુમ બાળક સહીત ૨ લોકોના મોત નિપજતા શામળાજી પંથકમાં  સિક્સલેનની કામગીરીમાં આડેધડ અપાયેલ ડાયવર્જનના પગલે વારંવાર બનતી અકસ્માતની ઘટના બનતા રવિવારે શામળાજીના ગ્રામજનોએ સ્વયંભુ સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો.

શનિવારે સાંજના સુમારે રાજસ્થાન તરફથી આવતું ટ્રક-ટ્રેલર શામળાજી બસ સ્ટેન્ડ નજીક પલટી જતા રોડ નજીક આવેલા ૬ થી ૭ કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો જેમાં શામળાજીના મીત સંજયભાઈ કટારા( ઉં.વર્ષ-૭) અને સુરેશભાઈ દાનજીભાઈ અસોડા (ઉં.વર્ષ-૪૬) નું ટ્રક-કન્ટેનર નીચે દટાઈ જતા મોત નિપજતા હાહાકાર મચ્યો હતો

શનિવારે ટ્રક-કન્ટેનરે સર્જેલા અકસ્માતના પગલે શામળાજીના ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો અને શામળાજી પંથકમાં બેફામ વાહન હંકારતા અકસ્માતની ઘટનોમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડતા અમદાવાદ-ઉદેપુર ને.હા.નં -૮ પર ચક્કાજામ કરતા જિલ્લાની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગ્રામજનોને સમજાવી મામલો થાળે પાડી ટ્રાફિકજામ પૂર્વરત કરાવ્યો હતો.

શામળાજી નજીક  ડાયવર્જનના લીધે  ટ્રક-ટ્રેલર પલ્ટી ખાઈ કેબિનો પર ફરી વળતા અકસ્માત થતા બંને મૃતકોના પરિવારને યોગ્ય ન્યાય મળે અને નેશનલ.હા.નં-૮ પર શામળાજી વિસ્તારમાં નિયમ પ્રમાણે ડાયવર્જન બનાવવામાં આવે રોડ પર પડેલા ખાડાઓનું સમારકામ હાથ ધરવાની અને દિશા સૂચન બોર્ડ લગાવવામાં આવેની માંગ સાથે સજ્જડ સ્વયંભૂ બંધ રાખી નેશનલ હાઈવે ઑથોરિટી સામે વિરોધ નોંધાવ્યો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.