Western Times News

Gujarati News

મોડાસામાં એક સાથે ૨૮૦૦ ઘરોમાં ગાયત્રી યજ્ઞમાં આહુતિઓ અર્પણ કરાઈ

(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) વિશ્વમાં યુદ્ધ તેમજ અજંપા ભર્યું વાતાવરણ વધી રહ્યું છે ત્યારે ભારતીય સંસ્કૃતિમાં અદ્ભૂત પ્રયોગ એવા યજ્ઞનું પણ ખૂબજ મહત્વ છે. યજ્ઞ એ પરોપકાર, ત્યાગ તેમજ સંગતિકરણની પ્રેરણા આપે છે.

આ યજ્ઞના આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક રીતે થતાં અદ્ભૂત લાભ આપતા યજ્ઞના મહત્વને જન જન સુધી પહોંચાડવાના પ્રયોગ રુપે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ ,હરિદ્વાર દ્વારા એક સાથે “ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ” આંદોલન રાખવામાં આવ્યું . જેમાં વિશ્વસ્તરે અનેક દેશો સહિત ભારતભરમાં લાખો ઘરોમાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.

અરવલ્લી જીલ્લામાં મુખ્ય મથક મોડાસા સહિત બાયડ ,ધનસુરા, ભિલોડા, મેઘરજ, માલપુર તાલુકાઓમાં પણ ઘેર ઘેર ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.
ઉલ્લેખનીય છે કે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના અગ્રણી હરેશભાઈ કંસારાએ આપેલ જાણકારી અનુસાર મોડાસા ક્ષેત્રમાં આ માટે યજ્ઞના મહત્વની અગાઉથી સૌને સોસીયલ મિડિયા તેમજ રુબરુ સંપર્ક દ્વારા વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.

સૌમાં ઉત્સાહ વધતા ૨૬ મે રવિવારે મોડાસા શહેર તેમજ ક્ષેત્રમાં ૪૭ ગામોમાં થઈ ૨૮૦૦ ( બે હજાર આઠસો )થી વધુ ઘરોમાં યજ્ઞ સંપન્ન થયા. જેમાં આ માટે ઔષધીય જડીબુટ્ટીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ હવન સામગ્રીથી ગાયત્રી મહામંત્ર તેમજ મહામૃત્યુંજય મંત્ર દ્વારા આહુતિઓ આપવામાં આવી. આ માટે ઔષધીય જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રી વિના મૂલ્યે તેમજ યજ્ઞ કર્મકાંડની યુ ટ્યૂબ લીંક તેમજ સરળ પત્રિકાઓ ગાયત્રી સાધકો દ્વારા ઘેર ઘેર પહોંચાડવામાં આવેલ.

જેથી સૌએ સરળ રીતે પોતાના ઘેર યજ્ઞ કર્યા. મોડાસા ક્ષેત્રમાં ૨૮૦૦ થી વધુ ઘરોમાં એક સાથે ગાયત્રી યજ્ઞ સંપન્ન થયા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.