ચુંટણી આચાર સંહિતા સમાપ્ત: હવે તંત્ર ધમધમતું થઈ જશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Western-3dlogo1-1024x591.jpg)
(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં લોકસભાની ર૬ બેઠકો માટેની સામાન્ય ચુંટણી અને વિધાનસભાની ખાલી પડેલી પ બેઠકો માટેની પેટા-ચુંટણી યોજવા માટે ભારતના ચુંટણી પંચે ૧૬મી માર્ચે જાહેરાત કરી હતી અને તેની સાથે જ ગુજરાતમાં ચુંટણી આચારસંહીતા અમલમાં આવી ગઈ હતી.
પરીણામ સ્વરૂપ ત્યારથી જ ગુજરાત સરકારી મંત્રીમંડળે કેબીનેટની બેઠક બોલાવી ન હતી. કે, પ્રજાને આકર્ષી શકાય તેવા કોઈ જ નિર્ણયો પણ લીધા ન હતા. દરમ્યાનમાં ગુજરાતમાં ૭મી, મેના રોજ ચુંટણી મતદાન યોજાઈ હતી. અને ૪થીજુને મત-ગણતરી બાદ તમામ બેઠકોનું પરીણામ પણ જાહેર થઈ ગયું છે. અને તેની સાથે જ હવે ભારતના ચુંટણી પંચે લોકસભાની સમગ્ર ચુંટણી પ્રક્રિયા સમાપ્ત થઈ હોવાની જાહેરાત કરી છે. તેની સાથે જ હવે રાજયમાં અમલમાં રહેલી ચુંટણી આચારસંહીતા પણ પુરી થઈ છે.
હવે ગુજરાત સરકાર સામાન્ય રીતે દર સપ્તાહના બુધવારે કે પછી તેની અનુકુળતાએ મંત્રીમંડળની બેઠક બોલાવી શકાશે. ચુંટણી આચારસંહીતાને કારણે મુખ્યમંત્રી સહીત તમામ મંત્રીઓ ભાજપના ચુંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાની તેઓ સચીવાલય સ્વર્ણીમ સંકુલ સ્થિત તેમની ઓફીસોમાં હાજર આપતાં ન હતા અને એટલે સમગ્ર સચીવાલયય સુનસામ ભાસતું હતું.
એ તો ઠીક છે. પણ જાણે સમગ્ર ગુજરાતનું વહીવટી તંત્ર પણ કોઈપણ જાતના નિર્ણયો સુચનો કે આદેશ વિના થંભી ગયું હોય એવી સ્થિતી સર્જાઈ હતી. હવે ચુંટણી આચારસંહીતા પુરી થયા બાદ મુખ્યમંત્રી સહીત તમામ મંત્રીઓ સ્વર્ણિમ સંકુલની ઓફસોમાં પરત ફરશે અને હવે તંત્ર પણ ધમધમતું થશે.