Western Times News

Gujarati News

સુરતમાં એક જ પરિવારના 7 સભ્યોને ગાડીએ અડફેટે લેતાં ત્રણનાં મોત નિપજતાં ભારે ચકચાર

મોટા વરાછા હિટ એન્ડ રનઃ પિતા – પુત્ર સહિત ત્રણનાં મોત-પોલીસ દ્વારા કાર ચાલક આરોપીની ધરપકડ કરવામાં આવી -એક જ પરિવારના સાત સભ્યોને અડફેટે લેનારા કાર ચાલક વિરૂદ્ધ લોકોનો ભારે રોષ 

(પ્રતિનિધિ) સુરત,  શહેરના મોટા વરાછા ખાતે રિંગરોડ ખાતે બેફામ દોડી રહેલી કારે એક જ પરિવારના સાત વ્યક્તિઓને અડફેટે લેતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. અમદાવાદથી પરત ફરી રહેલા કારના ચાલક દ્વારા સર્જવામાં આવેલા ગમખ્વાર અકસ્માતમાં મોડી રાત્રે જ એક બાળક સહિત બે વ્યક્તિનાં મોત નિપજ્યાં હતાં. જ્યારે આજે સવારે સારવારગ્રસ્ત વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

બીજી તરફ ગોઝારા હીટ એન્ડ રનને પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. પોલીસ દ્વારા હાલમાં કારના ચાલકની ધરપકડ કરવાની સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Devesh and Viyaan Vaghani, Surat

વેલંજા ગામે શિવ પાર્ક રેસીડેન્સીમાં રહેતા 22 વર્ષીય અજય રસીક મિયાણી રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

ગત રોજ અજય મિયાણીની બહેન હિરલ પોતાના મુળ વતન બોટાદ જવાના હોવાને કારણે તેઓ અન્ય બહેન તેજલ અને બનેવી દેવેશ તથા ભાણેજ વિયાન સહિત દિપીકા અને બનેવી સંકેત વાવડીયા પણ બાઈક પર મોટા વરાછા ખાતે આવેલ રિંગરોડ પર દુખિયાના દરબાર સર્કલ પાસે રોડની સાઈડમાં ખુલ્લી જગ્યામાં બાઈકો પાર્ક કરીને પરિવારજનો સાથે વાતચીત કરી રહ્યા હતા.

ઇકો ગાડીએ યુવકને અકસ્માત બાદ 200 મીટર જેટલો ઢસડ્યો

 

આ દરમિયાન 11.30 કલાકની આસપાસ સફેદ કલરની બેફામ દોડી રહેલી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતાં પરિવારના તમામ સભ્યોને અડફેટે લીધા હતા. ગમખ્વાર અકસ્માતને પગલે અજય મિયાણીને ડાબા પગના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી.

જ્યારે બંને બહેનો દિપીકા અને તેજલ સહિત બનેવી સંકેત અને ભાણેજ વિયાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગમખ્વાર અકસ્માતને પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું.

લોહી નિતરતી હાલતમાં તમામ ઘાયલોને 108 એમ્બ્યુલન્સ દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે 8 વર્ષીય ભાણેજ વિયાનને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. આ સિવાય બનેવી દેવેશ અને બેન તેજલ તથા હિરલને ગંભીર ઈજાઓને કારણે આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યારે બનેવી સંકેત વાવડીયાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાને કારણે તેઓને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું પણ મોડી રાત્રે મોત નિપજયું હતું.

આ દરમિયાન આજે સવારે સારવારગ્રસ્ત વિયાનના પિતા દેવેશ વાઘાણીનું પણ મોત નિપજતાં પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. એક જ પરિવારના સાત સભ્યોને અડફેટે લેનારા કાર ચાલક વિરૂદ્ધ ભારોભાર રોષ વચ્ચે ત્રણ – ત્રણ માસુમોના મોત નિપજતાં સમગ્ર શહેરમાં પણ ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે. જો કે, પોલીસ દ્વારા આરોપી કાર ચાલકને જીગ્નેશ ગોહિલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
મોટા વરાછામાં રિંગરોડ પર દુઃખિયાના દરબાર પાસે રોજેરોજ મોટી સંખ્યામાં લોકો કુદરતી હવા ખાવા માટે આવતાં હોય છે. આખા દિવસનો થાક ઉતારવાની સાથે પરિવારજનો સાથે મજાક – મસ્તી કરનારાઓને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે તેમની સાથે આવી ગોઝારી ઘટના સર્જાશે. બહેનો અને બનેવી સહિત ભાણેજ સાથે મજાક – મસ્તી કરી રહેલા યુવકને કાર ચાલકે અડફેટે લેતાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

કાર ચાલક દ્વારા સર્જવામાં આવેલા અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. એક જ પરિવારના સાત – સાત સભ્યોને કાર ચાલકે અડફેટે લેતાં લોકોએ પણ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરીને ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કાર ચાલકના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા
એક જ પરિવારના સાત સભ્યોને અડફેટે લેવાને કારણે વરાછા સહિત સમગ્ર શહેરમાં કાર ચાલક વિરૂદ્ધ ભારે રોષની લાગણી પ્રસરી જવા પામી છે. આ દરમિયાન માસુમ પુત્ર સહિત પિતાને મળી કુલે ત્રણનાં મોત નિપજ્યાં હોવાને કારણે પોલીસ દ્વારા પણ આ સમગ્ર પ્રકરણમાં તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની કચાશ ન રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે

અને તેને કારણે પોલીસના હાથે ઝડપાયેલા કાર ચાલક જીગ્નેશ ગોહિલની ધરપકડ બાદ તાત્કાલિક તેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. કાર ચાલક દ્વારા દારૂનું સેવન કરવામાં આવ્યું હતું કે કેમ તે અંગે બ્લડ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જ વધુ જાણકારી મળશે. જો કે, સ્થાનિકોનાં જણાવ્યા અનુસાર કાર ચાલક ફુડ સ્પીડમાં કાર હંકારી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

કાર ચાલક દર્દીને અમદાવાદ મુકવા ગયો હતો
સફેદ કલરની હોન્ડા સિટી કારમાં જીગ્નેશ ગોહિલ પોતાના સંબંધીને અમદાવાદ ખાતે સારવાર માટે મુકવા ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. કેન્સરથી પીડાતા દર્દીને અમદાવાદ ખાતે મુકીને જીગ્નેશ ગોહિલ સુરત પરત ફરી રહ્યો હતો ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

હાલમાં આરોપી દ્વારા ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. જો કે, આરોપી કાર ચાલકના બ્લડ ટેસ્ટના રિપોર્ટ આવ્યા બાદ જ હકીકત પરથી પડદો ઉંચકાશે. બીજી તરફ ઉતરાણ પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં આરોપી દરજીનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો

Iskon Bridge Accident: તથ્યની ગાડીની સ્પિડ 142 કિમી. હતી: FSL

નશામાં ધૂત કારચાલકે બાઈકચાલકોને 20 ફૂટ ઢસડ્યા

 

સજાથી બચવા સુપ્રીમ સુધી લડનારા વિસ્મય શાહે ત્રણ કરોડ રૂપિયા વેર્યા હતા?

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.