Western Times News

Gujarati News

પોલીસ વિભાગની વ્યક્તિઓને શા માટે સ્પેશિયલ ટ્રીટમેન્ટ અપાય છે?: હાઈકોર્ટ

અમદાવાદ, કન્યાદાન જ્વેલર્સમાં વર્ષ ૨૦૨૧માં અપહરણના એક કેસમાં ઘટના સ્થળે હાજર ત્રણ પૈકી બે પોલીસ કર્મચારીઓની કથિત ગુનામાં સંડોવણી હોવા છતાંય તેમને એફઆઈઆરમાં સામેલ નહીં કરવાનો ચોંકાવનારો મામલો હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત થયો હતો.

જેમાં જસ્ટિસ નિર્ઝર દેસાઇએ રાજ્ય સરકારને વેધક સવાલ કર્યાે હતો કે,‘શા માટે પોલીસ વિભાગની વ્યક્તિઓને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને તેમને એફઆઈઆરમાં આરોપી તરીકે કેમ દર્શાવાતા નથી?’ હાઇકોર્ટે આ મામલે અમદાવાદ રૂરલના એસ.પી.ને આદેશ કર્યાે છે, કે તેઓ વ્યક્તિગત સ્તરે સોગંદનામું કરીને સમગ્ર મામલે સ્પષ્ટતા કરે. કેસની વધુ સુનાવણી ૧૮મી જૂને રાખી છે.

આ કેસમાં અરજદાર તરફથી હાઇકોર્ટ સમક્ષ અરજી કરીને યોગ્ય આદેશ કરવાની દાદ માંગવામાં આવી હતી. જેમાં અરજદાર તરફથી એડવોકેટે રજૂઆત કરી હતી કે,‘હાઇકોર્ટના આદેશ બાદ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી અને આજ સુધી ચાર્જશીટ કરવામાં આવી નથી.

ત્રણ પોલીસ કર્મચારીઓ ગુનામાં સામેલ હતા તેમ છતાંય બેનું નામ એફઆઇઆરમાં સામેલ કરવામાં આવ્યું નથી. ૨ સપ્ટેમ્બર ૨૦૨૧માં કન્યાદાન જ્વેલર્સ પરના અપહરણ દરમિયાન હિતેશ ગોસ્વામી અને સુરેશ માળી નામના બે પોલીસ કર્મચારી હાજર હતા અને એ ગુના સમયના સીસીટીવી ફુટેજ પણ છે.

તેમ છતાંય તેમને એફઆઇઆરમાં આરોપી તરીકે દર્શાવ્યા નથી. જે અંગે હાઇકોર્ટે નોંધ્યું હતું કે, પ્રથમદર્શીય રીતે એવું જણાય છે સમગ્ર હકીકત પોલીસ વિભાગ સમક્ષ આવી હોવા છતાંય પોલીસ દ્વારા કેઝ્યુઅલ વલણ અપનાવવામાં આવ્યું છે.’

સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અમદાવાદ(રૂરલ)ને આદેશ કરાયો છે કે, આ મામલે જે બે પોલીસ કર્મચારી વિરુદ્ધ આક્ષેપો છે તે મામલે સોગંદનામામાં સ્પષ્ટતા કરવામાં આવે. અરજદારના અપહરણની ઘટના સીસીટીવીમાં ઘટના કેદ થઇ અને પોલીસની સંડોવણી હોવા છતાંય તેમને ફરિયાદમાં કેમ સંડોવી લેવાયા નથી. તે અંગે ૧૮મી જૂન સુધીમાં એસ.પી. સોગંદનામું કરે.’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.