Western Times News

Gujarati News

છેલ્લાં 10 વર્ષમાં 55 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો

પ્રતિકાત્મક

અમદાવાદ, રાજ્યમાં સરકારી શાળાઓમાં વધેલી શૈક્ષણિક સુવિધાઓ અને અન્ય માળખાગત સુવિધાઓની સાથે ટેક્નોલોજીના સમન્વયથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે, તેને પગલે સરકારી શાળાઓ સ્માર્ટ સ્કૂલમાં પરિર્વિતત થઇ રહી છે. આમ, રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સુધારવા માટે જે પ્રકારની કામગીરી થઇ રહી છે તેના પરિણામે એવું ફળ મળ્યું છે કે સેલ્ફ ફાઇનાન્સ શાળા છોડીને હવે વાલીઓ તેમનાં બાળકોને સરકારી શાળામાં મૂકતા થયા છે.

અમદાવાદ શહેરના છેલ્લાં ૧૦ વર્ષના આંકડા જોઇએ તો, કુલ ૫૫,૬૦૩ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી સરકારી પ્રાથમિક શાળામાં એડમિશન લીધું છે. જેમાં વર્ષ ૨૦૧૪-૨૦૧૫માં કુલ ૪૩૯૭ વિદ્યાર્થીઓ, ૨૦૧૫-૨૦૧૬માં ૫૪૮૧ વિદ્યાર્થીઓ, ૨૦૧૬-૨૦૧૭માં ૫૦૦૫ વિદ્યાર્થીઓ, ૨૦૧૭-૨૦૧૮માં ૫૨૧૯ વિદ્યાર્થીઓ, ૨૦૧૮-૨૦૧૯માં ૫૭૯૧ વિદ્યાર્થીઓ, ૨૦૧૯-૨૦૨૦માં ૫૨૭૨ વિદ્યાર્થીઓ, ૨૦૨૦-૨૦૨૧માં ૩૩૩૪ વિદ્યાર્થીઓ, ૨૦૨૧-૨૦૨૨માં ૬૨૮૯ વિદ્યાર્થીઓ, ૨૦૨૨-૨૦૨૩માં ૯૫૦૦ વિદ્યાર્થીઓ તેમજ ૨૦૨૩-૨૦૨૪માં ૫૩૧૫ જેટલા વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાઇનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.

આ અંગે વાત કરતા અમદાવાદ શાસનાધિકારી ડૉ. એલ.ડી. દેસાઈ કહ્યું કે, ‘રાજ્ય સરકારની શિક્ષણલક્ષી યોજનાઓ જેમકે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી પુરસ્કૃત સ્કોલરશીપ યોજનાઓ, રાજ્ય સરકાર દ્વારા ભરતી કરવામાં આવતા ઉચ્ચ લાયકાત ઘરાવતા તાલીમબદ્ધ શિક્ષકો, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગતની શાળાઓ, સ્માર્ટ શાળા, અદ્યતન કમ્પ્યૂટર લેબ, સાયન્સ લેબ, સ્કિલ ડેવલોપમેન્ટ અંતર્ગત પ્રોગ્રામ તેમજ માળખાકીય સુવિધામાં વધારો આ બધા પરિબળોને કારણે વાલીઓને દૃઢ વિશ્વાસ થયો છે કે તેમના બાળકને ખાનગી શાળાઓ કરતાં પણ અનેકગણું ગુણવત્તાલક્ષી શિક્ષણ મળી રહ્યું છે. એટલું જ નહીં, કોર્પોરેશનની સરકારી શાળાઓમાં તેમનાં બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય પણ તેઓ જોઇ રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે, સરકારી નીતિઓને કારણે પણ વાલીઓ સરકારી સ્કૂલ્સ તરફ વિચારતા થયા છે. રાજ્ય સરકારની શિક્ષણ વિષયક યોજનાઓ તેમજ બાળકોને મળતા લાભો વિશે વાલીઓને જાગૃત કરવામાં આવે છે. આ બધા પરિણામોને કારણે વાલીઓ સરકારી સ્કૂલમાં પણ ખાનગી સ્કૂલ કરતા શ્રેષ્ઠ શિક્ષણ મળે છે તે જાણ્યા, અનુભવ્યા અને મુલાકાત લીધા બાદ તેમનાં બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાંથી ઉઠાવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવે છે. એટલું જ નહીં, નવા શૈક્ષણિક સત્ર માટે પણ શિક્ષકોને એડમિશન માટેની જવાબદારી સોંપવામાં આવી છે. આ શિક્ષકો દરેક વિસ્તારમાં જઈ વાલીઓને મળી સરકારી સ્કૂલ્સમાં એડમિશન લેવાના ફાયદા અંગે જણાવી રહ્યા છે. આ વર્ષે ૩૧ ઓગસ્ટ ૨૦૨૪ સુધી એડમિશન પ્રોસેસ ચાલું રહેવાને કારણે આ વર્ષના આંકડામાં હજુ પણ વધારો થઇ શકે એમ છે.

જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન શ્રી ડૉ.સુજય મહેતાએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જ્યારે બે દાયકા અગાઉ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની કમાન સંભાળી ત્યારથી રાજ્યમાં શિક્ષણની નવતર પરિભાષા વિકસી હતી. કોઇ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે શાળા પ્રવેશોત્સવની વિચારધારા અત્યંત ઉપયોગી પુરવાર થઇ છે.

આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત શાળાઓની એકેડમિક સ્ટ્રેન્થ વધવી, માળખાકીય સુવિધાઓમાં વધારો થવો, રેસિડેન્શિયલ સ્કૂલ, સ્માર્ટ સ્કૂલ, આધુનિક પ્રયોગશાળાઓ, વિદ્યાર્થીઓને સ્કિલ ડેવલોપમેન્ટ અંગેના અભ્યાસક્રમો અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીને સક્રિય બનાવાથી પણ ઘણો ફાયદો થયો છે. આ સિવાય સરકારી શાળાઓમાં રમતગમતના મેદાન, હાઈટેક ટિચિંગ ક્લાસ, સ્વચ્છતા તથા ક્વોલિફાઈડ શિક્ષકો હોવાથી ખાનગી સ્કૂલ્સ સામે સ્પર્ધા શરૂ થઈ છે.

તેમણે ઉમેર્યું કે, સેલ્ફ ફાઇનાન્સમાંથી સરકારી શાળામાં આવવાનું મુખ્ય કારણ એ પણ છે કે, સરકારી શાળાઓમાં મળતું ગુણવત્તાયુક્ત શિક્ષણ તેમજ સમયની સાથે કદમથી કદમ મિલાવીને ટેક્નોલોજીયુક્ત શિક્ષણ, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણવિદ્ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ બધી ખાસિયતોને કારણે સ્વાભાવિક છે કે સરકારી શાળાઓમાં ખાનગી શાળા કરતાં સારી સુવિધાઓ મળતી હોવાથી વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ સરકારી શાળા તરફ આકર્ષાયા છે અને એડમિશન પણ વધ્યા છે. આલેખન : ગોપાલ મહેતા, પ્રાદેશિક માહિતી કચેરી – અમદાવાદ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.