Western Times News

Gujarati News

આતંકવાદીઓ સામે ભારતીય જવાનોને છુટો દોર અપાયો

બેઠકમાં ગૃહ સચિવ, અજીત ડોભાલ, રો, આઈબી અને લશ્કરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા-આતંકવાદને કચડી નાંખી તેને મદદ કરનારાઓને પણ નહી છોડવાનો સ્પષ્ટ આદેશ: અમરનાથ સહિતના ધાર્મિક સ્થાનોના રૂટ પર સુરક્ષા વધારાશે

(એજન્સી)નવી દિલ્હી,વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ યોગ દિવસે જમ્મુ-કાશ્મીર જવાના છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી આ વિસ્તારોમાં આતંકવાદી ઘટનાઓ વધતા જ કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે.

બે દિવસ પહેલા વડાપ્રધાને આ અંગે હાઈ લેવલની બેઠક કરી જમ્મુ-કાશ્મીરના મુદ્દે જરૂરી સુચના આપી હતી ત્યારબાદ આજે રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાઈ લેવલની બેઠક યોજી હતી જેમાં એનએસએ અજીત ડોભાલ, ભારતીય લશ્કરના અધિકારીઓ તથા અન્ય સુરક્ષા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ભારતીય જવાનોને આતંકવાદનો ખાત્મો બોલાવવા માટે છુટોદોર આપવામાં આવ્યો છે સાથે સાથે અમરનાથ સહિતના યાત્રાધામોના માર્ગ પર સુરક્ષા વધારવાનો નિર્ણય લેવાયો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે જમ્મુ-કાશ્મીરની સુરક્ષાને લઈને મોટી બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં શાહે સુરક્ષા અધિકારીઓને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને કચડી નાખવા અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. આ સાથે તેણે આતંકવાદના સમર્થકો સામે કાર્યવાહી કરવાનું પણ કહ્યું છે.

આ ઉપરાંત અમરનાથ યાત્રા માટે સંપૂર્ણ સુરક્ષા કવચ સુનિશ્ચિત કરવા, યાત્રાના માર્ગો પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા, રાજમાર્ગો પર વધારાના સુરક્ષા દળો તહેનાત કરવા અને તમામ યાત્રાધામો પર તકેદારી વધારવા માટે પણ અધિકારીઓને બેઠકમાં સૂચનાઓ આપવામાં આવી છે.

અને જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસન સ્થળોની સુરક્ષાને લઇ સૂચના આપી છે. સૂત્રોએ જણાવ્યું કે ગૃહમંત્રીએ જમ્મુ ક્ષેત્રમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા અને વર્તમાન સુરક્ષા સ્થિતિ અંગે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.

સૂત્રોએ જણાવ્યું કે ગૃહમંત્રીએ ઉચ્ચ સુરક્ષા અધિકારીઓને જમ્મુમાં સક્રિય આતંકવાદીઓ સુધી પહોંચવા માટે માનવ ગુપ્ત માહિતી એકત્રિત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે, તે માર્ગો અથવા પોઈન્ટ્‌સને બંધ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો જ્યાંથી વિદેશી આતંકવાદીઓ આ બાજુથી પ્રવેશ કરે છે.

બેઠકમાં, કાશ્મીર અને જમ્મુના તમામ પ્રવાસન સ્થળોની સુરક્ષા યોજનાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી અને આતંકવાદીઓ દ્વારા સંભવિત હુમલાઓને રોકવા માટેના પગલાં સુધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું કે ગૃહમંત્રીએ આગામી અમરનાથ યાત્રા માટે બહુસ્તરીય સુરક્ષા કવચ ગોઠવવાની પણ હાકલ કરી હતી. આ સાથે એ વાત પર પણ ભાર મુકવામાં આવ્યો હતો કે દરેક યાત્રિકોની સુરક્ષા કરવામાં આવે અને યાત્રા સલામત અને સુરક્ષિત વાતાવરણમાં કરવામાં આવે. તેમણે કહ્યું કે ગૃહમંત્રીએ બેઝ કેમ્પ સુધીના પ્રવાસ માર્ગોની સુરક્ષાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

વાર્ષિક યાત્રા ૨૯ જૂનથી શરૂ થશે અને ૧૯ ઓગસ્ટે સમાપ્ત થશે. આ બેઠકમાં કાશ્મીર અને જમ્મુના તમામ પ્રવાસન સ્થળો અને આકર્ષણોની સુરક્ષા યોજનાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને આતંકવાદીઓ દ્વારા સંભવિત હુમલાઓને રોકવા માટેના પગલાંને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. ગૃહમંત્રીએ કાશ્મીરમાં શાંતિપૂર્ણ પરિસ્થિતિ અને સ્થાનિક આતંકવાદીઓની ભરતીના અત્યાર સુધીના સૌથી નીચા ગ્રાફ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.