Western Times News

Gujarati News

પ્રાંત અધિકારીએ દહેગામ જનસેવા કેન્દ્રની ઓંચિતી મુલાકાત લેતાં કચેરીમાં સન્નાટો

અરજદારોની અરજી લખવાના બહાને કચેરીમાં ફરતા ચાર શખ્સો સામે કાર્યવાહી

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ સંબંધિત અધિકારીને સરકાર દ્વારા પારદર્શક રીતે નાગરિકો માટે સેવા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જયાં અમુક તત્વો કોઈપણ રીતે લાભ ન ખાટી જાય જે અંતર્ગત દહેગામ તાલુકાની મામલતદાર કચેરી જનસેવા કેન્દ્રની પ્રાંત અધિકારી શ્રી બ્રિજેશ મોડિયાએ ઓચિતી મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમ્યાન પિટીશન રાઈટર ન હોય તેવા અરજી સ્વીકારતા અને લખતાં ચાર જેટલા શખ્સોને જનસેવા કેન્દ્રની બહાર નીકળી જવા જણાવ્યું હતું.
ગાંધીનગર જિલ્લાની તમામ મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે આ કેન્દ્ર પરથી નાગરિકોને આવકનો દાખલો, જાતિનો દાખલો, નોન ક્રિમિનલ દાખલો, જમીન મહેસુલના દાખલા જેવી સરકારની અનેક વિવિધ સેવાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે.

જનસેવા કેન્દ્ર આજે રાજય સરકારની વિવિધ સેવાઓ માટે સ્થાનિક કક્ષાએ ઝડપી, વિશ્વસનીય અને પારદર્શક વહીવટનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે. ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવેની સૂચનાથી દહેગામ મામલતદાર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્રની પ્રાંત અધિકારીએ ઓચિંતી મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન તેમણે વિવિધ સેવાઓ અંગેની માહિતી કર્મચારીઓ પાસેથી મેળવી હતી.

તેમજ જનસેવા કેન્દ્રમાં આવેલા લાભાર્થીઓ અને નાગરિકો પાસે તેમના મુખે જનસેવા કેન્દ્રની કામગીરી અંગેનો અભિપ્રાય મેળવ્યો હતો. તેમની આ મુલાકાત દરમ્યાન ચાર વ્યક્તિઓ અન્ય લાભાર્થીઓની અરજી લખતા નજરે ચઢી ગયા હતા. પ્રાંત અધિકારીએ તેમની ઝીણવટપૂર્વક તપાસ કરી તેમની સામે લાલ આંખ કરીને તેમને જનસેવા કેન્દ્રમાંથી બહાર મોકલી દેવા માટેની સૂચના આપી હતી.

આ વાતથી સમગ્ર દહેગામ મામલતદાર કચેરીમાં સન્નાટો વ્યાપી ગયો હતો. પ્રાંત અધિકારીએ આ પ્રકારના વ્યક્તિઓ જનસેવા કેન્દ્રમાં ન આવે તે અંગેની સૂચના સંબંધિત અધિકારીને આપી છે તેમ છતાં કોઈપણ વ્યક્તિ આ રીતે આવે તો તેની સામે ફોજદારી ગુનો નોંધી કાર્યવાહી કરવા પણ સંબંધિત અધિકારીને ભારપૂર્વક જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.