ગુજરાતના જીવાદોરી સમાન ‘સરદાર સરોવર’ ડેમ 51 ટકાથી વધુ ભરાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/Sardar-Sarovar.jpg)
રાજ્યના ૧૧ જળાશયો ૫૦થી ૭૦ ટકા ભરાયા: કુલ ૨૦૬ જળાશયોમાં ૨૯ ટકાથી વધુ જળસંગ્રહ
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો પ્રારંભ થયો છે. ઉપરવાસમાં વરસાદના થવાથી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શકિતના ૫૧.૫૮ ટકા પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં આવેલું વંસલ જળાશય ૧૦૦ ટકા છલકાતાં હાઈએલર્ટ તેમજ ધોળી ધજા ડેમ ૮૮ ટકાથી વધુ ભરાતાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમ,જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
આજે સવારે પ્રાપ્ત થતા ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યના કુલ ૨૦૬માંથી એક જળાશય સંપૂર્ણ છાલકાયુ છે. જયારે ચાર જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા,૧૧ જળાશયો ૫૦ થી ૭૦ ટકા તેમજ ૩૩ જળાશયો ૨૫ થી ૫૦ ટકા સુધી ભરાયા છે એટલે કે રાજ્યના જળાશયોમાં કુલ સંગ્રહ શકિતના ૨૯.૬૦ ટકા પાણી સંગ્રહ થયું છે.
વધુમાં,ઉત્તર ગુજરાતના કુલ ૧૫ જળાશયોમાં ૨૫.૨૧ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૪૨ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૩૨ ટકા, કચ્છના ૨૦માં ૨૧ ટકા, જ્યારે સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૧૫ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.
રાજ્યના સરદાર સરોવર જળાશયમાં હાલમાં ૧૦,૮૨૨ ક્યુસેક,ઉકાઈમાં ૬,૨૯૩,ઉબેણમાં ૫,૯૧૬,મોજમાં ૩,૯૫૨ તેમજ બાટવા -ખારો જળાશયમાં ૩,૮૫૯ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તેમ,જળ સંપતિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.