Western Times News

Gujarati News

રાજ્ય સરકારની સહાયથી અનુસૂચિત જાતિના યુવાનોનું વિદેશ અભ્યાસનું સપનું થયું સાકાર

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ડૉ.બાબા સાહેબ આંબેડકર લોન સહાય યોજના હેઠળ ૨૦૧૯થી ૨૦૨૪ સુધીમાં અમદાવાદ જિલ્લામાંથી ૧૦૨૬ વિદ્યાર્થીઓને રૂ. ૧૫.૩૯ કરોડની લોન અપાઈ

અમદાવાદના ઘાટલોડિયામાં રહેતાં અર્ચિતાબેન હાલ કેનેડામાં અને બોપલમાં રહેતા સાર્થકભાઈ ફ્રાન્સની યુનિવર્સિટીમાં  ઉચ્ચ અભ્યાસ કરી સફળતાની કેડી કંડારી રહ્યા છે

જીવનમાં દરેક માણસનું કંઇ ને કંઇ ધ્‍યેય હોય છે, નાનપણથી જ દિલ અને દિમાગમાં કોઇ સપનું સજાવેલુ હોય છે. આ સપના ત્‍યારે જ સાકાર થાય છે, જ્યારે પૂરતી મહેનત કરવામાં આવી હોય તે સાથે કોઇની હૂંફ, માર્ગદર્શન અને યોગ્ય સમયે મદદ મળે. આપણે વાત કરવી છે અનુસૂચિત જાતિના એવા તેજસ્વી તારલાઓની કે જેમણે રાજ્ય સરકારની આર્થિક સહાયથી વિદેશમાં ભણવાના અરમાનો પૂરા કર્યા છે.

અમદાવાદ જિલ્‍લાના ઘાટલોડિયા વિસ્તાર ખાતે રહેતા અને કોન્ટ્રાક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રી પ્રવીણભાઈની દીકરી અર્ચિતાબેન બીઈ (કમ્પ્યૂટર એન્જિનિયરનો કોર્સ)નો અભ્યાસ અમદાવાદથી પૂર્ણ કર્યો હતો. અર્ચિતાને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરી માતા-પિતાનું સપનું સાકાર કરવું હતું. ધ્‍યેયને સિદ્ધ કરવા માટે સાહસની પણ જરૂર પડતી હોય છે.

ગ્રેજ્યુએશન બાદ માસ્ટર ડિગ્રી કરવા માટે તેને વિદેશમાં ભણવાની અદમ્ય ઇચ્છા હતી. અર્ચિતાના પિતાશ્રી પ્રવીણભાઈએ  દીકરીને વિદેશ ભણાવવાની ખૂબ ઇચ્છા હતી. એટલે અર્ચિતાને કેનેડાની કોનેસ્ટોગા યુનિવર્સિટીમાં પ્રવેશ માટે અરજી કરી અને તેમાં એડમિશન પણ મળી ગયું. આ સાથે જ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં તપાસ કરી.

ત્યાંથી તેમને જાણકારી મળી કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે રાજય સરકારશ્રી દ્વારા સાવ નજીવા વ્‍યાજના દરે રૂ. ૧૫ લાખ સુધીની લોન આપવામાં આવે છે. અર્ચિતાએ પણ આ લોન માટે અરજી કરતાં તેઓને માત્ર ૪ ટકાના વ્‍યાજ દરની રૂ. ૧૫ લાખની લોન મળતાં હાલ તે કેનેડાની કોનેસ્ટોગા યુનિવર્સિટીમાં આઇ.ટી.ના બીજા વર્ષમાં એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રીનો અભ્‍યાસ કરી રહી છે.

અર્ચિતાના પિતા પ્રવીણભાઈ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, મારી દીકરી કેનેડા વિદેશ અભ્યાસ માટે ગઇ છે. અને ડૉ. બાબાસાહેબ આંબેડકર લોન સહાય યોજના હેઠળ સમાજ કલ્યાણ કચેરીમાંથી અમને રૂ.૧૫ લાખની લોન મળી છે.

જેથી મારી દીકરી વિદેશમાં અભ્યાસ કરવા જઈ શકી છે. અને સરકારે અમારા સપના અને અરમાનો પૂરા કર્યા છે એટલે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. અર્ચિતા આજે કેનેડામાં અભ્યાસ કરી રહી છે તે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે.

અમદાવાદ નજીક શેલા ખાતે રહેતા સાર્થકભાઈ ને પણ વિદેશમાં અભ્યાસ કરવાનું  સપનું  હતું અને તેને પૂર્ણ કરવા માટે તેઓ સતત પ્રયત્નશીલ હતા. કોલેજના ગ્રેજ્યુએશન પછી  વિદેશ અભ્યાસ કરવા ઇચ્છતા સાર્થકે સમાજ કલ્યાણ ખાતામાં જાતે જ તપાસ કરી અને વિદેશમાં અભ્યાસ કરવા માટે સરકાર દ્વારા લોન મળતી હોવાની જાણકારી મેળવી હતી. ત્યારબાદ જરૂરી અરજી પ્રક્રિયા અને ડોક્યુમેન્ટેશન બાદ તેને રૂ. ૧૫ લાખની લોનની સહાય મળતાં તે આજે  નેન્ટેસ, ફ્રાન્સમાં સ્થિત ઓડેન્સિયા બિઝનેસ યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરી રહ્યો છે.

સાર્થકનાં  માતા સ્વાતિબહેને જણાવ્યું કે, વિદેશમાં અભ્યાસ માટે મારા દીકરા સાર્થકે જાતે જ બધી તપાસ કરી હતી અને લોન માટેની પ્રક્રિયા પણ તેણે કરી હતી. અમને સમાજ કલ્યાણ ખાતામાંથી રૂ. ૧૫ લાખની લોનની સહાય મળી હતી. સરકાર તરફથી લોનની સગવડ મળી એ સારી વાત છે. આ લોનથી મારો દીકરો વિદેશ જઇ શક્યો છે અને દોઢ વર્ષથી ફ્રાન્સમાં આવેલી ઓડેન્સિયા બિઝનેસ યુનિવર્સિટીમાં ભણવા માટે ગયો અને આ લોન થકી જ મારા દીકરાનું વિદેશમાં ભણવાનું સપનું  પૂરું થયું છે.

ગુજરાતનો અનુસૂચિત જાતિનો યુવાન પણ વિદેશમાં ભણી- ગણીને પોતાના સપના સાકાર કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે રૂ. ૧૫ લાખની લોન આપવામાં આવે છે. મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્‍વવાળી રાજ્ય સરકાર દ્વારા ગરીબો અને વંચિતોના વિકાસ માટે વિશેષ કાળજી લેવામાં આવે છે.

સમાજ કલ્યાણ ખાતાની લોન લઇને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ડૉ. બાબાસાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ લોન સહાય યોજના હેઠળ છેલ્લાં પાંચ વર્ષમાં અમદાવાદ જિલ્લામાં ૧૦૨૬ વિદ્યાર્થીઓને રૂ. ૧૫-૧૫ લાખ લેખે નાયબ નિયામક અનુસૂચિત જાતિની કચેરી દ્વારા રૂ. ૧૫.૩૯ કરોડની લોન આપવામાં આવી છે. રાજ્ય સરકારની આ આર્થિક મદદથી આ વિદ્યાર્થીઓએ વિદેશમાં જઇ ઉચ્ચ અભ્યાસ પૂરો કરી સફળતાની કેડી કંડારી છે. રાજયમાં આવા તો સંખ્‍યાબંધ વિદ્યાર્થીઓએ રાજય સરકારની મદદથી ઉજ્જવળ કારકીર્દીનું ઘડતર કર્યું છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • રહેઠાણના પુરાવા (રેશનકાર્ડ,વીજળી, બિલ,લાઇસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ)
  • અરજદારની જાતિ/ પેટા જાતિનો દાખલો.
  • શાળા છોડ્યાનો દાખલો
  • શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
  • વિદ્યાર્થીનું સોગંધનામું (અસલમાં)
  • પાસપોર્ટ
  • વિઝા
  • એર ટિકિટ
  • લોન ભરપાઈ કરવા અંગે પાત્રતાનો દાખલો
  • રૂ.૧૦૦ ના સ્ટેમ્પ પર જમીનદારનું જમીનખાતાનો નમૂનો પરિશિષ્ટ -ગ
  • મિલકતના વેલ્યુએશન રિપોર્ટ
  • મિલકતના આધાર (તાજેતરના 7-12 ના ઉતારા/ઇન્ડેક્સ રજૂ કરવી)
  • બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ/રદ કરેલ ચેક (અરજદારનું નામું)
  • આ યોજના હેઠળ કોઈ આવક મર્યાદા નથી
  • વિદેશની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલા હોય તેના પુરાવા.

અત્રે ઉલ્લેખનીય છે કે https://esamajkalyan.gujarat.gov.in/index.aspx?HodID=d9ZDtzzMLRb5TOrBe250+A== વેબસાઈટ પર જઈને  ડૉ. બાબાસાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ લોન સહાય માટે રજિસ્ટ્રેશન કરી શકાશે. વધુ વિગત માટે નાયબ નિયામક, અનુસૂચિત જનજાતિની કચેરી , અમદાવાદનો સંપર્ક કરી શકાય છે. – પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.