Western Times News

Gujarati News

રથયાત્રાને અનુલક્ષી મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી

file photo

લોકોના જાનમાલની સલામતી માટે જર્જરિત-ભયજનક ઇમારતો-મકાનો પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકો ત્યાં ન જાય તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીની તાકીદ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદની ૧૪૭મી જગન્નાથ રથયાત્રા માટે આઇ.જી. કક્ષાના અધિકારીઓથી લઈને પોલીસ કર્મીઓ સુધી મળી કુલ ૧૮,૭૮૪ સુરક્ષા કર્મીઓ રથયાત્રામાં ફરજ પર રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રથયાત્રાની ૧૪૭મી કડી સફળતાથી સાકાર થાય તે માટેના કાર્ય આયોજનની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી.

ગૃહ રાજ્યમંત્રી, મુખ્ય સચિવ, પોલીસ મહાનિદેશક બેઠકમાં ઉપસ્થિત રહ્યા. લોકોના જાનમાલની સલામતી માટે જર્જરિત-ભયજનક ઇમારતો-મકાનો પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકો ત્યાં ન જાય તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીની તાકીદ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી પરંપરાગત રથયાત્રાની ૧૪૭ મી કડી શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાકેશ, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય સહિત અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક

અને વરિષ્ઠ અધિકારીઓ આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળોએ યોજાતી રથયાત્રા જન ઉમંગ અને ઉલ્લાસનું ધર્મપર્વ છે તે સંદર્ભમાં કહ્યું કે, ભગવાનના દર્શન માટે લોકો જુના, જર્જરીત મકાનો કે ભયજનક ઇમારતોનો સહારો ન લે તે માટે પોલીસ અને સ્થાનિક પાલિકા તંત્ર સતર્ક રહે તે આવશ્યક છે.

તેમણે આવા પોઇન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકોને જાનમાલની સલામતીના કારણોસર ત્યાં જતા અટકાવવા ખાસ તાકીદ કરી હતી. અમદાવાદ મહાનગરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રા ૧૬ કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમજ રથયાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું હતું.

રથયાત્રાનું ઉમંગ પર્વ શાંતિ-સલામતી ભર્યા માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ તંત્રની પ્રતિબદ્ધતા દર્શાવતાં આ પ્રેઝન્ટેમશનમાં પોલીસ કમિશનરશ્રીએ જણાવ્યું કે, રથયાત્રાને સફળ બનાવવા માટે આઈ.જી. કક્ષાથી લઈને પોલીસ કર્મીઓ સુધી કુલ મળીને ૧૮,૭૦૦થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે ફરજરત રહેવાના છે. મુખ્યમંત્રી સમક્ષના આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું કે,

રથયાત્રામાં જોડાનારા રથો, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતશ્રીઓની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં ૪૫૦૦ જેટલા પોલીસ કર્મીઓ જોડાવાના છે. સમગ્ર યાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારૂ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં ૧૯૩૧ જવાનો તૈનાત રહેશે. એટલું જ નહિં, ૧૬ જેટલી ક્રેઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેમ મલિકે ઉમેર્યું હતું.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી કોઈ અફવા કે ખોટા-ગેરમાર્ગે દોરતા સમાચારો, વિગતો ક્યાંય પ્રસિદ્ધ થાય તો તેની સામે ત્વરાએ સત્ય હકીકતથી લોકોને વાકેફ કરવા પર પોલીસ તંત્ર વિશેષ ધ્યાન આપે તેવું સૂચન કર્યું હતુંઆ સંદર્ભમાં પોલીસ કમિશનરએ રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ પ્રબંધન અંગે જણાવ્યું કે, ૪૭ જેટલા લોકેશન્સિ પરથી ૯૬ કેમેરા, ૨૦ ડ્રોન, ૧૭૩૩ બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે.

આ ઉપરાંત ૧૬ કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર ખાનગી દુકાન ધારકોની સહભાગીતાથી ૧૪૦૦ જેટલા સી.સી.ટી.વી. કેમેરાથી પોલીસ કંટ્રોલરૂમ દ્વારા બાજ નજર રખાશે એમ પણ તેમણે ઉમેર્યું હતું. યાત્રા દરમિયાન કોઈ મેડિકલ ઈમરજન્સી ઊભી થાય કે કોઈ બનાવ બને તો તબીબી સેવાઓ માટે અમદાવાદ મહાપાલિકાની ત્રણ અને રાજ્ય સરકારની સિવિલ તથા સોલા સિવિલમાં મેડિકલ ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવશે.

આ ઉપરાંત પાંચ અર્બન હેલ્થ સેન્ટરમાં પણ તાત્કાલિક સારવાર મળી રહેશે. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની ૧૧ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની પાંચ એમ્બ્યુલન્સ પણ જરૂરિયાત મુજબ રથયાત્રામાં ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ રથયાત્રા દરમિયાન શહેરીજનોને મદદરૂપ થવાના આશયથી યાત્રા રૂટ પર ૧૭ જેટલા જન સહાયતા કેન્દ્રો પણ ઊભા કરવામાં આવશે તેમ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.