Western Times News

Gujarati News

ગુજરાતમાં કુલ ૨૪૭૦૦ જગ્યા ઉપર શિક્ષકોની ભરતી થશે

प्रतिकात्मक

સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતીને લઇને તૈયારી

(એજન્સી)ગાંધીનગર, રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્ડરને આખરી ઓપ આપ્યો છે. શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોર તેમજ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના સીધા માર્ગદર્શન હેઠળ આ સૂચિત ભરતી કેલેન્ડરનાં સમયબદ્ધ અમલીકરણ થકી

આગામી ઓગષ્ટ-૨૦૨૪થી ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન જુદી-જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે ૨૪,૭૦૦થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકારે રાજ્યના યુવાઓના વિશાળ હિતમાં કરેલા આ મહત્વપૂર્ણ આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી. ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ૧૨૦૦ જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકની અંદાજિત ૨૨૦૦ જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની તા. ૦૧/૦૮/૨૦૨૪ રહેશે.

ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ મળીને અંદાજે ૪૦૦૦ જેટલી જગ્યાઓ જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે ૭૫૦ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે ૩૨૫૦ જગ્યાઓનો સમાવેશ થાય છે તેની સંભવિત જાહેરાતની તા. ૦૧/૦૯/૨૦૨૪ રહેશે.

ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ ૩૫૦૦ જગ્યાઓ માટેની જાહેરાતની સંભવિત તા.૦૧/૧૦/૨૦૨૪ રહેશે જેમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ની ૫૦૦ જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયકની ૩૦૦૦ જગ્યા માટે ભરતી જાહેરાત થશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે ટેટ-૨ પાસ ઉમેદવારો માટેની અંદાજે ૭૦૦૦ જગ્યાઓ માટેની સંભવિત ભરતી જાહેરાતની તા. ૦૧/૧૧/૨૦૨૪ રહેશે.

સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (અન્ય માધ્યમ) ટેટ-૨ પાસ ઉમેદવારોની અંદાજે ૬૦૦ જેટલી જગ્યાઓ માટે સંભવતઃ તા. ૦૧/૧૧/૨૦૨૪ના રોજ જાહેરાત કરાશે.

આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે ટેટ-૧પાસ ઉમેદવારો માટેની અંદાજે ૫૦૦૦ જગ્યાઓ માટે તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે ટેટ-૧ પાસ ઉમેદવારો માટેની અંદાજે ૧૨૦૦ જગ્યાઓ માટે ભરતી માટે સંભવતઃ તા.૦૧/૧૨/૨૦૨૪ના રોજ જાહેરાત થશે. ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે, ટેટ-૧ અને ટેટ-૨ ઉમેદવારોના સંબંધિત પરીક્ષાના પ્રમાણપત્રની માન્યતાની અવધિ અંગે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વનાં નિર્ણયો કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, આ નિર્ણયો અનુસાર આજે જાહેર થયેલી ભરતીમાં ટેટ-૧ માં વર્ષ ૨૦૧૨ થી ૨૦૨૩ સુધી પાસ થયેલા તમામ ઉમેદવારો તથા ટેટ-૨માં ૨૦૧૧ થી ૨૦૨૩ સુધીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો ભરતી નિયમોની જોગવાઈ અનુસાર ઉમેદવારી કરી શકશે. આ ભરતી બાદ ૨૦૨૩માં ટેટ-૧ અને ટેટ-૨ પાસ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રની માન્યતાની અવધિ પ્રમાણપત્ર ઇશ્યુ કર્યાની તારીખથી ૫ વર્ષ અથવા તો એનસીટીઈ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત નવું માળખું જાહેર થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીની રહેશે.

એટલું જ નહીં, વર્ષ-૨૦૨૩ પહેલા ટેટ-૧ અને ટેટ-૨ પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર આ ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણાશે.
ત્યારબાદ વર્ષ-૨૦૨૩ પહેલાના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવાની રહેશે નહીં. તેમને વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના તા. ૨૯-૦૪-૨૦૨૩ના ઠરાવ પ્રમાણે સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે ટેટ-માધ્યમિક અને ટેટ ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવારો માટે વર્ષ ૨૦૨૩માં લેવાયેલ દ્વિ-સ્તરીય શિક્ષક અભિરૂચી કસોટીના પરિણામને જ ધ્યાને લેવામાં આવશે. ં


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.