Western Times News

Gujarati News

ગુજરાતના આ ગામમાં 100% શૌચાલયો સાથે ODF(ઓપન ડેફેકેશન ફ્રી) પ્લસ મોડલ વિલેજ બનેલું સિંગરવા ગામ

સંપૂર્ણ સ્વચ્છતા તરફ પ્રયાણ કરતું અમદાવાદનું સિંગરવા ગામ-સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ આદર્શ ગામનો પર્યાય બની રહેલું સિંગરવા ગામ

સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત ગામની અનોખી પહેલ સાથે સંપૂર્ણ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરવામાં આવતું હોય તેવું અનોખું સ્વચ્છ ગામ એટલે અમદાવાદનું સિંગરવા ગામ

પર્યાવરણ અને ગ્રામજનો માટે આશીર્વાદરૂપ, ઈ-રિક્ષા અને ઈ-ગ્રામ જેવી આધુનિક સુવિધાઓ પૂરી પાડતી સિંગરવા ગ્રામ પંચાયત

‘ચાલો જઈએ સંપૂર્ણ સ્વચ્છતા તરફ…..!’ એક એવું ગામ જ્યાં સ્વચ્છતા એ જ પ્રભુતા એમ માનવામાં આવે છે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ ODF (ઓપન ડેફેકેશન ફ્રી) પ્લસ મોડલ વિલેજ તરીકે સ્થાન પ્રાપ્ત થયું હોય, ગામમાં અમુક અંતરે સ્વચ્છતા રાખવા માટેનાં સૂચનો અને બેનરો દેખાઈ આવે, ગામમાં 100% ઘરોમાં શૌચાલયો હોય અને ગામમાં ઈ-રીક્ષા પણ ફરતી દેખાય! ગામમાં પ્રવેશતાં જ સ્વચ્છ જાહેર શૌચાલય પણ આવેલું હોય; સ્વચ્છતાના અને પર્યાવરણ માટેના આ બધા આયામોને પાર કરતાં એક આદર્શ ગામની શું તમે કલ્પના કરી શકો છો?

ઔદ્યોગિક વિસ્તારથી અડીને વસેલું 12,547ની વસ્તી ધરાવતું સિંગરવા ગામ અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાં આવેલું છે. ગામમાં જ્યાં નજર ફરે ત્યાં સ્વચ્છતા જ નજરે પડશે. સિંગરવા ગામ સ્વચ્છતા સિવાય પણ ઘણા બધા આયામોમાં એક આદર્શ ગામ તરીકે ઊભરી આવ્યું છે. તો આવો જઈએ એક આદર્શ ગામ સિંગરવાની સફરે….

સિંગરવા ગામમાં લોકોનો સંપ એવો છે કે 1962થી સમરસ ગ્રામ પંચાયત જોવા મળે છે. ગામના માળખામાં પણ એક આદર્શ ગામની ઝલક દેખાઈ આવે છે. સિંગરવા ગામનો વિકાસ ટાઉન પ્લાનિંગ કરીને કરવામાં આવ્યો છે.

સ્વચ્છતાના સંદર્ભે સિંગરવા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા આદર્શ પરિસ્થિતિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગામના સફાઈકર્મીઓ દ્વારા ગામના દરેક ખૂણાની સફાઈ કરવામાં આવે છે. ઈ-રિક્ષાની મદદથી સિંગરવા ગામમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરવામાં આવે છે. ગામના દરેક ઘરે કચરાપેટી રાખવામાં આવી છે. આ દરેક ઘરનો સૂકો કચરો અને ભીનો કચરો અલગ કરીને જ કચરાપેટીમાં નાખવામાં આવે છે. વેસ્ટ કલેક્શન કર્યા બાદ વેસ્ટ કલેક્શન ટીમ દ્વારા તે ઘરના સભ્યની વેસ્ટ કલેક્શન રજિસ્ટરમાં સહી લેવામાં આવે છે, જેથી કરીને ગામના દરેક ઘરનો વેસ્ટ કલેક્શનનો દૈનિક રિપોર્ટ બની શકે. આ પ્રકારની સચોટ અને ઝીણવટ ભરેલી પ્રક્રિયા શહેરી વ્યવસ્થામાં પણ શોધવી લગભગ અશકય જેવી જ છે!

સિંગરવા ગ્રામ પંચાયત દ્વારા ગામનો કચરો આ ઈ-રિક્ષા મારફતે સ્વખર્ચે એકત્રિત કરવામાં આવે છે. ગામની સીમમાં બનાવવામાં આવેલ ડમ્પિંગ યાર્ડમાં ગામનો બધો એકત્રિત કરેલો કચરો ઠાલવવામાં આવે છે. સરપંચશ્રીના કહેવા અનુસાર અમદાવાદ શહેરના ઔડાની સીમા સિંગરવા ગામને અડીને આવેલી હોવાથી ઔડાની મદદથી આ કચરાનો નિકાલ કરવામાં આવે છે. ગામમાં 100% ઘરોમાં ગટરલાઈન પહોંચી ગઈ છે. ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈન પણ નાખવામાં આવેલી છે. ગામમાં સેનિટેશનનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે.

સિંગરવા ગામના સફાઈકર્મી શ્રી ગુણવંતભાઈ અને શ્રી ચંદ્રિકાબહેનના કહેવા અનુસાર, તેઓને સિંગરવા ગ્રામ પંચાયત દ્વારા સફાઈ માટેની બધી વ્યવસ્થાઓ જેવી કે, સફાઈ માટેનો ગણવેશ, સેફ્ટી કેપ, સફાઈ કરવા માટેનાં સાધનો તથા ઈ-રિક્ષા પણ આપવામાં આવી છે. દર મહિને નિયમિત ધોરણે સિંગરવા ગ્રામ પંચાયત દ્વારા તેમના આરોગ્યની તપાસ કરવામાં આવે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ગામની ગટરલાઇન સાફ કરવા માટે ફક્ત અને ફક્ત મશીનોનો જ ઉપયોગ કરવામાં આવે છે. ગામના સફાઈકર્મીઓ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતી આ સગવડોથી સંતુષ્ટ છે.

ગામમાં 6 માધ્યમિક શાળાઓ, 3 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને 4 પ્રાથમિક શાળા સાથે ગામનો સાક્ષરતા દર 81.25% છે. ગામનાં બાળકોને શાળાના શિક્ષણ માટે બીજા ગામે જવું નથી પડતું. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેત મજૂરી, ગૃહ ઉદ્યોગ અને પશુપાલન છે. ગામના 100% રહેણાંક વિસ્તારમાં વીજળીની સુવિધા પહોંચી ગઈ છે. ગ્રામ પંચાયત દ્વારા ગામમાં પાકા અંતરિયાળ રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગામમાં ઈ-ગ્રામ થકી આધુનિકીકરણ પણ આવી ગયું છે.

સિંગરવા ગ્રામ પંચાયત અને અમદાવાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પ્રયત્નોથી સરકારી યોજનાઓના લાભ ગ્રામજનો સુધી પહોંચી છે. ગામમાં 43 જેટલાં સ્વસહાય જૂથો આવેલાં છે. મનરેગા યોજના હેઠળ 58 જોબકાર્ડ મંજૂર કરવામાં આવેલા છે. 20 જેટલા લોકો વૃદ્ધ પેન્શન સહાયનો લાભ લે છે. ઉપરાંત, વિધવા સહાય યોજના હેઠળ 220 જેટલી બહેનો સહાય મેળવે છે. વિધવા સહાય મેળવતા ભારતીબહેનના કહેવા મુજબ, વિધવા સહાયની રકમ તેમના જેવી વિધવા બહેનો માટે આશીર્વાદરૂપ છે. આ રકમથી વિધવા બહેનોને નાની મોટી મદદ મળી રહે છે. ઉજ્જવલા યોજનાનો લાભ લઈને ગામની 220 બહેનો સ્વચ્છ રસોઈ અને વાયુ પ્રદૂષણથી મુક્તિનો શ્વાસ લે છે.

સિંગરવા ગામમાં પર્યાવરણમાં હવા, પાણી અને જમીનની શુદ્ધતાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. ગામના દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચે છે. સિંચાઈ માટે પણ ખેડૂતોને પૂરતું પાણી મળી રહે છે. સૌથી અનોખી બાબત એ છે કે, સિંગરવા ગામમાં આવેલા 14 બોરનું ગ્રામ પંચાયત દ્વારા સ્વખર્ચે નિરીક્ષણ કરવામાં આવે છે. સરપંચ સુશ્રી સીતાબહેનના કહેવા અનુસાર, 4 બોરનું પાણી નિરીક્ષણ બાદ પીવાલાયક જણાઈ ના આવતા આ તમામ બોરને બંધ કરી દેવામાં આવ્યા છે. સમયે સમયે ગામમાં પીવાના પાણીના બોરની ચકાસણીની સરાહનીય કામગીરી ગ્રામ પંચાયત દ્વારા કરવામા આવે છે.

સિંગરવા ગામની ફરતે ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે, તેથી પ્રદૂષણનું જોવા મળે છે. આ સિવાય, ગામ દ્વારા હવાનું પ્રદૂષણ નહિવત્ પ્રમાણમાં ફેલાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા ઈ- રીક્ષા વસાવવામાં આવી છે.

આ ઉપરાંત, સિંગરવા ગ્રામ પંચાયત દ્વારા ગામના લોકો માટે વિવિધ ઈત્તર પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવે છે. ગ્રામ પંચાયત દ્વારા ગામમાં સ્કેટિંગ ટ્રેકવાળા પાર્ટી પ્લોટનું નિર્માણ કરવામાં આવ્યું છે. નજીવી કિંમત આપીને ગ્રામજનો આ પાર્ટી પ્લોટનો સામાજિક કે અન્ય પ્રસંગોમાં પણ ઉપયોગ કરી શકે છે. આ જગ્યા ઉપર ગ્રામ પંચાયત દ્વારા દૈનિક ધોરણે ફ્રી યોગ ક્લાસ ચલાવવામાં આવે છે. ગ્રામજનો નિયમિત ધોરણે આ યોગ ક્લાસમાં સહભાગી થાય છે.

સિંગરવા ગ્રામ પંચાયત દ્વારા સિંગરવાને પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પ્લાસ્ટિક મુક્ત સિંગરવા બનાવવા માટે ગામમાંથી પ્લાસ્ટિક દૂર થાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને કાપડની થેલીઓ આપવામાં આવે છે. સિંગરવા ગામ પ્લાસ્ટિકમુક્ત બને તે દિશામાં ગ્રામ પંચાયતની આ ખૂબ જ સારી પહેલ છે.

સિંગરવા ગામના તલાટી કમ મંત્રી શ્રી (ઈ. ચા.) વિજયભાઈ નિનામાના કહેવા અનુસાર, આવનારા સમયગાળામાં સિંગરવા સંપૂર્ણ રીતે પ્લાસ્ટિક મુક્ત બને તેવા સિંગરવા ગ્રામ પંચાયતના પ્રયત્નો છે. સિંગરવા ગામના રહેવાસીઓ પણ આ પ્રયત્નોમાં પૂરેપૂરા ભાગીદાર છે. ગ્રામજનોના અને ગ્રામ પંચાયતના પ્રયાસોથી સ્વચ્છ અને આદર્શ ગામ સિંગરવા સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત પણ બની રહેશે, તેવી તેમને આશા છે. -શ્રદ્ધા ટીકેશ, અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.