Western Times News

Gujarati News

મારે દરેક સીનમાં ઊંડાણ જોઈએ છે: નવાઝુદ્દીન

મુંબઈ, નવાઝુદ્દીન સિદ્દીકી હંમેશા પડકારજનક રોલ સ્વીકારીને તેમાં જીવ રેડીને કામ કરવા અને તેના ફૅન્સને ક્યારેય નિઃરાશ ન કરવાના પ્રયત્નો કરે છે. પછી તે ‘ગેંગ્ઝ ઓફ વાસેપુર’થી લઈને ‘સેક્રેડ ગેમ્સ’ હોય કે પછી ‘હડ્ડી’ કે પછી ‘રમન રાઘવ ૨.૦’, તેણે પોતાના અભિનયથી હંમેશા દર્શકોને પ્રભાવિત કર્યા છે. હવે નવાઝુદ્દીન વિવાદાસ્પદ આસામીઝ જજ ઉપેન્દ્ર નાથ રાજખોવાની ભૂમિકા નીભાવી રહ્યો છે.

તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં નવાઝુદ્દીને કહ્યું કે તે આ ફિલ્મને અલગ દૃષ્ટિકોણથી બતાવવાની કોશિશ કરે છે. તેણે કહ્યું,“હું આ વિષય પર ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યો છું. આ ફિલ્મ ઉપેન્દ્રનાથ રાજખોવાના જીવન પર આધારિત છે. તેઓ આસામમાં એક ન્યાયાધીશ હતા.

આ વિષય પર ઘણી ચર્ચાઓ અને અહેવાલો પ્રકાશિત થઈ ચૂક્યા છે. લોકોને તેમના પર ફિલ્મ બનાવવી છે. પણ મારે તેના પર કોઈ બીબાઢાળ ફિલ્મ નથી બનાવવી. હું ઇચ્છું છું કે દરેક સીનમા ઊંડાણ હોય, જેમકે, તમે એકલા પણ બેઠાં હોય, તમારા મનમાં શું ચાલે છે, ત્યારે તમને કયા વિચાર આવે છે. મારે ૧૫ મિનિટના ૧૦થી ૧૨ સીન જ બનાવવા છે, જેમાં એક વ્યક્તિના વિચાર પર જ ફોકસ કરવું છે.”

આ પ્રકારના જટિલ પાત્ર વિશે વાત કરતાં નવાઝે જણાવ્યું,“મારી ફિલ્મમાં એક પાત્ર છે, જે શિક્ષિત છે અને જેનું અદભૂત મગજ છે, પરંતુ એ તેની પત્નિ અને ત્રણ બાળકોની હત્યા કરે છે. એક પ્રબુદ્ધ મગજ આ પ્રકારનું કૃત્ય કઈ રીતે કરી શકે? એ શું વિચારતો હશે? તેના મનમાં શું ચાલતું હશે? મારે એ જ બતાવવુ છે.

તેથી હું આ ફિલ્મ પર કામ કરી રહ્યો છું અને હું જ એ પ્રોડ્યુસ કરી રહ્યો છું.” આ ફિલ્મ ધુબ્રી, આસામના જજ રાજખોવા પર આધારિત છે, જેમણે ૧૯૭૦માં પોતાની પત્ની અને ત્રણ દિકરીઓની હત્યા કરી હતી. આ એક એવો બહુચર્ચિત અને ચકચારી કિસ્સો હતો કે તેના વિશે આજે પણ ચર્ચાઓ થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.