Western Times News

Gujarati News

ભારત સરકાર દ્વારા પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત દેશવ્યાપી 60 રેશનની દુકાનો જણપોષણ કેન્દ્રમાં ફેરવાશે

અસારવા ખાતે જન પોષણ કેન્દ્રની મુલાકાત લેતા ભારત સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થા વિભાગના સંયુક્ત સચિવ શ્રી રવિશંકર

જન પોષણ કેન્દ્ર એટલે ફૂડ સિક્યોરિટીથી ન્યુટ્રીશન સિક્યોરિટી તરફનું પ્રયાણ: સંયુક્ત સચિવ શ્રી રવિશંકર

અમદાવાદના અસારવામાં આવેલા જન પોષણ કેન્દ્રની મુલાકાત કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થા વિભાગ, ભારત સરકારના સંયુક્ત સચિવ શ્રી રવિશંકર દ્વારા લેવામાં આવી હતી.

ભારત સરકાર દ્વારા પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત દેશવ્યાપી 60 રેશનની દુકાનોને જનપોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદની પંદર ઝોનલ કચેરીઓના વિસ્તારમાં પણ આવી રેશનની દુકાનો જનપોષણ કેન્દ્ર તરીકે કાર્યરત કરવામાં આવી છે. ભારત સરકારના સંયુક્ત સચિવ શ્રી રવિશંકરે આ દુકાનો પૈકીની અસારવામાં ચાલી રહેલ શ્રી ગિરીશભાઈ મોદીની રેશનની દુકાનની મુલાકાત લઈને જનપોષણ કેન્દ્ર તરીકે ચાલી રહેલ આ દુકાનની પ્રત્યક્ષ કામગીરી નિહાળી હતી.

ભારત સરકારના સંયુક્ત સચિવ શ્રી રવિશંકરે કહ્યું હતું કે, આપણે હવે ફૂડ સિક્યોરિટીથી ન્યુટ્રીશન સિક્યોરિટી તરફ પ્રયાણ કરવાનું છે. રેશન અને કંટ્રોલ જેવા શબ્દોમાંથી મુક્ત થઈને હવે પોષણ જેવા શબ્દોનો પ્રયોગ થાય તે રીતે ભારત સરકાર દ્વારા રેશન સાથે પોષણ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સાથે જ તેમણે જન પોષણ કેન્દ્રમાં નવી ટેકનોલોજીના પ્રયોગો અને ડેવલપમેન્ટ ઉપર પણ ભાર મૂક્યો હતો. રેશન દુકાનના વિતરકો ફક્ત અનાજ જ નહિ પરંતુ તેની સાથે અન્ય વસ્તુઓનું પણ વેચાણ કરી શકશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે પુરવઠા નિયામક શ્રી તુષાર ધોળકિયા, અમદાવાદના અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક શ્રી વી. કે. પટેલ, નાયબ નિયત્રંક શ્રી ડૉ. મૃણાલદેવી ગોહિલ સહિતના પુરવઠા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ રેશનની દુકાનના વ્યાપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.