Western Times News

Gujarati News

ઇલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયના આ ચુકાદાને કારણે મહિલાઓ ગેરમાર્ગે દોરાતી અટકશે

મહિલાને ડરાવીને અથવા ગેરમાર્ગે દોરીને શારીરિક સંબંધ બનાવવો એ બળાત્કાર છે

ઇલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયે એક ચુકાદામાં કહ્યું ન્યાયમૂર્તિ અનિસ કુમાર ગુપ્તાએ આ ટિપ્પણી કરતાં આગ્રાના રાઘવ કુમાર નામના એક વ્યક્તિની અરજી ફગાવી દીધી હતી

ઇલાહાબાદ, ઇલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયે એક ચુકાદામાં કહ્યું છે કે કોઈ વ્યક્તિ ભલે મહિલાની સંમતિથી તેની સાથે શારીરિક સંબંધ બનાવે, પરંતુ જો મહિલા ડરીને અથવા ગેરમાર્ગે દોરવાઈને આવી સંમતિ આપે તો આવા સંબંધને બળાત્કાર જ માનવામાં આવશે. ન્યાયમૂર્તિ અનિસ કુમાર ગુપ્તાએ આ ટિપ્પણી કરતાં આગ્રાના રાઘવ કુમાર નામના એક વ્યક્તિની અરજી ફગાવી દીધી હતી.

રાઘવે બળાત્કારના કેસને પડકારતાં ઉચ્ચ ન્યાયાલયનો સંપર્ક કર્યો હતો. તેના પર આરોપ છે કે તેણે એક મહિલાને લગ્નનું ખોટું વચન આપીને તેની સાથે બળાત્કાર કર્યો હતો. રાઘવે આ કેસમાં પોલીસ દ્વારા દાખલ કરાયેલા આરોપનામાને રદ કરવાની અદાલતને વિનંતી કરી હતી.

કેસના તથ્યો અનુસાર, એક મહિલાએ રાઘવ વિરુદ્ધ આગ્રાના મહિલા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (ૈંઁઝ્ર)ની કલમ ૩૭૬ (બળાત્કાર) હેઠળ કેસ નોંધાવ્યો હતો, જેની તપાસ બાદ પોલીસે ૧૩ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ આગ્રાની જિલ્લા અને સત્ર અદાલતમાં રાઘવ વિરુદ્ધ આરોપનામું દાખલ કર્યું હતું. મહિલાનો આરોપ છે કે રાઘવે પ્રથમ વખત તેને બેભાન કરીને શારીરિક સંબંધ બનાવ્યો હતો અને ત્યારબાદ તે લગ્નનું ખોટું વચન આપીને લાંબા સમય સુધી જાતીય શોષણ કરતો રહ્યો.

અરજદારના વકીલે દલીલ કરી કે આરોપી અને ફરિયાદી મહિલા એકબીજાને જાણતા હતા અને સાથે સાથે સિવિલ સેવા પરીક્ષાની તૈયારી પણ કરી રહ્યા હતા. વકીલે એવી પણ દલીલ કરી કે બંને વચ્ચે સંમતિથી શારીરિક સંબંધો બન્યા, જે લાંબા સમય સુધી ચાલ્યા, તેથી આરોપી રાઘવ વિરુદ્ધ બળાત્કારનો કેસ બનતો નથી.

બીજી તરફ, રાજ્ય સરકારના વકીલે અરજીનો એમ કહીને વિરોધ કર્યો કે બંને પક્ષો વચ્ચે શારીરિક સંબંધોની શરૂઆત છેતરપિંડી પર આધારિત છે અને રાઘવે બળજબરીથી સંબંધો બનાવ્યા, જેના માટે મહિલા તરફથી કોઈ સંમતિ નહોતી, તેથી આ બળાત્કારનો સ્પષ્ટ કેસ છે.

અદાલતે બંને પક્ષોની જિરહ સાંભળ્યા અને પુરાવાઓ પર ધ્યાન આપ્યા બાદ ૧૦ સપ્ટેમ્બરે આપેલા તેના ચુકાદામાં કહ્યું, “કારણ કે અરજદાર દ્વારા શરૂઆતના સંબંધો છેતરપિંડી, ધમકી સાથે અને મહિલાની ઇચ્છા વિરુદ્ધ સ્થાપિત કરવામાં આવ્યા હતા, તેથી પ્રથમ દૃષ્ટિએ આ ૈંઁઝ્રની કલમ ૩૭૬ (બળાત્કાર) હેઠળ ગુનાનો કેસ બને છે. તદનુસાર, આ અદાલતને (આરોપી વિરુદ્ધ) ફોજદારી કેસ રદ કરવાનું કોઈ યોગ્ય કારણ દેખાતું નથી.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.