Western Times News

Gujarati News

રવિચંદ્રન અશ્વિને ઈતિહાસ રચ્યો: ટીમ ઈન્ડિયાની પ્રથમ ટેસ્ટમાં શાનદાર જીત

ભારતે બાંગ્લાદેશને ૨૮૦ રનથી હરાવ્યું -ભારતે બાંગ્લાદેશને ૫૧૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો જવાબમાં મહેમાન ટીમ ૨૩૪ રનમાં સમેટાઈ ગઈ હતી

ચેન્નાઈ, ટીમ ઈન્ડિયાએ ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશને ૨૮૦ રનથી હરાવ્યું છે. ભારતે બાંગ્લાદેશને ૫૧૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં મહેમાન ટીમ ૨૩૪ રનમાં સમેટાઈ ગઈ હતી. રવિચંદ્રન અશ્વિને ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું.

અશ્વિને પ્રથમ દાવમાં સદી ફટકારી હતી અને બીજી ઈનિંગમાં ૬ વિકેટ ઝડપી હતી. ભારતે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે. ભારતની જીતમાં ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને મોટો ફાળો આપ્યો હતો. તેણે બોલ અને બેટથી કમાલ કરીને ટીમ ઈન્ડિયા માટે ડબલ ધમાલ મચાવી હતી. ભારતીય ટીમની જીતનો હીરો આર. અશ્વિન હતો, જેણે બીજા દાવમાં છ વિકેટ લીધી હતી. આ મેચમાં અશ્વિને સદી પણ ફટકારી હતી.

અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં ૩૭મી વખત એક ઇનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી છે. તમને જણાવી દઈએ કે ત્રીજા દિવસે લંચ બાદ ભારતીય ટીમે ચાર વિકેટે ૨૮૭ રન બનાવીને તેનો બીજો દાવ ડિકલેર કર્યો હતો. ભારતે પ્રથમ દાવમાં ૩૭૬ રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ તેની પ્રથમ ઈનિંગમાં ૧૪૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતને પ્રથમ દાવમાં ૨૨૭ રનની લીડ મળી હતી.

રવિચંદ્રન અશ્વિન (૧૧૩) અને રવિન્દ્ર જાડેજા (૮૬) ભારતની પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરતા સ્ટાર હતા. જ્યારે બાંગ્લાદેશ તરફથી ૨૪ વર્ષના હસન મહમૂદે સૌથી વધુ ૫ વિકેટ લીધી હતી. ચેન્નાઈ ટેસ્ટના પ્રથમ દિવસે પ્રથમ ઈનિંગમાં ભારતીય ઈનિંગ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ભારતની ત્રણ વિકેટ, રોહિત (૬), ગિલ (૦), કોહલી (૬) ૩૪ રનમાં પડી ગયા. રિષભ પંત (૩૯) લયમાં દેખાઈ રહ્યો હતો, પરંતુ તે પણ હસન મહેમૂદનો શિકાર બન્યો હતો.

યશસ્વી જયસ્વાલ વિકેટ પર ટકી રહ્યો અને આઉટ થતા પહેલા તેણે ૫૬ રનની ઇનિંગ રમી, પરંતુ ૧૪૪ના સ્કોર પર તે નાહિદ હુસૈનના બોલ પર સ્લિપમાં ઉભેલા શાદમાન ઇસ્લામના હાથે કેચ આઉટ થયો. ત્યારબાદ આ સ્કોર પર કેએલ રાહુલ ૫૨ બોલમાં ૧૬ રન બનાવીને આઉટ થયો હતો. આ પછી રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ ભારતની ઇનિંગ સંભાળી હતી.

હસન મહમૂદની પાંચ વિકેટ ઉપરાંત તસ્કીન અહેમદે ૩ વિકેટ ઝડપી હતી. જ્યારે મેહદી હસન મિરાજ અને નાહીદ રાણાને ૧-૧ સફળતા મળી હતી. હસન મહમૂદ બાંગ્લાદેશ તરફથી ભારતની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો છે.

ઘરની ધરતી પર ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ૨૦૧૨થી ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે સારી રમત બતાવી છે. ત્યારથી ભારત ઘરઆંગણે એક પણ ટેસ્ટ શ્રેણી હાર્યું નથી. એટલે કે નવેમ્બર ૨૦૧૨થી ભારત સતત ૧૭ ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં અપરાજિત છે. બીજી તરફ બાંગ્લાદેશી ટીમ પાકિસ્તાનને સીરીઝમાં ૨-૦થી હરાવ્યા બાદ ભારત આવી છે. આવી સ્થિતિમાં તેનું મનોબળ ઉંચુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.