Western Times News

Gujarati News

300 કરોડનાં ખર્ચે 5000 વડીલો માટેનું વિશ્વનું સૌથી મોટું, નિશુલ્ક સદભાવના વૃધ્ધાશ્રમ રાજકોટમાં આકાર લેશે

અમદાવાદ તા. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ – રાજકોટ-જામનગર હાઇવે ઉપર રામપર ખાતે “માતૃદેવો ભવ પિતૃદેવો ભવ”ની ભાવના ચરિતાર્થ કરવા માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના સેવાભાવી અને દાનવીર લોકોના સહયોગથી ભારતનાં સૌથી મોટાં ‘સદભાવના વૃધ્ધાશ્રમ’ના નવા પરિસરનું 30 એકર જગ્યામાં નિર્માણ થવા જઈ રહ્યું છે. The world’s largest, free of cost old age home for 5000 elders will take shape in Rajkot with a cost of Rs.300 crore

આ વૃધ્ધાશ્રમ બનાવવાનો ખર્ચ અંદાજે રૂ. ૩૦૦ કરોડ છે. જેમાં 11 માળના 7  નવા બિલ્ડિંગમાં ૫૦૦૦ નિરાધાર, પથારીવશ, બીમાર વડીલો માટે ૧૪૦૦ રૂમ તૈયાર કરવામાં આવશે. આ સંદર્ભે રાજકોટમાં ૨૩ નવેમ્બર થી ૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી પરમ પૂજ્ય સંત શ્રી મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે અમદાવાદમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેલા કેટલાંક પત્રકાર મિત્રોએ માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના આ સેવાકીય ભગીરથ કાર્યમાં ફુલ નહી તો ફુલની પાંદડી સ્વામી પરમ પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજીને અર્પણ કરી હતી. આ ખૂબ જ પ્રસંશનીય અને અભૂતપૂર્વ ઘટના છે તેમ સ્વામીજીએ ભેટ સ્વીકારતી વખતે આશીર્વચન સ્વરૂપે જણાવ્યું હતું.

હિન્દુ ધર્માચાર્ય મહાસભાના આંતરરાષ્ટ્રીય કન્વીનર અને મહામંત્રી તેમજ શ્રી શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ અને સદભાવના વૃદ્ધાશ્રમના સંરક્ષક પરમ પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં “માતૃદેવ ભવ” -“પિતૃ દેવો ભવ” આવી ભાવનાનો પણ હ્રાસ થયો છે, જેથી અનાથ, નિરાધાર, જેનું કોઈ નથી એવા વડીલોની સેવામાં વધુને વધુ લોકો જોડાતા રહે એ આજના સાંપ્રત સમયની માંગ છે.

છેલ્લા કેટલાક વર્ષોથી “ઓછા બાળ જય ગોપાલ”ની માનસિકતાના લીધે કુટુંબમાં બાળકોની સંખ્યા ઘટી ગઈ છે, તદુપરાંત સંયુક્ત કુટુંબો રહ્યા નથી. આવા કારણોને લીધે સમાજના બધા જ સ્તરના વડીલો માટે વૃધ્ધાવસ્થા બહુ જ પીડાજનક બને છે. સમાજમાં પૈસાવાળા હોય કે દિકરા દિકરી વિદેશ પરણ્યા હોય કે પછી પોતાનું વતન છોડી વ્યવસાય અર્થે ભારતના કોઈપણ ખૂણે રહેતા હોય એવા સમયે ઘરના વડીલો નિરાધાર થઈ જાય છે.

આમ જોવા જઈએ તો સૌથી કફોડી સ્થિતિ શ્રમીક વર્ગની છે, જેવા કે રીક્ષાવાળા, થેલાવાળા, મજુર, ઘરકામ કરતી બાઈઓ, આયાબહેનો વગેરેની સ્થિતિ કફોડી ત્યારે થાય છે જ્યારે તેઓ શારીરીક રીતે કંઈ કરી શકતા ન હોય.

સમાજના આવા લોકોની સ્થિતિ જોઈને, તેમના પ્રત્યેની અનુકંપાથી પ્રેરાઈને સદભાવના વૃધ્ધાશ્રમની શરૂઆત કરવામાં આવી છે. સદભાવના વૃધ્ધાશ્રમમાં બધા જ સ્વયંસેવકો નિષ્કામ ભાવે સેવા કરે છે. સદભાવના વૃધ્ધાશ્રમની સમગ્ર ટીમને સંસ્થામાં સેવા પામતા વૃદ્ધોના અંતરના આશીર્વાદ મળ્યા જેના લીધે સદભાવના સંસ્થાનો વિકાસ થયો. આજે ૬૫૦ જેટલા વૃધ્ધોની સેવા થઈ રહી છે જેમાં ૨૦૦ થી વધુ વડીલો તો પથારીવશ છે “ડાઈપર”ઉપર છે, એટલે તેમને તૈયાર કરવા, કપડા બદલવા, ખવડાવવું, આ બધુ કરવાવાળા કાર્યકર્તાઓ પણ નિષ્ઠાથી કામ કરે છે.

પરમ પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજીએ વધુમા જણાવ્યું હતું કે, વડીલોના અંતરના આશીર્વાદ જે સંસ્થાને અવિરત મળ્યા કરે છે અને સમગ્ર ગુજરાતના તેમજ વિશેષ રીતે રાજકોટના ધર્મપ્રેમી, સેવાભાવી દાતાઓના દાનની સરવણીને  ધ્યાનમાં રાખી માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ હવે રાજકોટ-જામનગર હાઇવે ઉપર રામપર ખાતે ૩૦ એકર જમીનમાં-૫૦૦૦ જેટલા વૃધ્ધો રહી શકે તેવા ૧૪૦૦ રૂમોવાળા એક વિશાળ વૃધ્ધાશ્રમનું નિર્માણ કરવા જઈ રહ્યું છે.

આ વૃધ્ધાશ્રમ અંદાજે આવતા બે વર્ષમાં પૂર્ણ કરવા માટે સંસ્થા સાથે જોડાયેલા સંસ્થાના કાર્યકરો અવિરત મહેનત કરી રહ્યા છે. આ વૃધ્ધાશ્રમમાં મંદિર, અન્નપૂર્ણા ગૃહ, પુસ્તકાલય, કસરતના સાધનો, યોગ રૂમ, દવાખાનું, ગાર્ડન, કોમ્યુનીટી હોલ , બાગ બગીચા સહિતની અદ્યતન તમામ સુવિધા  પરિસરમાં  જ મળી રહેશે. સમગ્રપણે ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ પ્રકારનું દિવ્ય આયોજન કરવાનો માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટનો પ્રયાસ છે.

સદભાવના વૃદ્ધાશ્રમના પ્રમુખ વિજય ડોબરીયાએ આ પ્રસંગે જણાવ્યુ હતું કે સદભાવના વૃધ્ધાશ્રમમાં સામાજીક કે શારિરીક રીતે અશકત હોય તેવા કોઈપણ ઉંમરના વ્યકિતઓને, નાતજાત કે ધર્મના ભેદભાવ વગર, હરખભેર આવકારવામાં આવે છે. જો કોઈ નિરાધાર, નિઃસહાય, પથારીવશ કે બીમાર વ્યકિત ધ્યાનમાં આવે,તો તેને સદભાવના વૃધ્ધાશ્રમ સુધી પહોંચાડી શકાય છે.

નિસંતાન, નિરાધાર, અપરિણત અને પથારીવશ વડીલો જયારે પોતાનાં રહયાં સહયાં જીવનને અભિશાપ ગણી, દિવસો વિતાવતા હોય, તેવા એકલવાયા લોકો સદભાવના વૃધ્ધાશ્રમ પરીવારના સભ્ય બન્યા પછી આયખાંના બાકી રહેલા દિવસો સુખ–શાંતિ અને હર્ષથી વિતાવતા, ચહેરા પર સ્મિત ધારણ કરેલા જોવા મળે છે. જે સદભાવના વૃધ્ધાશ્રમ માટે સંતોષની ચરમસીમા સમું દૃશ્ય છે.

સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ ભાગરૂપે માત્ર વૃક્ષારોપણ જ નહી, વૃક્ષોનું જતન અને ઉછેર કરવામાં આવે છે, અત્યાર સુધીમાં 30 લાખથી વધુ વૃક્ષોનું પીંજરા સાથે વાવેતર ગુજરાતમાં થઈ ચૂકયું છે તેમજ મીયાવાંકી જંગલોના માધ્યમથી 70 લાખ વૃક્ષો સાથે 400 ટેન્કર, 400 ટ્રેક્ટર અને 1600 માણસનો પગારદાર સ્ટાફની મહેનતથી વાવવામાં આવ્યા છે.સમગ્ર ભારતમાં 150 કરોડ વૃક્ષો વાવવાનો,ઉછેરવાનો  સંસ્થાનો ધ્યેય છે.

સદભાવના વૃદ્ધાશ્રમના સલાહકાર મિત્તલ ખેતાણીએ આ પ્રસંગે ગુજરાતના તમામ નાગરિકોને અપીલ કરી હતી કે આપના ધ્યાનમાં કોઈ નિરાધાર, નિઃસહાય, પથારીવશ કે બીમાર વ્યકિત આવે તા તુરંત સદભાવના ટ્રસ્ટનો સંપર્ક કરશો.  તેમણે વધુમાં જણાવ્યું હતુ કે સદભાવના વૃધ્ધાશ્રમના લાભાર્થે રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે પૂ.મોરારિબાપુની વૈશ્વિક રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.

સદભાવના વૃદ્ધાશ્રમની ટીમ દ્વારા દ્વારકા શારદાપીઠનાં શંકરાચાર્ય પૂ. સદાનંદ સરસ્વતીજીનાં વૈશ્વિક રામકથાના આયોજન અંગે આશીર્વાદ મેળવાયા છે. બાગેશ્વરધામનાં પંડીત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ રામકથાનાં આયોજનમાં નિમિત્ત આયોજકોને અભિનંદન આપ્યા છે. આ રામ કથામાં સ્વામી રામદેવ (પતંજલિ યોગવિદ્યાપીઠ)નાં સ્થાપક ખાસ હાજરી આપવાના છે. શાંતિકુંજ ગાયત્રી પરિવાર, હરિદ્વારના પ. પૂ. ડો. ચિન્મયાનંદજી મહારાજ, વિશ્વ હિંદુ પરિષદનાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારજી પણ ખાસ ઉપસ્થિત રહેશે.

વૈશ્વિક રામકથા 23 નવેમ્બરથી શરુ થઈને 1 ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ દેશ-વિદેશના 1 લાખ લોકો વૈશ્વિક રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે. આ વૈશ્વિક રામકથા સાથોસાથ સમાજોપયોગી અનેક સત્કર્મો કરવામાં આવશે. ‘થેલેસેમીયા મુકત સમાજ’ બની શકે તે માટે કથામાં, પધારેલા તમામ કથા ભાવિકોને થેલેસેમીયા, રકતદાન અંગેની માહિતી અપાશે, સમગ્રપણે નવેમ્બર મહિના દરમ્યાન 25,000 લોકો રક્તદાન કરશે તેવો એક અંદાજ છે.

વૈશ્વિક રામકથા નિમિત્તે 1 નવેમ્બરથી રાજકોટની આસપાસના અલગ અલગ વિસ્તારો, કોલેજો વગેરે સ્થળોએ વૈશ્વિક રામકથાને નિમિત્ત બનાવીને રક્તદાન કેમ્પ યોજાશે. કથા સંગે, કથા પરિસર સ્થળે પણ રક્તદાન કેમ્પ યોજાશે. આખા ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલ અને બ્લડ બેંકને આમંત્રણ આપી દર્દીનારાયણ, દરિદ્રનારાયણ, થેલેસીમિયા પીડિત બાળકો માટે રક્તદાનની ઝોળી છલકાવવાનો નિમિત્ત, પ્રયાસ છે.  એક જ સમયે, એકજ સ્થળે એક સાથે તમામ વર્ગ–સ્તરના આબાલ વૃધ્ધ, ગરીબ–તવંગર સૌ કથા શ્રાવકો માટે ‘હરિહર’ નું આયોજન તમામ લોકોને મેસેજ, આમંત્રણ, માહિતી પહોંચે તેવા ઉમદા અને પવિત્ર આશયથી ૨૫ કિલોમીટર લાંબી એવી ‘ભવ્ય આમંત્રણ રેલી’નું આયોજન કરાશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.