Western Times News

Gujarati News

સબરજિસ્ટ્રાર સહિત છ શખ્સો સામે 190 કરોડની જમીન કૌભાંડમાં ફરિયાદ

ગિફટસિટી પાસે ૧૯૦ કરોડનું જમીન કૌભાંડ સબરજિસ્ટ્રાર સહિત છ શખ્સો સામે ફરિયાદ-૧૩ કરોડની જંત્રી હોવા છતાં દસ્તાવેજમાં માત્ર ર કરોડની કિંમત દર્શાવી

ખેડૂતની હયાતીનું ખોટું સોગંદનામું, ખોટા પાવરથી ગિફ્ટસીટી નજીકની 18 વીઘા બારોબાર વેચી

(એજન્સી)ગાંધીનગર, ગિફટસિટી પાસે આવેલા રતનપુરમાં ૧૯૦ કરોડનું જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ મામલે ખેડૂતે આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપનાર સબ રજિસ્ટ્રાર સહિત છ શખ્સો સામે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જમીન કૌભાંડ આચરનાકર શખ્સોએ આ માટે ખેડૂતના નામની ખોટી પાવર ઓફ એટર્ની અને ખોટી સહીઓ દ્વારા ઉપરોકત કૌભાંડ આચર્યું હતું. પ્રાથમિક દૃષ્ટિએ જ પાવર ઓફ એટર્ની અને રજૂ કરેલા અન્ય દસ્તાવેજોમાં અનેક ભૂલો હોવા છતાં સબ રજિસ્ટ્રારે ઉપરોકત દસ્તાવેજ કરી આપતા તેની પણ આ કૌભાંડમાં ભૂમિકા બહાર આવી છે. ઉપરોકત ૧૯૦ કરોડની ૧૮ વીઘા જમીનનો જંત્રીનો ભાવ જ ૧૩ કરોડ જેટલો થવા જાય છે જ્યારે વેચાણ દસ્તાવેજમાં માત્ર બે કરોડની કિંમત દર્શાવવામાં આવી છે.

આ મામલે ખેડૂત પ્રભુદાસ જેસંગભાઈ પટેલે ડભોડા પોલીસ મથકમાં જમીન વેચાણ રાખનાર કૌશિક સવજી વઘાસિયા (રહે.ગિરીરાજ હોમ્સ, નિકોલ) તથા તેમાં સાક્ષી તરીકે સહીઓ કરનાર બાબુ દેવરાજ કાકડિયા (રહે.રાધિકા પેલેસ, ઠક્કરનગર, અમદાવાદ), ભાવેશ શાંતિાલાલ ડોબરિયા (રહે.દાનેવ પાર્ક નિકોલ), જયદીપ રણછોડભાઈ ઝાલાવાડિયા (રહે.પંચરત્ન એવન્યુ, નિકોલ),

અશોક જેરામ ગજેરા (રહે.મવડી ચોકડી, રાજકોટ) તથા દસ્તાવેજ કરી આપનાર સબ રજિસ્ટ્રાર વિષ્ણુ એચ.દેસાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પ્રભુદાસે વર્ષ ર૦૦૭ના વર્ષમાં ઉપરોકત જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદ કરી હતી. દરમિયાન ગત મે મહિનામાં તેઓના ધ્યાનમાં આવ્યું હતું કે, ઉપરોકત જમીનનો દસ્તાવેજ થઈ ગયો છે. ઓનલાઈન તપાસ કરતાં આ બાબત હકીકત હોવાનું જણાયું હતું.

આ મામલે તેઓએ સીટમાં ફરિયાદ કરી હતી. પ્રાથમિક તપાસમાં ઉપરોકત દસ્તાવેજ માટે ખોટો પાવર ઓફ એટર્નીનો ઉપયોગ થયો હતો જે વર્ષ ર૦૧૮ની સાલમાં બનાવવામાં આવ્યો હતો. ઉપરોકત પાવર સો રૂપિયાના સ્ટેમ્પ પર બનાવાયો હતો જે સ્ટેમ્પ થલતેજના ભરવાડ દીપક વતી ગફુર નામની વ્યક્તિએ ખરીદ કર્યો હતો. પાવર આપનાર તરીકે પ્રભુદાસ પટેલ અને લેનાર તરીકે કૌશિક વઘાસિયાનું નામ હતું.

ઉપરોકત ખેતીની જમીનના પાવરની નોટરી આઈ.એમ.શેખના ચોપડે નોંધાઈ હતી. જો કે, તપાસ દરમિયાન આઈ.એમ.શેખની નોટરી તરીકે નોંધણી જ થઈ ન હતી. ઉપરોકત પાવરના આધારે કૌશિક વઘાસિયાના નામે દસ્તાવેજ કરવામાં આવ્યો હતો જેમાં અન્ય આરોપીઓએ સહીઓ કરી હતી. દસ્તાવેજની તપાસ કરતાં તેમાં ૧૮ વીઘા જમીનની કિંમત બે કરોડ દર્શાવેલી હતી.

જ્યારે હકીકતમાં આ જમીનની માર્કેટ વેલ્યુ ૧૯૦ કરોડ અને જંત્રી પ્રમાણે તેની કિંમત ૧૩ કરોડ જેટલી થતી હતી. ઉપરોકત શખ્સોએ પાવર ઓફ એટર્ની બાબતે દસ્તાવેજ સમયે ખેડૂતની હયાતી બાબતનું ખોટું સોગંદનામું કરવામાં આવ્યું હતું. જેમાં પણ ખેડૂતની ખોટી સહીઓ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.