PM મોદીના પ્રવાસ પહેલા SPGના ગુજરાતમાં ધામા

File Photo
ગાંધીનગર, વડોદરા, દાહોદ અને કચ્છ જેવા વિવિધ વિસ્તારોમાં રોડ શો અને જાહેર સભાઓ યોજાવાની છે
(એજન્સી)ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૬ અને ૨૭ મેએ બે દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. આ પ્રસંગે તેમના સ્વાગત માટે સમગ્ર તંત્ર સજ્જ બન્યું છે અને વિવિધ શહેરોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાનના આગમન પૂર્વે દેશમાં શ્રેષ્ઠ સુરક્ષા ગણાતી એસપીજીની ટીમે ગુજરાતમાં ધામા નાંખ્યા છે અને સુરક્ષા વ્યવસ્થાનું માળખું પોતાના હાથમાં લઇ લીધું છે.
પીએમ મોદીનો પ્રવાસ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, દાહોદ અને કચ્છ જેવા વિવિધ વિસ્તારોમાં છે. જ્યાં રોડ શો અને જાહેર સભાઓ યોજાવાની છે. તે સ્થળોએ અત્યારે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરેક શહેરમાં થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે. જેમાં સ્થાનિક પોલીસ, રાજ્ય રિઝર્વ ફોર્સ અને એસપીજી એકમો સમાવિષ્ટ છે.
વડાપ્રધાન મોદીની સુરક્ષામાં કોઈપણ ખામી ન રહે એ માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય વ્યક્તિગત રીતે સમગ્ર કામગીરીની દેખરેખ રાખી રહ્યા છે. તેમણે સ્થળ પર જઈને નિરીક્ષણ શરૂ કરી દીધું છે અને દરેક તબક્કે અધિકારીઓને સ્પષ્ટ દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે.
અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકના જણાવ્યા અનુસાર, પીએમ મોદીના રૂટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરાઇ છે. આવતાં દિવસોમાં તેનું રિહર્સલ પણ થશે. ટ્રાફિક માટે પણ વિશિષ્ટ પ્લાન તૈયાર કરાયો છે, જેમાં ટ્રાફિક ડાયવર્ઝન, એએમટીની સેવા અને પાર્કિંગ વ્યવસ્થા પણ સમાવિષ્ટ છે. વડાપ્રધાનના કાર્યક્રમના દિવસે એરપોર્ટ તરફ જતાં મુસાફરોને ઓછામાં ઓછા બે કલાક પહેલા નીકળી જવાની સલાહ આપવામાં આવી છે.
પ્રધાનમંત્રી જ્યાં જ્યાં જાહેર સભાઓને સંબોધન કરશે અથવા રોડ શો કરશે, ત્યાં એસપીજીએ સંભાળ લીધી છે. દરેક સ્થળે સ્થાનિક કક્ષાના અધિકારીઓને વિશિષ્ટ જવાબદારીઓ સોંપાઇ છે.
સુરક્ષા વ્યવસ્થાની ખાતરી માટે સતત કોÂમ્બંગ ઓપરેશન અને એલઆઈબીના ઇનપુટના આધારે એલર્ટ જારી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પીએમ મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખીને અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, કચ્છ અને વડોદરામાં ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડાઓ દ્વારા જાહેરનામા બહાર પાડવામાં આવશે જેથી કોઈ શરારત કે ભંગફોડ ન થાય.
વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ રાજકીય રીતે મહત્વનો માનવામાં આવી રહ્યો છે અને તે પહેલા રાજ્યના પાંચ મોટા શહેરોમાં સુરક્ષાની તમામ મર્યાદાઓને અનુરૂપ ગોઠવણી કરવામાં આવી છે. એસપીજીની હાજરી અને રાજ્ય તંત્રની સક્રિયતા સાથે, ગુજરાત આખું આગામી બે દિવસ સુધી ‘હાઈ સિક્્યોરિટી ઝોન’ બનશે.