Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રથયાત્રા રૂટનું નવિનીકરણ કરવામાં આવશે

File Photo

પ્રથમ તબક્કામાં ૧ર૦૦ મીટર લંબાઈના રોડના નવિનીકરણ માટે રૂ.૧૯.પ૯ કરોડ ખર્ચ થશે: દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે પરંપરાગત રીતે જમાલપુર જગદીશ મંદિરેથી રથયાત્રા પ્રસ્થાન કરે છે જે ખાડીયા, કાલુપુર થઈ સરસપુર ભગવાનના મોસાળે જાય છે અને સાંજે ભગવાન જગન્નાથ નીજ મંદિર પરત ફરે છે.

જગન્નાજીની નગર ચર્યા મધ્યઝોનના જે રૂટ પરથી જાય છે તે રૂટના નવીનિકરણ કરવામાં આવી રહયા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રથયાત્રા રૂટ પર રસ્તા, ફુટપાથ, સ્ટ્રીટ લાઈટ વગેરે માટે ખાસ પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે જમાલપુર મંદિરથી મ્યુનિ. ઓફિસ દાણાપીઠ સુધી અંદાજે ૧૯.પ૯ કરોડના ખર્ચે નવીનિકરણનું કામ ચાલી રહયું છે જે રથયાત્રા સુધી પૂર્ણ થઈ જશે.

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણીના જણાવ્યા મુજબ જમાલપુર વોર્ડમાં આવેલ ભગવાન શ્રી જગન્નાથ મંદિરથી દર વર્ષે રથયાત્રા નીકળે છે જેમાં અમદાવાદ શહેર તેમજ ગુજરાત રાજયમાંથી લાખો ભક્તો દર્શન કરવા માટે આવે છે. સદર રથયાત્રા મધ્યઝોનમાં આશરે ૧૦ હજાર મીટર લંબાઈના માર્ગ પરથી પસાર થાય છે. મધ્યઝોનના આ માર્ગ પૈકી ૧ર૦૦ મીટર લંબાઈના માર્ગને ડેવલોપ કરવામાં આવી રહયો છે.

સ્ટેન્ડિગ કમિટી ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે જમાલપુર ચાર રસ્તાથી જગન્નાથજી મંદિર સુધીના માર્ગમાં પ્લાન્ટેશન, ગ્રીન પેચ, સેન્ટર લાઈટીંગ અને ગ્રેનાઈટ સ્ટોનથી ફુટપાથ બનાવવામાં આવશે. મંદિરના પ્રવેશદ્વારથી મંદિરના ગેટ નં.ર તેમજ સમગ્ર પ્લાઝામાં પેવીંગ તેમજ લાઈટીંગ કરવામાં આવશે. જમાલપુર દરવાજા, જમાલપુર ચકલા, વૈશ્યસભા, શાહઅલી દરગાહ, ખમાસા ચાર રસ્તા વગેરે જંકશન રીડીઝાઈન કરી તે મુજબ કોબલ ટોક, આઈલેન્ડ, પ્લેસ મેકીંગ, સેન્ટ્રલ વર્જ વગેરે કરવામાં આવશે

આનું કામ રથયાત્રા સુધીમાં પૂર્ણ થઈ જશે. ત્યારબાદ બીજા તબક્કામાં મ્યુનિ. ઓફિસથી આસ્ટોડિયા, રાયપુર દરવાજા, રાયપુર ચકલા, ખાડિયા થઈ કાલુપુર સુધીના માર્ગનું નવિનીકરણ કરવામાં આવશે તેવી જ રીતે સરસપુરથી નીજ મંદિર જે રૂટ પરથી રથયાત્રા પરત ફરે છે તે દરિયાપુર, શાહપુર, ઘીકાંટા, ખમાસા વગેરે પણ ડેવલપ થશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.