Western Times News

Gujarati News

ન્યુયોર્ક ગુજરાતી સમાજ: ભારતીય સંસ્કૃતિનું અમેરીકામાં ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ કરતાં નડિયાદના હર્ષદભાઈ પટેલ

નડિયાદમાં જન્મ થયો અને વડોદરાની MS યુનિવર્સિટીમાંથી એન્જીનીયરીગની ડીગ્રી લીધી અને પછી અમેરિકામાં વસ્યા

સમગ્ર વિશ્વમાં અમેરિકા મહાસત્તા કહેવાય છે. અમેરિકાનું મુખ્ય શહેર એટલે ન્યુયોર્ક અને વિશ્વજાતિ ગુજરાતી ન્યુયોર્કમાં પણ વસે છે. સાડા ચાર દાયકાથી વધુ સમયથી ન્યુયોર્કનો ગુજરાતી સમાજ ધમધમતો રહ્યો છે.

સમાજની ગૌરવશાળી વારસો

તેના ચાલીસ વર્ષ થયા ત્યારે તત્કાલીન પ્રમુખ હર્ષદભાઈ પટેલના સુચારુ નેતૃત્વમાં તેની સરસ રીતે યાદગાર ઉજવણી થઈ હતી. વર્ષો પહેલા કેટલાક અગ્રણી ગુજરાતીઓએ ભેગા મળીને ન્યુયોર્ક ગુજરાતી સમાજની સ્થાપના કરી હતી. આ સમાજ સરસ રીતે અને સાતત્ય સાથે કામ કરી રહ્યો છે.

ન્યુયોર્ક ગુજરાતી સમાજને અત્યાર સુધી ઘણા બધા પ્રતિબદ્ધ સુકાનીઓ મળ્યા છે. તેમાં હીરૂભાઈએ અમેરિકામાં શૂન્યમાંથી સર્જન કર્યું છે. તેમણે અમેરિકામાં અનેક લોકોને સ્થાયી કરવામાં પણ સહયોગ કર્યો છે. મીતભાષી અને સીધી લીટીના હીરૂભાઈ પટેલે પણ આ સમાજને ઉત્તમ નેતૃત્વ આપ્યું હતું.

હર્ષદભાઈ સહિત બધા સુકાનીઓએ ન્યુયોર્કમાં વસતા ગુજરાતી સમુદાયને ઉત્તમ રીતે એક સાથે રાખીને ભારતીય સંસ્કૃતિના તાંતણાથી બાંધી રાખ્યો છે. એ તેમની મોટી સફળતા છે.

અત્યારે ન્યુયોર્ક ગુજરાતી સમાજના પ્રમુખ હર્ષદભાઈ શિવભાઈ પટેલ છે. તેઓ પકાજીના હુલામણા ઉપનામે પણ ઓળખાય છે. તેમનો જન્મ નડિયાદમાં થયો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા પછી વડોદરાની વિશ્વખ્યાત એમ.એસ. યુનિવર્સિટીમાંથી તેમણે ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી લીધી. એ પછી ૧૯૮૧થી તેઓ અમેરિકામાં વસી રહ્યા છે.

વ્યાવસાયિક સિદ્ધિઓ

તેઓ એક પ્રતિષ્ઠિત અને પરોપકારી કંપનીના માલિક અને સંચાલક છે – પ્રમુખ અને સીઈઓ છે. ખાસ કરીને હોસ્પિટાલિટી મેનેજમેન્ટ અને રિયલ એસ્ટેટની સેવામાં તેઓ ઘણું સરસ કામ કરી રહ્યા છે. તેમણે ઘણા બધા પ્રોજેક્ટ્સનું સફળ રીતે નેતૃત્વ પણ કર્યું છે. હોસ્પિટાલિટી ઉદ્યોગ અને હોટલ ઉદ્યોગમાં તેમનું વ્યાપક નેટવર્કિંગ છે. તેઓ ટીમને નાવીને તેની પાસેથી સરસ રીતે કામ લઈ શકે છે.

સમાજસેવામાં ભાગીદારી

૨૦૦૯થી ૨૦૧૩ સુધી તેઓ ગુજરાતી સમાજના ટ્રસ્ટી હતા, અને ૨૦૧૩થી ૨૦૧૭ સુધી તેમણે ન્યુયોર્કના ગુજરાતી સમાજના ચૂંટાયેલા પ્રમુખ તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી. સપ્ટેમ્બર, 2019 થી બીજી ટર્મ માટે તેઓ ફરીથી ચૂંટાયા છે. શ્રી હર્ષદભાઈ ઉત્તર ગુજરાતની પુષ્ટિ માર્ગીય હવેલીના વૈષ્ણવ મંદિરના ગૌરવપૂર્ણ કો-ચેરમેન પણ છે.

પારિવારિક જીવન

સૌથી મહત્વની વાત એ છે કે તેમના જીવનસાથી દક્ષાબહેન તેમને તમામ સામાજિક પ્રવૃત્તિઓમાં ખૂબ જ સહયોગ કરે છે. તેમને ત્રણ દીકરીઓ છે – નીલમ, કૃપાલી અને હેમાલી. તેમને કુલ નવ દોહિત્રો છે. તેમના માટે તેઓ પ્રેમાળ નાના છે. હર્ષદભાઈ પટેલ ઉર્ફે પકાજી ગુજરાતના વિકાસમાં પોતાનાથી થાય તેટલો સહયોગ સતત કરતા જ રહ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.