Western Times News

Gujarati News

વિજય માલ્‍યાના હજુ પણ ૭૦૦૦ કરોડ બાકી: કિંગફિશરના કર્મચારીઓને ૩૦૦ કરોડથી વધુ પગાર ચૂકવવાના બાકી 

માલ્‍યાએ એક પોડકાસ્ટમાં દાવો છે કે બેંકોએ તેમની મિલકતોમાંથી ૧૪,૧૩૧.૬ કરોડ રૂપિયા વસૂલ કર્યા છે, જે તેમના દેવા કરતાં વધુ છે :ભારત સરકાર અને બેંકોએ માલ્‍યાના દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢયા

નવી દિલ્‍હી, તા.૧૦: સરકાર અને બેંકોએ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્‍યાના લોન ચુકવણીના દાવા પર કડક પ્રતિક્રિયા આપી છે. માલ્‍યાનો દાવો છે કે તેમણે બેંકોને બાકી રહેલી બધી લોન ચૂકવી દીધી છે, છતાં તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. સરકારનું કહેવું છે કે માલ્‍યા પર હજુ પણ ૭,૦૦૦ કરોડ રૂપિયા બાકી છે અને તેમના ચુકવણીના દાવા ‘પાયાવિહોણા’ છે

ટાઈમ્‍સ ઓફ ઈન્‍ડિયાએ સરકારી સૂત્રોને ટાંકીને કહ્યું કે માલ્‍યાનો દાવો સંપૂર્ણપણે ભ્રામક છે કારણ કે તેમણે ફક્‍ત મૂળ રકમના આધારે નિવેદન આપ્‍યું છે, જ્‍યારે તેમના પર હજુ પણ વ્‍યાજ અને અન્‍ય ચાર્જ સહિત કુલ ૬,૯૯૭ કરોડ રૂપિયા બાકી છે.

૨૦૧૩માં જ્‍યારે ડેટ રિકવરી ટ્રિબ્‍યુનલ (DRT) માં કેસ દાખલ કરવામાં આવ્‍યો ત્‍યારે કિંગફિશર એરલાઇન્‍સની કુલ NPA (નોન-પર્ર્ફોમિંગ એસેટ) ૬,૮૪૮ કરોડ રૂપિયા હતી. આમાં નોન-કયુમ્‍યુલેટિવ રિડીમેબલ પ્રેફરન્‍સ શેરનો પણ સમાવેશ થતો હતો. ૧૦ એપ્રિલ સુધીમાં, DRT ના આદેશ મુજબ, બાકી વ્‍યાજ અને અન્‍ય ચાર્જ સહિત કુલ જવાબદારી વધીને ૧૭,૭૮૧ કરોડ રૂપિયા થઈ ગઈ હતી.

અત્‍યાર સુધી, બેંકોએ માલ્‍યા સાથે સંબંધિત મિલકતો વેચીને ૧૦,૮૧૫ કરોડ રૂપિયા વસૂલ કર્યા છે, જેમાં ગોવામાં પ્રખ્‍યાત કિંગફિશર વિલાનું વેચાણ પણ સામેલ છે. આ પછી પણ, બેંકોએ હજુ પણ ૬,૯૯૭ કરોડ રૂપિયા વસૂલવાના બાકી છે.

સરકારી સૂત્રોના જણાવ્‍યા અનુસાર, વિજય માલ્‍યાનો દાવો કે તેમણે ૧૪,૦૦૦ કરોડ રૂપિયા ચૂકવ્‍યા છે તે વાસ્‍તવિકતાથી પર છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું હતું કે, ‘તેમણે કદાચ આ દાવો ફક્‍ત મૂળ લોનની રકમને ધ્‍યાનમાં રાખીને કર્યો હશે, જ્‍યારે કોઈપણ લોન પર વ્‍યાજ સંપૂર્ણ રીતે ચૂકવવામાં ન આવે ત્‍યાં સુધી વસૂલવામાં આવે છે. આ ઉપરાંત, ડિફોલ્‍ટ કરનારાઓ પર દંડાત્‍મક વ્‍યાજ પણ વસૂલવામાં આવે છે.’

માલ્‍યાએ અગાઉ પણ આવા દાવા કર્યા છે, જ્‍યારે તે પોતે દેશમાંથી ફરાર છે અને ભારત પરત ફરીને કાનૂની પ્રક્રિયાનો સામનો કરવાનું ટાળી રહ્યો છે. તેમના દાવાઓના જવાબમાં, સરકારે સ્‍પષ્ટતા કરી છે કે બેંકોની વસૂલાત પ્રક્રિયા તેમના બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી નીતિઓ અનુસાર કરવામાં આવી રહી છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્‍યું હતું કે, ‘બેંકોની વસૂલાત નીતિ દરેક ઉધાર લેનાર માટે સમાન છે, પછી ભલે તે કોઈપણ સમુદાય, પ્રદેશ અથવા પળષ્ઠભૂમિનો હોય. વિજય માલ્‍યા દ્વારા લગાવવામાં આવેલા કોઈપણ ભેદભાવ અથવા મીડિયા દબાણના આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા અને ભ્રામક છે.’

નોંધનીય છે કે કિંગફિશરને આપવામાં આવેલી કેટલીક લોનનું પણ પુનર્ગઠન કરવામાં આવ્‍યું હતું, જેની હવે તપાસ ચાલી રહી છે. IDBI બેંકના ભૂતપૂર્વ વડા યોગેશ અગ્રવાલ જેવા વરિષ્ઠ અધિકારીઓની પણ CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સરકાર અને બેંક હવે માલ્‍યાના ભારત પાછા ફરવા માટે કાનૂની માર્ગ મજબૂત બનાવવા પર ભાર મૂકી રહ્યા છે જેથી બાકી વસૂલાતને આગળ ધપાવી શકાય અને દેશની નાણાકીય વ્‍યવસ્‍થામાં વિશ્વાસ જાળવી શકાય.

વિજય માલ્‍યા એક સમયે ‘ગુડ ટાઈમ્‍સના રાજા’ તરીકે જાણીતા હતા. તેઓ ૨૦૧૬ માં ભારતથી ભાગી ગયા અને યુનાઇટેડ કિંગડમમાં સ્‍થાયી થયા. તેમની હવે બંધ થયેલી કિંગફિશર એરલાઇન્‍સ પર ૧૭ ભારતીય બેંકોનું રૂ. ૯,૦૦૦ કરોડથી વધુનું દેવું હતું. માલ્‍યાએ તાજેતરમાં એક યુટયુબરના પોડકાસ્‍ટમાં પોતાનું મૌન તોડ્‍યું, દાવો કર્યો કે બેંકોએ તેમની મિલકતોની હરાજી દ્વારા રૂ. ૧૪,૧૦૦ કરોડથી વધુની વસૂલાત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે આ રકમ DRT નિર્ણયમાં નક્કી કરાયેલા રૂ. ૬,૨૦૩ કરોડના દેવા કરતાં બમણી છે.

માલ્‍યાએ એવો પણ દાવો કર્યો કે તેમણે કયારેય લોન ચૂકવવાનો ઇનકાર કર્યો નથી અને તેમનો હેતુ હંમેશા બેંકોને ચૂકવણી કરવાનો રહ્યો છે. તેમણે કર્ણાટક હાઇકોર્ટમાં બેંકો પાસેથી વસૂલવામાં આવેલી રકમનો હિસાબ માંગવા માટે અરજી પણ કરી. માલ્‍યાએ પોતાના દાવાઓના સમર્થનમાં નાણાં મંત્રાલયના ૨૦૨૪-૨૫ના વાર્ષિક અહેવાલનો ઉલ્લેખ કર્યો, જેમાં જણાવાયું છે કે એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ (ED) એ તેમની મિલકતોમાંથી ૧૪,૧૩૧.૬ કરોડ રૂપિયા વસૂલ કર્યા છે.

હવે ભારત સરકાર અને બેંકોએ માલ્‍યાના દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢયા છે. નાણાં મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું હતું કે વિજય માલ્‍યાના દાવા ભ્રામક અને પાયાવિહોણા છે. તેમની કુલ જવાબદારી વ્‍યાજ અને અન્‍ય ચાર્જ સહિત ૯,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ હતી. સરકારનું કહેવું છે કે માલ્‍યાની મિલકતોની હરાજીમાંથી મળેલી રકમ વિવિધ બેંકોમાં વહેંચાઈ ગઈ છે, પરંતુ તે તેમના દેવાને સંપૂર્ણપણે આવરી લેતી નથી.

માલ્‍યાએ તાજેતરમાં લંડનની એક કોર્ટમાં તેમની નાદારી અરજી રદ કરવા માટે અપીલ કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે બેંકોએ તેમના દેવા કરતાં વધુ પૈસા વસૂલ કર્યા છે, પરંતુ યુકેની કોર્ટે તેમની દલીલો સ્‍વીકારી ન હતી. માલ્‍યાના વકીલે કહ્યું કે તેઓ આ આદેશને પડકારવાનું ચાલુ રાખશે. દરમિયાન, ભારતમાં કેટલાક લોકો માલ્‍યાના સમર્થનમાં સામે આવ્‍યા છે. ઉદ્યોગપતિ હર્ષ ગોયેન્‍કાએ તાજેતરમાં એક X પોસ્‍ટમાં પ્રશ્‍ન કર્યો હતો કે જ્‍યારે બેંકોએ માલ્‍યા પાસેથી ૧૪,૧૦૦ કરોડ રૂપિયા વસૂલ કર્યા છે, તો તેમને ‘રાજકીય બલિનો બકરો’ કેમ બનાવવામાં આવી રહ્યા છે.

માલ્‍યાના દાવાઓ વચ્‍ચે, કિંગફિશર એરલાઇન્‍સના હજારો ભૂતપૂર્વ કર્મચારીઓનો મુદ્દો પણ ચર્ચામાં છે. એવો અંદાજ છે કે એરલાઇન્‍સ તેના કર્મચારીઓને ૩૦૦ કરોડ રૂપિયાથી વધુ પગાર ચૂકવવા બાકી છે. માલ્‍યાએ પોડકાસ્‍ટમાં કર્મચારીઓની માફી માંગી, પણ એમ પણ કહ્યું કે તેમણે કંપનીમાં તેમની વ્‍યક્‍તિગત મૂડીના ૩,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.