Western Times News

Gujarati News

દસ્તાવેજો વિના સિમ કાર્ડ અને બિલ વગર મોબાઈલનું વેચાણ કરતાં વેપારી પર દરોડા

(એજન્સી)અમદાવાદ, આગામી ૨૭ જૂને યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર પોલીસ સક્રિય બની છે. શહેર ક્રાઇમ બ્રાંચે આજે, બુધવારે, રિલીફ રોડ પર આવેલા ઈલેક્ટ્રોનિક્સ માર્કેટમાં વ્યાપક દરોડા પાડ્યા હતા.

આ માર્કેટ મોબાઈલ ફોન, સેકન્ડ હેન્ડ ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય ગેજેટ્‌સના વેચાણ માટે જાણીતું છે, જ્યાં દસ્તાવેજો વિના સિમ કાર્ડ અને બિલ વગર મોબાઈલનું વેચાણ થતું હોવાની અવારનવાર ફરિયાદો ઉઠતી રહે છે. ક્રાઇમ બ્રાંચે સર્ચ ઓપરેશન હાથ ધરીને ૧૦ જેટલા વેપારીઓની પૂછપરછ કરી હતી.

ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, રથયાત્રા પૂર્વે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહી માત્ર ઇલેક્ટ્રોનિક્સ સામાનના અનધિકૃત વેચાણ પર જ નહીં, પરંતુ ગેરકાયદે સિમ કાર્ડના વેચાણને ધ્યાનમાં રાખીને પણ કરાઈ હતી.

સિમ કાર્ડના વેચાણ માટે આધારભૂત પુરાવા અને ચકાસણી ફરજિયાત છે, જેનો ભંગ થતો હોવાનું મનાય છે. ક્રાઇમ બ્રાંચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઓપરેશનનો મુખ્ય હેતુ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ અને ગેરકાયદે સિમ કાર્ડના વેચાણ સાથે સંકળાયેલા નેટવર્કને તોડી પાડવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.