ઇઝરાયેલના હુમલામાં ૨૦ પેલેસ્ટેનિયનનાં મોત થયાં

File
(એજન્સી)જેરુસલેમ, ગાઝામાંથી એક રોકેટ હુમલો થયો હોવાનો દાવો ઇઝરાયેલ સેનાએ કર્યાે છે. જોકે તે રોકેટને આંતરી લેવામાં આવતાં કોઇ નુકસાન થયું નહતું. પરંતુ ઇઝરાયેલે કરેલા વળતાં હુમલામાં ૨૦થી વધુ લોકોનાં મોત થયા છે.
ગાઝા પટ્ટીમાં ભૂખમરાની પરિસ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. લોકો મદદ માટે વલખા મારી રહ્યા છે તેવામાં ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે સંચાલિત અન્ન વિતરણ કેન્દ્રો પર અફરાતફરી મચતા ઈઝરાયેલના દળોએ કરેલા ફાયરિંગમાં પેલેસ્ટાઈનના ૨૦ લોકોના મોત થયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ગાઝા માનવતાવાદી સંસ્થા (જીએચએફ)ની બે સાઈટ્સ ઉપર જુદા જુદા બનાવોમાં ઈઝરાયેલી દળોએ કરેલા ગોળીબારમાં ૨૦ના મોત થયા હતા તથા ૧૩૦થી વધુને ઈજા પહોંચી હતી.
ઈઝરાયેલે જણાવ્યું હતું કે, ગાઝાના વાદી વિસ્તારમાં યુએસ સાથે સંયુક્ત રીતે ચલાવવામાં આવતા રાહત વિતરણ સ્થળે કેટલાક લોકો ટોળામાં ધસી આવ્યા હતા. સુરક્ષા દળોની નજીક નહીં આવવાની ચેતવણીને અવગણતા ટોળા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.
આ બનાવ બાદ મૃતકો અને ઘાયલોને મધ્ય ગાઝામાં નુસરત કેમ્પ ખાતેની અલ-ઔદા હોસ્પિટલ તેમજ ઉત્તરમાં ગાઝા શહેર ખાતે આવેલી અલ-કુદ્સ હોસ્પિટલ લઈ જવાયા હતા.ઈઝરાયેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ મુજબ આઈડીએફની વિગતો સાથે ઘાયલોનો આંક જુદો જણાય છે. આ મામલે વધુ સમીક્ષા કરવામાં આવી રહી છે.