Western Times News

Gujarati News

AMC ફાયર વિભાગમાં ભ્રષ્ટાચારની આગઃ રૂ.રપ લાખની નાણાંકીય ઉચાપત

પ્રતિકાત્મક

મ્યુનિ. વિજીલન્સ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી તપાસ: ઉચાપત કરનાર વ્યક્તિ ચાર મહિનાથી ગાયબ: સુત્રો

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. ફાયર વિભાગ થોડા વર્ષો પહેલા એક શિસ્તબદ્ધ વિભાગ તરીકે ઓળખાતો હતો. દેશ કે રાજયમાં કોઈપણ સ્થળે પૂર, આગ, ધરતીકપ જેવી હોનારતોમાં અમદાવાદ ફાયર વિભાગ દ્વારા સફળ કામગીરી કરવામાં આીવ હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી મ્યુનિ. ફાયર વિભાગની કાર્યપધ્ધતિ સદતર બદલાઈ ગઈ હોય તેમ લાગી રહયું છે.

જેમાં બોગસ સ્પોન્સરશીપના પત્રો, કોર્પોરેશનની એનઓસી મળ્યા સિવાય બીજા સ્થળે નોકરીમાં જોડાઈ જવું જેવી ગેરરીતિઓ બહાર આવી છે. હવે તેમાં નાણાંકિય ઉચાપત પણ થઈ રહી છે. ચોંકાવનારી માહિતી મુજબ મ્યુનિ. ફાયર વિભાગમાં જ અંદાજે રૂ.રપ લાખની નાણાંકિય ઉચાપત થઈ છે જે અંગે વિજીલન્સ તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિ. ફાયર વિભાગમાં ભ્રષ્ટાચારની આગ લાગી છે. છેલ્લા બે ત્રણ વર્ષથી ફાયર વિભાગમાં અનેક નાના મોટા કૌભાંડો કે ગેરરીતિ થતા રહયા છે. હવે તેમાં નાણાંકિય ઉચાપત થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. મ્યુનિ. ફાયર વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ ફાયર બ્રિગેડની વહીવટી બ્રાંચમાં રોજ બરોજ આવક જમા લેવામાં આવે છે જેમાં એમ્બ્યુલન્સ, શબ વાહિની, ફાયર એનઓસી, ફાયર કોલ, બંદોબસ્ત વગેરે આવકનો સમાવેશ થાય છે.

મ્યુનિ. ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓએ વહીવટી સ્ટાફ ઓછો હોવાના કારણો દર્શાવી આ જવાબદારી એક ફાયરમેનને સોંપી હતી જેણે આવકની પુરેપુરી રકમ કોર્પોરેશનમાં જમા કરાવવાના બદલે ઓછી રકમ જમા કરાવી હતી જેના કારણે છેલ્લા બે વર્ષમાં ફાયર વિભાગની આવકમાંથી રૂ.રપ લાખની નાણાંકિય ગેરરીતિ થઈ હોવાનું જાહેર થયું હતું.

જે વ્યક્તિ દ્વારા આ કરતુત કરવામાં આવી હતી તે ફાયર કોલમાં પેટ્રોલ કે ડીઝલના નાણાં જમા કરાવતા હતાં પરંતુ ભથ્થાની રકમ કોર્પોરેશનની તીજોરીમાં જમા કરાવતા ન હતા. આવી જ મોડસ ઓપરેન્ડી બીજી આવકમાં પણ થતી હતી

આ બાબત વહીવટી સ્ટાફના એક ઉચ્ચ અધિકારીને ધ્યાનમાં આવતા તેમણે ડેપ્યુટી કમિશનરને જાણ કરી હતી અને તેની મંજુરી મળ્યા બાદ વિજીલન્સ વિભાગને તપાસ સોંપવામાં આવી છે. જે વ્યક્તિ પર આ ઉચાપતની શંકા જાય છે તે વ્યક્તિ છેલ્લા ૪ મહિનાથી ગાયબ છે અને ફરજ પર હાજર થયા નથી.

અત્રે નોંધનીય છે કે ફાયર વિભાગ ઘણા સમયથી વિવાદમાં રહયો છે. તત્કાલિન ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયા સામે અનેક આક્ષેપો થયા બાદ પણ તેમને પ્રમોશન આપવામાં આવ્યું છે એક ફાયર અધિકારીને કોર્પોરેશન તરફથી એનઓસી મળી ન હોવા છતાં તેઓ ગાંધીનગર ફાયર વિભાગમાં નવી નોકરી પર હાજર થઈ ગયા છે. તેવી જ રીતે અન્ય એક અધિકારીને તત્કાલિન ફાયર ઓફિસર જયેશ ખડીયાએ કમિશનરની જાણ બહાર એનઓસી આપી હતી જે બાબતે તેમની સામે તપાસ પણ થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.