રાહત સામગ્રી મેળવતા પેલેસ્ટેનિયનો પર ગોળીબાર, ૩૬નાં મોત થયાં

નેતન્યાહૂ સરકારનું અસ્તિત્વ જોખમમાં!
સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય દેશોના દબાણ પછી ઇઝરાયેલે સહાય સામગ્રી મોકલવાનું શરૂ કરતા પેલેસ્ટેનિયનોની ધીરજ તૂટી રહી છે
રાહત સામગ્રી મેળવતા પેલેસ્ટેનિયનો પર ગોળીબાર, ૩૬નાં મોત થયાં
અલ-બલાહ,ગાઝામાં સહાય મેળવવા માટે મક્કમ પ્રયાસ કરી રહેલા પેલેસ્ટેનિયનો પર ફરી ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં ૩૬ લોકોના મોત અને ૨૦૭ ઘાયલ થયા છે. નિષ્ણાતો અને માનવતાવાદી સહાય કાર્યકરોનું કહેવું છે કે, ઇઝરાયેલની નાકાબંધી અને ૨૦ મહિનાના લશ્કરી અભિયાને ગાઝાને દુષ્કાળની અણી પર ધકેલી દીધું છે. આમ, ઇઝરાયેલી અને યુએસ સમર્થિત ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સહાય સ્થળો નજીક ગોળીબારમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૬૩ લોકો માર્યા ગયા છે અને ૧,૪૯૫ ઘાયલ થયા છે.
મહત્વનું છે કે, ઇઝરાયેલ-હમાસ યુદ્ધથી પીડાતા પેલેસ્ટેનિયનોને ભૂખે મરવાનો વારો આવ્યો છે. જો કે, સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય દેશોના દબાણ પછી ઇઝરાયેલે સહાય સામગ્રી મોકલવાનું શરૂ કરતા પેલેસ્ટેનિયનોની ધીરજ તૂટી રહી છે. પરિસ્થિતિ એવી છે કે રાહત સામગ્રી મેળવવા માટે ગાઝાના વિતરણ કેન્દ્રો પર ભીડ એકઠી થઈ રહી છે. તો બીજી તરફ ઇઝરાયેલી સેના પેલેસ્ટેનિયનોને કાબુમાં લેવા માટે સતત ગોળીબાર કરી રહી છે.
ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તેમણે શંકાસ્પદો પર ચેતવણી રૂપે ગોળીબાર કર્યાે હતો અને ઉમેર્યું કે સહાય સ્થળો ખુલતા પહેલા તેઓ તેમના સૈનિકો તરફ આગળ વધ્યા હતા.ઇઝરાયેલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સરકાર એક મોટા રાજકીય સંકટનો સામનો કરી રહી છે. વિપક્ષે ઇઝરાયેલી સંસદ ભંગ કરવા માટે એક બિલ રજૂ કર્યું છે.
નેતન્યાહૂ માટે સૌથી મોટી સમસ્યા એ છે કે તેમની ગઠબંધન સરકારમાં રહેલા અતિ-રૂઢિચુસ્ત પક્ષોએ ચેતવણી આપી છે કે તેઓ વિપક્ષના પ્રસ્તાવને ટેકો આપી શકે છે. જો આવું થાય, તો દેશમાં ચૂંટણી યોજવાની જરૂર પડી શકે છે. વિવાદનું મૂળ ઇઝરાયેલની લશ્કરી સેવામાંથી અતિ-રૂઢિચુસ્ત યુવાનોને મુક્તિ આપતો કાયદો છે, જે સરકાર અત્યાર સુધી પસાર કરી શકી નથી.SS1