Western Times News

Gujarati News

યુએસ આર્મી જનરલનો ‘પાક. પ્રેમ’ ભારતને રાજદ્વારી ધક્કોઃ કોંગ્રેસ

અમેરિકન આર્મીના જનરલ માઈકલ કુરિલ્લાના મતે USએ ભારત-પાક. બંને સાથે સંબંધ રાખવા પડશે

અમેરિકાએ આતંકીઓના આકા પાક.ને ‘મિત્ર’ ગણાવીને વખાણ કર્યા

વોશિંગ્ટન,પાકિસ્તાન તેની ધરતી ઉપર આતંકવાદને સમર્થન કરી રહ્યું હોવાની ભારતે તાજેતરમાં ઓપરેશન સિંદૂર થકી ખુલ્લું પાડ્યું હતું. હવે અમેરિકાએ આતંકવાદના આકા પાકિસ્તાનને અસાધારણ ભાગીદાર ગણાવીને તેના વખાણ કર્યા છે. અમેરિકન ટોચના આર્મીના જનરલે પાકિસ્તાનના વખાણ કરતી ટિપ્પણી કરી છે. તેમણે યુએસએએ ભારત-પાક. બંને સાથે સંબંધો રાખવાની તરફેણ કરી હતી. યુએસ આર્મીના જનરલ અને સેન્ટ્રલ કમાન્ડના કમાંડર માઈકલ કુરિલ્લાના મતે અમેરિકાએ એશિયા ખંડના બંને દેશો સાથે સંબંધો જાળવવા પડશે અને તેમાં બાઈનરી સ્વીચ ના હોઈ શકે.

યુએસ આર્મી જનરલના મતે જો અમેરિકા ભારત સાથે સંબંધ રાખે અને પાકિસ્તાન સાથે નહીં તો તે યોગ્ય નથી. કુરિલ્લાએ યુએસ હાઉસ આર્મ્ડ સર્વિસ કમિટી સમક્ષ જુબાની આપતા ઉપરોક્ત બાબત જણાવી હતી.અમેરિકાએ ભારત-પાક. સાથેના સંબંધોની સકારાત્મકતા સમજીને તેના ફાયદા પર વિચાર કરવો પડશે. આઈએસઆઈએસ ખુરાસાન (આઈએસઆઈએસ-કે) યુએસ ઉપરાંત અન્ય દેશો વિરુદ્ધ ષડયંત્ર રચનાર સૌથી સક્રિય સંગઠન પૈકી એક છે.

તાલિબાન આઈએસઆઈએસ-કેની પાછળ પડ્યું છે અને બંને પરસ્પરને નફરત કરે છે. તાલિબાને ઈસ્લામિક સંગઠનના કેટલાયને અફઘાન-પાકિસ્તાન સરહદ નજીકના આદિવાસી વિસ્તારમાં ખદેડ્યા છે. યુએસ આર્મી જનરલે જણાવ્યું કે, પાકિસ્તાન સાથેની અભૂતપૂર્વ ભાગીદારીને લીધે તેણે આઈએસઆઈએસ-કે વિરુદ્ધ કાર્યવાહી કરી ડઝન જેટલા સભ્યોને ઠાર કર્યા હતા. પાક.એ ગુપ્ત માહિતી પૂરી પાડતા આઈએસઆઈએસ-કેના ટોચના પાંચ કમાન્ડરને ઝડપવામાં સફળતા મળી હતી.૨૬ ઓગસ્ટ ૨૦૨૧ના કાબુલના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બ્લાસ્ટમાં સામેલ આતંકવાદી મોહમ્મદ શરીફુલ્લાહ ઉર્ફે ‘જાફર’ને પકડી લેવાયો હોવાનું પાકિસ્તાનની સેનાના વડા અસીમ મુનીરે મને ફોન કરીને સૌપ્રથમ જણાવ્યું હતું. પાક. તેને યુએસને સોંપવા તૈયાર થયું હતું.

આ હુમલામાં અમેરિકન લશ્કરના ૧૩ સભ્યો તથા આશરે ૧૬૦ નાગરિકોના મોત થયા હતા. અમેરિકા પાસે રહેલી મર્યાદિત ગુપ્તચર માહિતી પાકિસ્તાનને ઉપલબ્ધ કરાવવાથી પણ તે પોતાના સંશાધનોની મદદથી કાર્યવાહી કરી રહ્યું છે. પાકિસ્તાન આતંકવાદ વિરોધી લડાઈ લડે છે અને તે સૈદ્ધાંતિક ભાગીદાર હોવાનું કુરિલ્લાએ જણાવ્યું હતું. યુએસ આર્મી જનરલ માઈકલ કુરિલ્લાએ પાક.ને અસાધારણ ભાગીદાર ગણાવીને પાક. તરફી પ્રેમ દર્શાવ્યા બાદ કોંગ્રેસે આ ભારતને રાજદ્વારી મોરચે ધક્કો હોવાનો આક્ષેપ કર્યાે હતો.

આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શું કહેવું છે તેવો સવાલ પણ કર્યાે હતો. કોંગ્રેસના જયરામ રમેશે જણાવ્યું કે, ૧૪ જૂને અમેરિકાના આર્મી દિવસ પર પાકિસ્તાનના સેનાના વડા અસિમ મુનીર વોશિંગ્ટન જઈ રહ્યા છે. મુનીરની વોશિંગ્ટન મુલાકાત ભારત માટે બીજો રાજદ્વારી આંચકો પુરવાર થશે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.