Western Times News

Gujarati News

૫૧ હજાર બેઠક માટે માત્ર ૩૦૮૫૧ વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન નોંધાયું

નર્સિંગ સહિત ૯ પેરા મેડિકલ કોર્સની રજિસ્ટ્રેશન કરનારા તમામ પ્રવેશ મેળવે તો પણ ૨૦ હજારથી વધુ બેઠક ખાલી પડે તેવી સ્થિતિ

અમદાવાદ,ધો.૧૨ સાયન્સ પછી નીટ સિવાયના બીએસસી નર્સિંગ સહિતના ૯થી વધારે કોર્સમાં પ્રવેશ માટે છેલ્લા કેટલાય દિવસથી પીન વિતરણ અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી તે હાલ પૂર્ણ થઇ ગઇ છે. જુદા જુદા ૯ કોર્સની ૫૧૩૩૧ બેઠકો માટે હાલમાં ૩૧૭૭૯ વિદ્યાર્થીઓએ પીન ખરીદી છે. જે પૈકી ૩૦૮૫૧ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન અને ૨૫૯૩૯ વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી છે.

નીટનું પરિણામ બાકી છે તેવી સ્થિતિમાં પેરા મેડિકલની કોલેજોમાં પ્રવેશ માટે આગામી દિવસોમાં ફરીવાર રજિસ્ટ્રેશન શરૂ કરવું પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે.નીટ સિવાય બી.એસસી નર્સિંગ , જીએનએમ, એએનએમ, બી.ઓપ્ટોમેટ્રી, બી.ઓક્યુપેશનલ થેરાપી, બી.આર્થાેટિક્સ અને પ્રોસ્થેટિક્સ, બીએએસએલપી અને બી. નેચરોપછી જેવા કોર્સમાં ધો.૧૨ સાયન્સના આધારે પ્રવેશ ફાળવણી કરવામાં આવે છે. હાલમાં રાજ્યમાં આ તમામ કોર્સની મળીને ૧૧૦૪ કોલેજોમાં ૫૧૩૩૧ બેઠકો ઉપલબ્ધ છે. આ બેઠકો માટે રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

મહત્ત્વની વાત એ છે કે, હજુ સુધી નીટનું પરિણામ આવ્યું નથી. જે વિદ્યાર્થીઓને નીટના આધારે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ કે હોમિયોપેથીમાં પ્રવેશ મળે તેમ ન હોય તેવા વિદ્યાર્થીઓ પેરા મેડિકલ એટલે કે નર્સિંગ , ફિઝિયોથેરાપી જેવા કોર્સમાં પ્રવેશ લેવા માટે પ્રયાસ કરતાં હોય છે. પ્રવેશ સમિતિ દ્વારા હાલમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે જે સમયમર્યાદા આપવામાં આવી હતી તે ૧૧મી જૂને પૂર્ણ થઇ ચૂકી છે. આ સ્થિતિમાં હવે નીટનું પરિણામ આવ્યા પછી જે વિદ્યાર્થીઓને સારા માર્કસ આવ્યા ન હોય અને તેઓ પેરા મેડિકલ કોર્સમાં પ્રવેશ લેવા ઇચ્છતા હોય તેમના માટે ફરીવાર રજિસ્ટ્રેશન શરૂ કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

જોકે, હાલમાં જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે તમામને જુદી જુદી કોલેજોમાં પ્રવેશ ફાળવી દેવામાં આવે તો પણ ૨૦ હજારથી વધારે બેઠકો ખાલી પડે તેમ છે. આ સ્થિતિમાં પ્રવેશ સમિતિ દ્વારા નીટ ના પરિણામ બાદ ફરીવાર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવી પડશે તેવી પૂરી શક્યતા છે. આશ્ચર્યની વાત એ છે કે, હાલની સ્થિતિમાં અનેક બેઠકો ખાલી પડે તેમ છે. આમ છતાં આગામી દિવસોમાં નવી નર્સિંગ કોલેજોની મંજૂરી માટે જુદી જુદી સંસ્થાઓ દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે. એટલે કે, પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા હજુ નર્સિંગ સહિતની અનેક નવી કોલેજોને મંજૂરી મળતાં તેમની બેઠકો પણ પ્રવેશ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.