Western Times News

Gujarati News

અમદાવાદથી લંડન જતું એર ઈન્ડિયાનું પ્લેન ટેક ઓફ થતાં જ ક્રેશ થયું

વિમાનમાં સવાર મુસાફરોમાં: 169 ભારતીય નાગરિકો,  53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક,  7 પોર્ચુગીઝ નાગરિક હતાં.

અમદાવાદ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 12-06-2025 ગુરૂવારના  બપોરે એક ભયાવહ વિમાન દુર્ઘટના બની છે. એર ઈન્ડિયાનું અમદાવાદથી લંડન જતું વિમાન ટેક ઓફ કર્યાની માત્ર બે મિનિટમાં જ અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં બીજે મેડિકલ કોલેજના ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ હતી તે બિલ્ડીંગ પર તૂટી પડ્યું હતું. આ હોસ્ટેલમાં 50થી 60 ઈન્ટર્ન ડોક્ટર હોવાનું જાણવા મળ્યું છે.

#planecrash #ahmedabad અંદાજીત 240 થી વધુ પેસેન્જર ફ્લાઈટમાં હતા અને જેમાં મોટે ભાગે ગુજરાતી પ્રવાસીઓ લંડન જઈ રહ્યા હતા તેવી પ્રાથમિક માહીતીમાં જાણવા મળી રહ્યુ છે.

બપોરે ૧:૩૮ વાગ્યે એરપોર્ટ પરથી ટેક ઓફ થયેલ એર ઈન્ડિયાનું વિમાન ૧:૪૦ વાગ્યે મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ વિસ્તારમાં આવેલી  બી. જે. મેડિકલ કોલેજની હોસ્ટેલના બિલ્ડીંગ પર વિમાન તૂટી પડ્યું હતું.

એર ઈન્ડિયાએ સત્તાવાર નિવેદનમાં પુષ્ટિ કરી છે કે આજે 12-06-2025ના રોજ અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઈટ AI171 ટેક ઓફ બાદ દુર્ઘટના ગ્રસ્ત થયું છે અને  બોઈંગ 787-8 એરક્રાફ્ટની આ ફ્લાઈટ અમદાવાદથી બપોરે 1:38 વાગ્યે (13:38 કલાકે) ઉડાન ભરી હતી. વિમાનમાં કુલ 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા.

ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે. એર ઈન્ડિયાએ મુસાફરોના પરિવારજનો અને સંબંધીઓને વધુ માહિતી આપવા માટે વિશેષ હેલ્પલાઈન નંબર 1800 5691 444 શરૂ કર્યો છે. એર ઈન્ડિયા આ દુર્ઘટનાને લઈને ગંભીર છે અને તમામ અસરગ્રસ્ત પરિવારો સાથે સંપર્કમાં રહેશે. કંપની આવશ્યક સહાયતા અને સપોર્ટ પૂરો પાડવા માટે પ્રતિબદ્ધ છે.

Air India Passenger List
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિમાનમાં સવાર હતા. જેમનો લિસ્ટમાં 12 મો નંબર છે. 

પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઓફ દરમિયાન વિમાનનો પાછળનો હિસ્સો વૃક્ષ સાથે અથડાયો હતો, જેના કારણે વિમાન નિયંત્રણ ગુમાવીને બિલ્ડિંગ સાથે અથડાઈને ક્રેશ થયું હતું. એવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હોઈ શકે છે.

દુર્ઘટના બાદ ઘટનાસ્થળે ધુમાડાના મોટા ગોટેગોટા જોવા મળ્યા હતા, જેને લીધે આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. વિમાન ધડાકાભેર ક્રેશ થતાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા છે.

આ ગંભીર ઘટનાની જાણ મળતાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને ઘટનાની વિગતો અને સ્થિતિ વિશે માહિતી મેળવી હતી. વડોદરા ફાયર બ્રિગેડના 25 ફાયર એન્જિન અમદાવાદ રવાના કરવામાં આવ્યા છે.

આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને ઘટનાની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે સરદાર વલ્લભભાઈ પટેલના 150મા જન્મજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે બારડોલી ખાતે આયોજિત ખેડૂત સંમેલનમાં હાજરી આપવા ગયા હતા અને સમાચાર મળતાં જ  તેઓ અમદાવાદ આવવા રવાના થઇ ગયા છે. બીએસએફની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે.   દુર્ઘટનાસ્થળેથી જેવી તસવીરો સામે આવી રહી છે તે વિચલિત કરી દે તેવી છે.

બીએસએફની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. સ્થાનિક એમરજન્સી સેવાઓ અને ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

દુર્ઘટનાસ્થળેથી સામે આવી રહેલી તસવીરો અત્યંત વિચલિત કરે તેવી છે. આ ઘટનાથી સમગ્ર શહેરમાં શોકનો માહોલ છે. વિમાન દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. એવિએશન એક્સપર્ટ્સની ટીમ પણ ઘટનાસ્થળે તપાસ હાથ ધરશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.