Western Times News

Gujarati News

હલકી ગુણવત્તાના મટીરિયલને કારણે મકાનો જર્જરીત થયા હોવાનો આવાસ યોજનાના રહીશોનો દાવો કોર્ટે ફગાવ્યો

પ્રતિકાત્મક

જર્જરિત મકાનો મુદ્દે નહેરૂ આવાસના રહીશોને હાઈકોર્ટની ટકોર-ફલેટની મરામતની જવાબદારી મ્યુનિ.ની નથી, રહીશોએ કરાવવી પડેઃ હાઈકોર્ટ

(એજન્સી)અમદાવાદ, જવાહરલાલ નહેરૂ આવાસ યોજના ૧૦ વર્ષમાં જ ૯૯ર બ્લોકની જર્જરિત સ્થિતિ થતાં રહીશોએ કોર્પોરેશન રિપેર કરાવે તેવી દાદ માંગતી અરજી હાઈકોર્ટમાં કરી છે. અરજદારોએ રજૂઆત કરી હતી કે કોર્પોરેશને તાજેતરમાં નોટિસ પાઠવીને ફલેટ તાત્કાલિક ખાલી કરવા અને ખાલી ન કરે તો લાઈટ, પાણી અને ગટરના જોડાણ કાપી નાંખવા આદેશ કર્યો છે.

કોર્પોરેશને એવી દલીલ કરી હતી કે, દરેક ચોમાસા પહેલાં જર્જરિત મકાનો ખાલી કરવાની તજવીજ હાથ ધરાય છે. કોર્ટે કોર્પોરેશન પાસે સમાધાન માટે શી નીતિ છે ? તે અંગે સવાલ પૂછયા હતા. કોર્ટે ટકોર કરી હતી કે, જો આ બિલ્ડીંગ ખાલી નહીં કરો તો જીવને જોખમ વધશે. હાઈકોર્ટે આ મામલે તપાસ સોંપવા ના પાડી હતી.

કોર્ટે ટકોર કરી કે, આ ફલેટ તમને ફાળવ્યા હોય તો તેને જાળવવાની જવાબદારી તમારી છે. કોર્પોરેશન મરામત ન કરી શકે. રહીશોએ રજૂઆત કરી હતી કે, આ ફલેટ ૧૦ વર્ષ પહેલાં જ બનાવ્યા છે અને પ વર્ષમાં જ જર્જરિત થઈ ગયા છે.

હલકી ગુણવત્તા ધરાવતા મટીરિયલને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ગમે ત્યારે આ આવાસો તૂટી જાય તેવી દહેશત છે ત્યારે કોર્ટે ટકોર કરી હતી કે તમે જાળણી નથી કરી એટલે આ સ્થિતિ સર્જાઈ છે. કોર્પોરેશન તરફથી મુખ્ય સરકારી વકીલ ગુરૂશરણ વીર્કે દલીલ કરી હતી કે કુલ ૩ર ટાવર બનાવ્યા છે તે તમામ ટાવર જર્જરિત નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.