ભરૂચના જગન્નાથ મંદિરમાં સ્નાન પૂર્ણિમાની ઉજવણી કરાઈ

૧૦૮ કળશથી નર્મદા જળથી ભગવાનને સ્નાન કરાવાયું
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચની આશ્રય સોસાયટી પાસે આવેલા ભગવાન જગન્નાથ મંદિરમાં સ્નાન પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ઉડિયા સમાજના લોકોએ પવિત્ર નર્મદા નદીના જળથી ભગવાન જગન્નાથ,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને સ્નાન કરાવવામાં આવ્યું હતું.
ભરૂચની આશ્રય સોસાયટી ખાતે આવેલ જગન્નાથ મંદિરમાં જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આ વર્ષે ઓડિશા પ્રથા મુજબ દેવસ્નાન પૂર્ણિમા ઉજવવામાં આવી હતી.
આ દિવસે ચતુર્ધા મૂર્તિને સ્નાનગૃહમાં પરંપરાગત રીતે વેધના જાપ સાથે ૧૦૮ કલસી પાણીમાં સ્નાન કરાવવામાં આવ્યું હતું.સામાન્ય રીતે વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથ તેમના ભાઈ-બહેનો સાથે સ્નાન કરે છે અને અન્ય સમયે તેમને મંત્રોચ્ચારથી સ્નાન કરાવવામાં આવે છે.
સ્નાન કર્યા પછી ભગવાન બીમાર પડી જાય છે અને ૧૫ દિવસ સુધી કોઈની સમક્ષ હાજર થતા નથી.૧૬ મા દિવસે તેઓ શણગાર સાથે પ્રગટ થશે અને બીજા દિવસે ભગવાન નગરચર્યાએ નીકળી ભક્તોને દર્શન આપશે.