થાઈલેન્ડના ફુકેટમાં એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

(એજન્સી)ફુકેટ, થાઈલેન્ડના ફુકેટમાં એર ઈન્ડિયાના એક વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ફ્લાઈટ ફુકેટથી નવી દિલ્હી આવી રહી હતી, પરંતુ શુક્રવારે બોમ્બની ધમકી બાદ તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે અમદાવાદમાં એર ઈન્ડિયાની એક ફ્લાઈટ ક્રેશ થઈ ગઈ હતી.
તેમાં સવાર ૨૪૨ લોકોમાંથી ૨૪૧ લોકોના મોત થયા હતા. રોઈટર્સના અહેવાલ મુજબ, એર ઈન્ડિયાની ફ્લાઈટ છૈં ૩૭૯ ફુકેટથી નવી દિલ્હી માટે રવાના થઈ હતી. તેમાં ૧૫૬ મુસાફરો સવાર હતા, પરંતુ ફ્લાઈટ ઉડાન ભર્યા પછી બોમ્બની ધમકી મળી હતી.
આ પછી, ફ્લાઈટ આંદામાન સમુદ્રની આસપાસ ફર્યા પછી પાછી આવી અને ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હજુ સુધી બોમ્બની ધમકીની પુષ્ટિ કરવામાં આવી નથી. ફુકેટ એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઈમરજન્સી લેન્ડિંગ પછી, મુસાફરોને ફ્લાઈટમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે
અને બધા સુરક્ષિત છે. લેન્ડિંગ પછી તરત જ, સુરક્ષા કારણોસર ફ્લાઇટમાં હાજર તમામ મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. આ સાથે, સમગ્ર વિમાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.