MSUમાં ૫૦ પોસ્ટ પર દિવ્યાંગ અધ્યાપકોની ભરતી કરાશે

(એજન્સી)અમદાવાદ, એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ દિવ્યાંગોની ભરતી માટેની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો પ્રમાણે શૈક્ષણિક કેટેગરીમાં ૫૦ જગ્યાઓ પર દિવ્યાંગ ઉમેદવારોની કાયમી ધોરણે ભરતી માટે તાજેતરમાં જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી અધ્યાપકોની કાયમી ભરતી બંધ છે
ત્યારે દિવ્યાંગ કેટેગરીમાં સાયન્સ, ટેકનોલોજી, કોમર્સ, આર્ટસ, એજ્યુકેશન, હોમસાયન્સ ફેકલ્ટીમાં ૫૦ જગ્યાઓ પર કાયમી ધોરણે ભરતી હાથ ધરવામાં આવી છે. જેમાં પ્રોફેસરની સાત, એસોસિએટ પ્રોફેસરની ૧૧, આસિસટન્ટ પ્રોફેસરની ૨૭ અને લેકચરરની પાંચ જગ્યાનો સમાવેશ થાય છે. સૂત્રોનું કહેવું છે કે, કેન્દ્ર સરકારના આદેશના પગલે દિવ્યાંગોની ભરતી માટે એમ.એસ.યુનિવર્સિટી અને રાજ્યની બીજી યુનિવર્સિટીઓમાં પણ ભરતી માટે પ્રક્રિયા શરુ કરાઈ છે.
યુનિવર્સિટીએ અરજીઓ પણ મંગાવી છે અને ૧૮૦ જેટલા ઉમેદવારોએ અરજી પણ કરી છે. આગામી દિવસોમાં તેમના ઈન્ટરવ્યૂ હાથ ધરાશે. તેની સાથે સાથે બિન શૈક્ષણિક કર્મચારીઓની પણ ભરતી કરવામાં આવનાર છે. આ માટે પણ અરજીઓ મંગાવવામાં આવી છે. જોકે કર્મચારીઓની કેટલી પોસ્ટ પર ભરતી થશે તેની જાણકારી હજી સામે આવી નથી.