ભારત-ચીન વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવા અંગે સંમતિ સધાઇ

વિદેશ સચિવ મિસરીની ચીનના નાયબ વિદેશ મંત્રી સાથે વાતચીત
બંને દેશો વિઝા સુવિધા તથા મીડિયા અને થિંક-ટેન્ક વચ્ચે આદાનપ્રદાન માટે વ્યવહારિક પગલાં લેવા પણ સંમત થયાં હતાં
નવી દિલ્હી, દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિની સમીક્ષા કર્યા પછી ભારત અને ચીન ડાયરેક્ટ ફ્લાઇટ સર્વિસ ફરી શરૂ કરવા માટેના પગલાં ઝડપી બનાવવા સંમત થયાં હતાં. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને ચીનના ઉપવિદેશ મંત્રી સન વેઈડોંગની વાતચીત પછી આ સહમતિ સધાઈ હતી. બંને દેશો વિઝા સુવિધા તથા મીડિયા અને થિંક-ટેન્ક વચ્ચે આદાનપ્રદાન માટે વ્યવહારિક પગલાં લેવા પણ સંમત થયાં હતાં. ભારતના વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે આ બેઠક ગુરુવારે થઈ હતી અને બંને પક્ષો બંને દેશો વચ્ચે સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા માટેના પગલાં ઝડપી બનાવવા પણ સંમત થયા હતાં.
મિસરીએ અગાઉ બેઇજિંગમાં ૨૭ જાન્યુઆરીએ વેઇડોંગ સાથે બેઠક યોજી હતી. ચીનના નાયબ વિદેશ મંત્રી ૧૨-૧૩ જૂનથી ભારતની મુલાકાતે છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુરુવારે થયેલી બેઠક દરમિયાન બંને પક્ષોએ ૨૭ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ બેઇજિંગમાં તેમની છેલ્લી બેઠક પછી ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી તથા લોકો-લોકો વચ્ચેના જોડાણને પ્રાથમિકતા આપીને સંબંધોની સ્થિર કરવા અને પુનઃનિર્માણ કરવા સહમત થયા હતાં.
વિદેશ સચિવે આ વર્ષે કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા માટે ચીનના સહયોગની પ્રશંસા કરી હતી. તેમણે હાઇડ્રોલોજિકલ ડેટા અને અન્ય સહયોગની જોગવાઈ ફરી શરૂ કરવા માટે સરહદ પારની નદીઓના મુદ્દે સહયોગ માટે નિષ્ણાત સ્તરની મિકેનિઝમની એપ્રિલની બેઠકમાં થયેલી ચર્ચાની નોંધ લીધી હતી અને તેના પર પ્રગતિની આશા વ્યક્ત કરી હતી. SS1