Western Times News

Gujarati News

મોરબી જમીન વિવાદમાં ટ્રિપલ મર્ડર કેસમાં ૧૧ આરોપીઓને આજીવન કેદ

મોરબી સેશન્સ કોર્ટનો ચુકાદો,કોર્ટે આ કેસના ૧૧ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે અને દરેકને રૂપિયા ૫૬,૦૦૦નો દંડ પણ કર્યાે છે

મોરબી, મોરબી સેશન્સ કોર્ટે જમીન વિવાદને કારણે થયેલી ત્રણ વ્યક્તિઓની હત્યાના કેસમાં એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે આ કેસના ૧૧ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે અને દરેકને રૂપિયા ૫૬,૦૦૦નો દંડ પણ કર્યાે છે.આ ઘટના ૧૨મી ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ મોરબી નજીક લીલાપર ગામ પાસે આવેલા બોરીયા પાટી વિસ્તારમાં બની હતી.

જમીનના જૂના ઝઘડામાં, ૧૨ જેટલા હુમલાખોરો છ બાઇક પર આવ્યા હતા અને લાકડી, પાઇપ તેમજ ટામી જેવા હથિયારો વડે હુમલો કર્યાે હતો. આ હુમલામાં દિલાવર પઠાણ, અફઝલ પઠાણ અને મોમીન પઠાણ નામના ત્રણ વ્યક્તિઓની હત્યા થઈ હતી.

મૃતક દિલાવર પઠાણના પુત્ર વસિમભાઇ પઠાણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ૧૨ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યા અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી.સેશન્સ કોર્ટના ન્યાયાધીશ ડી.પી. મહિડાએ સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા રજૂ કરાયેલી દલીલો અને પુરાવાઓને સંપૂર્ણપણે ધ્યાનમાં લીધા હતા.

આ ૧૨ આરોપીઓમાંથી એક, શિવાભાઈ રામજીભાઇનું જેલમાં અવસાન થયું હતું, જ્યારે બાકીના ૧૧ આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે આરોપીઓ પાસેથી વસૂલ થનાર દંડની રકમમાંથી મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા ૨-૨ લાખનું વળતર ચૂકવવામાં આવે. મોરબી કોર્ટ દ્વારા અત્યાર સુધીમાં એક સાથે ૧૧ને આજીવન કેદની સજાનો આ ચુકાદો ઐતિહાસિક બની રહેશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.