૧૧ વિદેશી મૂળના નાગરિકોના પરિવારનો સંપર્ક, બ્રિટિશ સરકાર સાથે સંકલન

_*અમદાવાદ વિમાન દુર્ઘટના સંદર્ભે રાહત અને ઓળખની કામગીરીની વિગતો આપતા રાહત કમિશનર શ્રી આલોક પાંડે અને એડિશનલ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી રજનીશ પટેલ*
દરેક મૃતકના પરિવાર માટે અધિકારી, પોલીસ અને કાઉન્સેલરની ખાસ ટીમ ફાળવાઈ
*પાર્થિવ દેહ ઘરે પહોચતા જ તલાટી દ્વારા તાત્કાલિક પેઢીનામું કાઢી અપાશે*
દુર્ઘટનામાં બચી ગયેલા વ્યક્તિની તબિયત સ્થિર
અમદાવાદ વિમાન દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી રાહત, બચાવ અને ઓળખની કામગીરી અંગે માહિતી આપવા માટે આજે રાહત કમિશનર શ્રી આલોક પાંડે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડન્ટ શ્રી રજનીશ પટેલે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી.
શ્રી રજનીશ પટેલે જણાવ્યું કે, DNA મેચિંગની અત્યંત સંવેદનશીલ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતા અને ઝડપથી કરવામાં આવી રહી છે.
શનિવાર સાંજ સુધીમાં કુલ ૧૧ મૃતકોના DNA સેમ્પલ સફળતાપૂર્વક મેચ કરી લેવાયા છે. જેમાંથી એક પાર્થિવ દેહની ઓળખ કરીને તેને સન્માનપૂર્વક તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો છે.
રાહત કમિશનર શ્રી આલોક પાંડેના જણાવ્યા મુજબ, દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના ૧૮ જિલ્લાના તમામ મૃતકોના પરિવારજનોનો રાજ્ય સરકાર દ્વારા સંપર્ક કરી લેવામાં આવ્યો છે.
દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે.
આ ટીમ પાર્થિવ દેહને મૃતકના ઘર સુધી પહોંચાડવા માટે પરિવારની સાથે જશે અને તમામ પ્રકારની સહાય પૂરી પાડશે. જરૂરિયાત મુજબ પરિવારોને માનસિક સધિયારો આપવા માટે કાઉન્સેલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
સરકારના કોલ સેન્ટર દ્વારા પણ પરિવારો સાથે સતત સંપર્કમાં રહીને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે.
પાર્થિવ દેહ વતન પહોંચતાની સાથે જ, પરિવારજનોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્થાનિક તલાટી દ્વારા તાત્કાલિક ધોરણે પેઢીનામું (Inheritance/Succession Certificate) કાઢી આપવામાં આવશે. આ પગલાથી વારસાઈ અને અન્ય સરકારી દસ્તાવેજો મેળવવાની પ્રક્રિયા સરળ બનશે.
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ૧૧ વિદેશી નાગરિકોના પરિવારજનોનો તેમના દેશની એમ્બેસી મારફતે સંપર્ક કરવામાં આવ્યો છે અને DNA સેમ્પલ મેચિંગ માટેની આવશ્યક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ખાસ કરીને, બ્રિટિશ નાગરિકોના પાર્થિવ દેહ તેમના પરિવારોને સરળતાથી સોંપી શકાય તે માટે બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે.
આ દુર્ઘટનામાં બચી ગયેલા દીવના નાગરિકનું સ્વાસ્થ્ય હવે સ્થિર છે અને તેઓ સારવારને સારો પ્રતિસાદ આપીને ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે.
રાજ્ય સરકાર આ દુઃખદ ઘડીમાં તમામ પીડિત પરિવારોની પડખે ઊભી છે અને તેમને તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે કટિબદ્ધ છે.