Western Times News

Gujarati News

૪૫.૭૫ લાખની ચોરી કરનાર રીઢા ઘરફોડ ચોરની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી

આરોપી પોલીસની નજર ચૂકવી ફરાર થઇ ગયો હતો, જામીન નહીંઃ કોર્ટ

આરોપી સામે અમદાવાદ સિવાય વડોદરામાં જ ૪૭થી વધુ ગુના નોંધાયેલ છેઃ પોલીસ

અમદાવાદ,શ્યામલ ચાર રસ્તા પાસે વૃંદાવન બંગલોઝમાં ધાડ પાડી સોના-ચાંદીના દાગીના, રોકડ સહિત કુલ રૂ. ૪૫.૭૫ લાખની ઘરફોડ ચોરી કરી હાથ સાફ કરનાર એક રીઢા ઘરફોડ ચોર અર્જુન વિનોદસિંગ રાજપૂતને આગોતરા જામીન આપવાનો અત્રેની સેશન્સ કોર્ટે સાફ ઇન્કાર કરી દીધો હતો. તપાસનીશ અધિકારીએ આરોપીની આગોતરા જામીન અરજીનો વિરોધ કરતાં સોગંદનામામાં બહુ મોટો ચોંકાવનારો ખુલાસો કર્યાે હતો કે, આરોપી ખૂબ જ રીઢો અને ઘરફોડ ચોરી સહિતના ગુના આચરવાની ટેવવાળો છે.

તેની વિરુદ્ધમાં માત્ર વડોદરામાં જ ૪૭થી વધુ ગુનાઓ જુદા જુદા પોલીસમથકમાં નોંધાયેલા છે. રીઢા ઘરફોડ ચોર અર્જુન વિનોદસિંગ રાજપૂતે નિર્દાેષ હોવા સહિતના મુદ્દા રજૂ કરી આગોતરા જામીન અરજી કરી હતી. જો કે, આગોતરા જામીન અરજીનો સખત વિરોધ કરતાં સરકારપક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બી. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આરોપી બહુ શાતીર અને રીઢો ઘરફોડ ચોર છે. તેની વિરુદ્ધમાં અમદાવાદ, વડોદરા સહિતના જુદા જુદા શહેરોમાં ઘરફોડ ચોરી સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

માત્ર વડોદરા શહેરમાં જુદા જુદા પોલીસમથકોમાં આરોપી વિરુદ્ધ ૪૭થી વધુ ગુના નોંધાયેલા છે, તો આરોપીની બે વખત પાસા હેઠળ અટક કરી જેલમાં ધકેલાયો હતો, તેમ છતાં તેણે જેલમાંથી બહાર નીકળ્યા બાદ પણ પોતાની ઘરફોડ ચોરી સહિતની ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. આરોપી પહેલેથી જ ગુનાહિત માનસિકતા ધરાવે છે અને રૂ. ૪૫.૭૫ લાખની ઘરફોડ ચોરી કરવાના હાલના ગુનામાં પોલીસે તેને અટક કરી સિવિલ હોસ્પિટલ ચેક અપ માટે લઇ ગઇ ત્યારે પોલીસના જવાનોને પણ થાપ આપી ફરાર થઇ ગયો છે, જે બહુ ગંભીર બાબત કહી શકાય. જો તેને આગોતરા જામીન અપાય તો તે જામીન મળ્યા બાદ આ પ્રકારના ગુનાઓને અંજામ આપવાનું ચાલુ રાખે તેવી પૂરી શકયતા છે.

ઉપરાંત, આગોતરા જામીન મળી જાય તો, આરોપી કેસના ટ્રાયલ દરમ્યાન મુદતે પણ હાજર ના રહે અને ટ્રાયલને વિપરીત અસર કરે તેવી પણ દહેશત હોઇ આરોપીના આગોતરા જામીન કોર્ટે ફગાવી દેવા જોઇએ. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે આરોપી ઘરફોડ ચોર અર્જુન વિનોદસિંગ રાજપૂતના આગોતરા જામીન ફગાવી દીધા હતા.એડિશનલ સેશન્સ જજ એચ.જી.પંડયાએ આરોપી અર્જુન વિનોદસિંગ રાજપૂતની આગોતરા જામીન અરજી ફગાવતાં નોંધ્યું હતું કે, આરોપીએ ફરિયાદીના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના, ડાયમંડના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ. ૪૫.૭૫ લાખની કિંમતના માલમતાની ચોરી કરી છે.

અગાઉ અરજદાર વિરુદ્ધ આ પ્રકારના ૪૭ ગુનાઓ નોંધાયેલા છે અને બે વખત તેની પાસા હેઠળ ધરપકડ થયેલી છે. જ્યારે અન્ય ત્રણ ગુનામાં તેને પકડવાનો બાકી છે. હાલના કેસમાં આરોપીને પોલીસે પકડી જ્યારે સોલા સિવિલમાં લઇ જતા હતા ત્યારે આરોપી પોલીસની નજર ચૂકવીને જાપ્તામાંથી ફરાર થઇ ગયો છે. વળી, તેની પાસેથી રૂ. ૨૬.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે અને હજુ બાકીનો મુદ્દામાલ કબજે કરવાનો બાકી છે ત્યારે આરોપીનો બહોળો ગુનાહિત ભૂતકાળ જોતાં તેને કોઇપણ સંજોગોમાં આગોતરા જામીન આપી શકાય તેમ નથી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.