આમિરની સિતારેં ઝમીન પરની રિલીઝ મુશ્કેલમાં મુકાઈ શકે છે

આમિર ખાન સેન્સર બોર્ડે ‘સિતારે ઝમીન પર’ને સૂચવેલા કટથી અસહમત
નિયમ મુજબ સેન્સર બોર્ડનાં સર્ટિફિકેટ વિના કોઈ પણ સિનેમાહોલના માલિકો ટિકિટ વેંચી શકતા નથી
મુંબઈ,આમિર ખાનની ‘સિતારેં ઝમીન પર’ને રિલીઝને થોડાં દિવસ બચ્યા છે અને ફિલ્મ ઘણા દિવસથી ચર્ચામાં છે. એક તરફ આ વખતે આમિર ફિલ્મને પૂર જોશમાં પ્રમોટ કરવા મેદાને ઉતર્યાે છે, બીજી તરફ તેના આ ફિલ્મને કોઈ પણ ઓટીટી પ્લેટફર્મ પર રિલીઝ નહીં કરવાના નિર્ણયને લઇને પણ ફિલ્મ ચર્ચામાં છે. ત્યારે આ ફિલ્મ વિશે વધુ એક ચર્ચા શરૂ થઈ છે. ફિલ્મ રિલીઝ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, આમિર ખાને ફિલ્મ સેન્સર બોર્ડની મંજુરી માટે મોકલી હતી. જેમાં સેન્સર બોર્ડે બે જગ્યાએ કટ સૂચવ્યા છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, “સેન્સર બોર્ડ દ્વારા બે જગ્યાએ કટ સૂચવાયા છે. પણ આમિરને લાગે છજ કે ફિલ્મ આ કટ વિના જ પાસ થઈ જવી જોઈએ. તેણે અને આર.એસ પ્રસન્નાએ ઘણા વિચાર વિમર્શ પછી આ ફિલ્મ બનાવી છે. કેટલાંક સીન અને ડાયલોગ, તેનાં સંદર્ભ સાથે જોવામાં આવે તો બિલકુલ યોગ્ય છે.” જોકે, સેન્સર બોર્ડે ક્યાં અને કેવા કટ કહ્યા એ અંગે હજુ કોઈ માહિતી નથી.સુત્રએ આગળ કહ્યું, “આમિર ખાન આ કટ સાથે સહમત નથી તેથી ફિલ્મને હજુ સુધી સેન્સર તરફથી સર્ટિફિકેટ મળ્યું નથી.
આમિર હવે સેન્સર બોર્ડની કમિટીને સોમવાપે ફરી મળીને તેમને પોતાનો દૃષ્ટિકોણ સમજાવવા માગે છે. તેથી આશા છે કે સીબીએફસી તેની સાથે સહમત થઈ જાય અને ફિલ્મને ૧૬ જૂને મંજુરી મળી શકે. તે થઈ જાય પછી જ ફિલ્મનું એડવાન્સ બૂકિંગ શરૂ થઈ શકશે. નિયમ મુજબ સેન્સર બોર્ડનાં સર્ટિફિકેટ વિના કોઈ પણ સિનેમાહોલના માલિકો ટિકિટ વેંચી શકતા નથી.” રસપ્રદ વાત એવી છે કે આમિરની ફિલ્મ ‘સિતારેં ઝમીન પર’ને બ્રિટિશ સેન્સર બોર્ડ તરફથી મંજુરી મળી ગઈ છે, જે બ્રિટિશ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન કહેવાય છે, તેમણે આ ફિલ્મને ૧૨-એ સર્ટિફિકેટ આપ્યું છે.
તેમની વેબસાઇટ પર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ ફિલ્મમાં એવા દૃષ્યો છે, જેમાં ભેદભાવ અને સામાન્ય સેક્સના સંદર્ભ દર્શાવાયા છે. તેમાં એવું પણ લખ્યું છે કે આ ફિલ્મ ૨ કલાક અને ૩૫ મિનિટની છે.આ ફિલ્મમાં જેનિલિયા દેશમુખ પણ છે અને તે ૨૦ જૂને દુનિયાભરમાં રિલીઝ થવાની છે. આ પહેલાં આમિરનું આયોજન એવું હતું કે ફિલ્મને નિયંત્રિત સ્ક્રીનમાં રિલીઝ કરીને પછી સમયાંતરે તેની માગ વધતાં તેના સ્ક્રીન વધારવામાં આવે. પરંતુ હવેના અહેવાલો અનુસાર એવો અંદાજ છે કે હવે આમિર આ ફિલ્મ ૩૦૦૦થી ૩૫૦૦ સ્ક્રીનમાં રિલીઝ કરશે. કારણ કે આમિરની યોજના સાથે ફિલ્મ એક્ઝિબિટર્સ સહમત નથી. તેથી હવે દર્શકોને બસ એક જ આશા છે કે, આમિર અને સેન્સર બોર્ડ વચ્ચે ટક્કર વણસે નહીં અને ફિલ્મ સમયસર રિલીઝ થઈ જાય.SS1