Western Times News

Gujarati News

આતંકી સર્મથક પાકિસ્તાનને ફરીથી ‘ગ્રે લિસ્ટ’માં નાખી દેવા તખ્તો તૈયાર

પહેલગામનો હુમલો ફંડ કે નેટવર્ક વગર શક્ય બની શકે નહીં

પાકિસ્તાનને પહેલીવાર ૨૦૦૮માં એફએટીએફના ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું હતું, પછી ૨૦૧૦માં હટાવવામાં આવ્યું હતું

નવી દિલ્હી,પહેલગામ આતંકવાદી હુમલા પછી વિશ્વભરમાં પાકિસ્તાનનો આંતકી ચહેરો ખુલ્લો પડી ગયો છે. પાકિસ્તાનને ફરી એક વાર ગ્રે લિસ્ટમાં નાંખવાની માંગ કરવામાં આવી રહી છે. આ દરમિયાન વૈશ્વિક આતંકી ફન્ડિંગ પર દેખરેખ રાખતી સંસ્થા ફાઇનાનન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ(એફએટીએફ)એ ૨૨મી એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભીષણ આતંકવાદી હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરી છે. આ હુમલામાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ ૨૬ નિર્દાેષ લોકોની હત્યા કરી હતી. સોમવારે જાહેર કરેલા એક નિવેદનમાં એફએટીએફે કહ્યું કે, આવો હુમલો ફંડ કે નેટવર્ક વગર શક્ય બની શકે નહીં

આમ, એફએટીએફે આ નિવેદન સીધી રીતે પાકિસ્તાન પર તાક્યું છે. એફએટીએફે એ પણ સ્પષ્ટ કર્યું કે હવે અમે સભ્ય દેશો દ્વારા આતંકવાદને કરાતા ફન્ડિંગને રોકવા માટે ઉઠાવેલા નક્કર અને પ્રભાવી પગલાં પર વધુ ધ્યાન આપી રહ્યા છીએ.આ નિવેદન આવે સમયે સામે આવ્યું છે, જ્યારે ભારતે પાકિસ્તાન તરફથી સતત આતંકવાદને સમર્થન અને ફન્ડિંગ આપવાના પુરાવા આપ્યા છે. સૂત્રોના કહેવા મુજબ, ભારત હવે પાકિસ્તાનને ફરીથી એફએટીએફના ગ્રે લિસ્ટમાં નાંખવાની પ્રક્રિયા શરુ કરવાનું છે. ભારત ઓગષ્ટ મહિનામાં યોજાનારી એશિયા પેસિફિક જૂથની બેઠકમાં અને ૨૦મી ઓક્ટોબરે યોજાનારી એફએટીએફની પૂર્ણ બેઠકથી પહેલા પાકિસ્તાનની સામે એક વિસ્તૃત ડોઝિયર તૈયાર કરી રહ્યું છે.

પાકિસ્તાનને પહેલીવાર ૨૦૦૮માં એફએટીએફના ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું હતું. પછી ૨૦૧૦માં હટાવવામાં આવ્યું હતું અને ૨૦૧૨માં ફરીથી મૂકવામાં આવ્યું હતું. ૨૦૧૫માં પાકિસ્તાનને બહાર કરવામાં આવ્યું અને ૨૦૧૮માં ફરીથી ગ્રે લિસ્ટમાં નાંખવામાં આવ્યું હતું. ઓક્ટોબર ૨૦૨૨માં એફએટીએફે બહાર કર્યું, પરંતુ સુધારા ચાલુ રાખવા માટે પાકિસ્તાનને સૂચના આપી હતી. પરંતુ હકીકત, એ છે કે પાકિસ્તાન સમયાંતરે આતંકવાદી સામેલ હોવાના પુરાવા મળતા રહ્યા છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.