‘ડંકી’ એજન્ટોના કારણે ભારતીય પાસપોર્ટનું અવમૂલ્યનઃ સુપ્રીમ

ફરિયાદીને સપ્ટેમ્બર, ૨૦૨૪માં દુબઈ મોકલવામાં આવ્યો હતો
ભારતીયોને ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસાડનારા એજન્ટને સુપ્રીમમાં પણ આગોતરા જામીન ન મળ્યા
નવી દિલ્હી,અમેરિકા અને યુકે જેવા દેશમાં ભારતીયોને ગેરકાયદે ઘૂસાડવાનો ગોરખધંધો દેશના અનેક વિસ્તારોમાં પથરાયેલો છે. ‘ડંકી’ રૂટથી ભારતીયોને વિદેશમાં ધકેલનારી ટોળકીઓના કારણે ભારતીય પાસપોર્ટનું અવમૂલ્યન થઈ રહ્યું હોવાનું સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું. ‘ડંકી’ રૂટથી ભારતીયોને ગેરકાયદે વિદેશ મોકલવાનું કૌભાંડ આચરતી ટોળકીના એજન્ટે રૂ.૪૩ લાખ પડાવ્યા હોવાના મામલે હરિયાણામાં ગુનો નોંધાયો હતો. આ કેસમાં ધરપકડથી બચવા આરોપીએ જામીન લેવા પ્રયાસ કર્યાે હતો, પરંતુ સુપ્રીમ કોર્ટ સુધી તેને આગોતરા જામીન મળ્યા ન હોતા.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જલ ભુયાન અને મનમોહનની બેન્ચે આ કેસની સુનાવણી દરમિયાન ઠરાવ્યું હતું કે, આરોપી ઓમપ્રકાશ સામેના આરોપો અતિ ગંભીર છે. આ પ્રકારના લોકોના કારણે ભારતીય પાસપોર્ટનું અવમૂલ્યન થઈ રહ્યું છે. કેસની વિગતો મુજબ, ઓમપ્રકાશે રૂ.૪૩ લાખમાં ફરિયાદીને કાયદેસર રીતે યુએસ મોકલવાની ખાતરી આપી હતી. જેના ભાગરૂપે ફરિયાદીને સપ્ટેમ્બર, ૨૦૨૪માં દુબઈ મોકલવામાં આવ્યો હતો.
દુબઈમાંથી તેને વિવિધ દેશોમાં ફેરવી પનામાના જંગલોમાં લઈ જવાયો હતો. બાદમાં મેક્સિકોમાં ઘૂસાડી દેવાયો હતો. ત્યાંથી ઓમપ્રકાશની ટોળકીએ તેને અમેરિકાની સરહદમાં ઘૂસાડ્યો હતો, પરંતુ બાદમાં તેને પોલીસે પકડી લીધો હતો. SS1