Western Times News

Gujarati News

મેશરી નદીના પાણીના રીપોર્ટ શંકાસ્પદ

ગોધરા, ગોધરાઃ લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા અને તેના કાર્યકારી પ્રમુખ ડો. સુજાત વલીએ મેશરી નદીને પુનઃજીવિત કરવા માટે એક વિશેષ ઝુંબેશ હાથ ધરી છે.

આ અભિયાન અંતર્ગત મેશરી નદીના પાણી અને માટીના નમૂનાઓ જુદા જુદા વિસ્તારોમાંથી લેવામાં આવ્યા હતા, જેમ કે સિવિલ લાઈન્સ, ઈદગાહ વિસ્તાર, વ્હોરવાડ વિસ્તાર અને ગોન્દ્રા પુલ. ૧૦ જૂનના રોજ આ નમૂનાઓ જયદીપ પુવાર અને કૃણાલ કનોજીયા દ્વારા મેળવવામાં આવ્યા હતા.

દરેક વિસ્તારમાં પાણી એટલું ગંદું અને દુર્ગંધયુક્ત હતું કે ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ બનતું હતું. પાણી અને માટીના નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ધાનકાવાડ, ગોધરા ખાતે મોકલવામાં આવ્યા હતા.

૧૬ જૂને આવેલી લેબ રીપોર્ટ મુજબ મેશરી નદીનું પાણી પીવાલાયક છે અને તેમાં બેક્ટેરિયા નથી એવી નોંધ કરાઈ છે. આ રીપોર્ટથી લોકો અને વિશેષતઃ લોક વિજ્ઞાન કેન્દ્રના કાર્યકરોમાં આશ્ચર્ય અને આશંકા વ્યાપી ગઈ છે.

લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરાના કાર્યકારી પ્રમુખ ડો. સુજાત વલીએ જણાવ્યું કે, “આ રીપોર્ટ શંકાસ્પદ છે. મેશરી નદીના હાલના દયનિય સ્થિતિના દ્રશ્યો, ગટરનું પ્રવાહ અને નદીમાં નાખાતો કચરો જોઈને કોઈપણ વ્યકિત કહી શકે કે તે પાણી પીવાલાયક નથી.”

તેમનો મત છે કે, નદીને સાચવવા માટે વાસ્તવિકતા આધારિત અભ્યાસ અને ખુલાસો અત્યંત જરૂરી છે.આ મુદ્દે લોકોમાં જાગૃતિ લાવવાની તથા મેશરી નદીને જીવંત બનાવવી હોય તો સત્યતાને સ્વીકારવી અને ગંદકી દૂર કરવાની કામગીરી પ્રાથમિકતાથી કરવી પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.