ગાઝામાં અનાજ વિતરણ વખતે ઈઝરાયેલી સૈન્યએ કરેલા ગોળીબારમાં ૪૫નાં મોત

ઈઝરાયેલ દ્વારા ગાઝા ફરતે લોખંડી નાકાબંધી ગોઠવવામાં આવી છે
ઈઝરાયેલે રાહત કેન્દ્ર તરફ આવતા કેટલાક શંકાસ્પદ લોકોને ચેતવણી આપ્યા બાદ ફાયરિંગ કર્યું
ખાન યુનિસ (ગાઝાપટ્ટી),ગાઝામાં ભીષણ ભુખમરાની સ્થિતિ પ્રવર્તી છે અને યુએસ તથા ઈઝરાયેલે સંયુક્ત રીતે રાહત વિતરણ કેન્દ્રો સ્થાપ્યા છે જ્યાં નિર્ધારિત સમયે અન્ન પુરવઠાનું વિતરણ કરવામાં આવે છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ગાઝા પટ્ટીમાં યુએન અને અન્ય ટ્રક દ્વારા મદદની રાહ જોઈ રહેલા કેટલાક લોકો પર ઈઝરાયેલના સૈનિકોએ ગોળીબાર કરતા ૪૫ પેલેસ્ટેનિયનના મોત થયા છે. ક્યા કારણથી ગોળીબાર કરવામાં આવ્યો તેનું ચોક્કસ કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. સ્થાનિક લોકોએ દાવો કર્યાે હતો કે, અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા સંયુક્ત રીતે સંચાલિત અન્ન વિતરણ કેન્દ્ર પર લોકોના ટોળા ઉપર ઈઝરાયેલના લશ્કરે અંધાધૂંધ ગોળીબાર કર્યાે હતો.
આ હુમલામાં સંખ્યાબંધ લોકોના મોત થયા હતા જ્યારે નોંધપાત્ર લોકો ઘાયલ પણ થયા હતા.ઈઝરાયેલ દ્વારા ગાઝા ફરતે લોખંડી નાકાબંધી ગોઠવવામાં આવી છે અને રાહત તેમજ અનાજનો પુરવઠો પણ સિમિત પ્રમાણમાં ગાઝામાં પ્રવેશવા દેવાતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. પરિણામે ગાઝાપટ્ટીના લોકોને રાહત સામગ્રી અને અન્ન મેળવવા કલાકો સુધી રઝળપાટ કરવી પડે છે. ઈઝરાયેલે મંગળવારે ફાયરિંગની જવાબદારી લેતા જણાવ્યું કે, લશ્કરના જવાનોએ શંકાસ્પદ રીતે મદદ કેન્દ્ર પર ઘસી આવતા લોકોને ચેતવણી આપવા ગોળીબાર કર્યાે હતો.
ગાઝામાં સક્રિય આતંકવાદી સંગઠન હમાસને ઈઝરાયેલની મદદનો આતંકી ગતિવિધિ માટે દુરૂપયોગ કરતા અટકાવવા ઈઝરાયેલે નવી વ્યવસ્થા ગોઠવી છે. જે અંતર્ગત ઈઝરાયેલ દ્વારા ગાઝાની તમામ સરહદો ફરતે નાકાબંધી કરી દેવામાં આવી છે અને તમામ ચકાસણી બાદ જ ગાઝામાં રાહત સામગ્રી લઈ જવા મંજૂરી આપવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સી અને અન્ય માનવતા સંગઠનોએ દાવો કર્યાે છે કે મદદનો હમાસ દ્વારા કોઈ દુરૂપયોગ નથી થઈ રહ્યો. આ ઉપરાંત ઈઝરાયેલ દ્વારા માનવતાવાદી સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરાતું હોવાનો આક્ષેપ પણ કર્યાે હતો. પર્યાપ્ત માત્રામાં રાહત નહીં પહોંચતા ગાઝામાં ભુખમરો વિકટ બનવાની ચીમકી નિષ્ણાતો આપી રહ્યા છે.ss1